નવા વર્ષે નવો નિયમ, રોજ માત્ર 40 હજાર લોકો જ જોઇ શકશે તાજમહેલ
હવે રોજ માત્ર 40 હજાર લોકો જ તાજમહેલ જોઇ શકશે, એનાથી વધુ પર્યટકો તાજમહેલના દર્શન નહીં કરી શકે. આ અંગે વિગતવાર વાંચો અહીં.
નવા વર્ષે નવો નિયમ બન્યો છે. હવે રોજ માત્ર 40 હજાર લોકો જ તાજમહેલ જોઇ શકશે, એનાથી વધુ પર્યટકો તાજમહેલના દર્શન નહીં કરી શકે. મંગળવારે દેશની રાજધાની દિલ્હીમાં એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઇ હતી, જેમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. જે અનુસાર, 20 જાન્યુઆરીથી તાજમહેલ જોવા જનાર ભારતીય પર્યટકો માટે સમયસીમા નક્કી કરવામાં આવશે. જો કે, વિદેશી પર્યટકો માટે કોઇ સંખ્યા નિર્ધારિત કરવામાં નથી આવી.
દિલ્હીમાં થઇ બેઠક
દિલ્હીમાં યોજાયેલ ઉચ્ચ સ્તરીય બેઠકમાં સીનિયર બ્યૂરોક્રેટ્સ, એએસઆઈના અધિકારીઓ, પોલીસ અને પેરામિલિટરી અધિકારીઓએ બાગ લીધો હતો. કેટલાક સૂત્રો અનુસાર, પર્યટનને ધ્યાનમાં રાખીને બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઉપરાંત સુરક્ષાનું કારણ પણ આપવામાં આવી રહ્યું છે. જો ક્યારેક પણ ભાગદોડની પરિસ્થિતિ સર્જાય તો તેને સરળતાથી નિયંત્રણમાં લઇ શકાય. ઉચ્ચ સ્તરીય બેઠક બાદ કેન્દ્રિય સંસ્કૃતિ મંત્રી મહેશ શર્માને આ અંગે જાણકારી આપવામાં આવી. આ અંગે કેન્દ્રિય મંત્રીએ કહ્યું છે કે, આ અંગે આખરી નિર્ણય એક કે બે દિવસમાં લેવામાં આવશે.
બાળકો માટે 0 ચાર્જ ટિકિટ
સૂત્રોના જણાવ્યા અનુસાર, આ 40 હજાર પર્યટકોમાં બાળકોની પણ ગણતરી કરવામાં આવશે અને 15 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને ઝીરો ચાર્જ ટિકિટ આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, વર્તમાન સમયમાં તાજમહેલના દર્શન માટે 15 વર્ષથી નાના બાળકો માટે કોઇ ટિકિટ લેવી નથી પડતી.
40 હજાર મુલાકાતીઓ બાદ વધશે ચાર્જ
કહેવાઇ રહ્યું છે કે, પિક સિઝનમાં તાજમહેલ જોવાવાળાઓની સંખ્યા 60થી 70 હજાર સુધી પહોંચી શકે છે. 40 હજાર મુલાકાતીઓ બાદ જેમને પણ તાજમહેલના દર્શન કરવા હોય તેમણે રૂપિયા 1000 આપવાના રહેશે.
ટિકિટના નવા દરો
ઉચ્ચ સ્તરીય બેઠકમાં એ પણ નક્કી કરવામાં આવ્યું છે કે, જે કોઇ આખા તાજમહેલમાં ફરવા માંગતુ હોય, તેમણે 100 રૂપિયાની ટિકિટ લેવી પડશે. વર્તમાન સમયમાં આ ટિકિટ રૂપિયા 40માં મળે છે. જે લોકો તાજમહેલમાં બનેલ ભોંયરુ જોવા નથી માંગતા, તેમણે 50 રૂપિયાની ટિકિટ લેવી પડશે. તાજમહેલ દર્શનની ટિકિટ ભારતીયો માટે રૂપિયા 100ની રહેશે તથા વિદેશી પર્યટકોએ 1000 રૂપિયાની ટિકિટ લેવાની રહેશે. સવારથી બપોરે 12 વાગ્યા સુધીમાં 20 હજાર લોકો તાજમહેલ જોઇ શકશે અને બપોરે 12થી સાંજ સુધીમાં અન્ય 20 હજાર દર્શનાર્થીઓ તાજમહેલની મુલાકાત લઇ શકશે.