ઇરાકમાં સ્થાનિકો કરે છે કેરળવાસી અને ગુજરાતીઓને ટાર્ગેટ
તિરુવનંતપુરમ, 27 જૂનઃ ઉપદ્રવગ્રસ્ત ઇરાકના કુર્દિસ્તાનમાં 47 ભારતીય કામદારોને સ્થાનીક કામદારોના કોપનો ભોગ બનવું પડી રહ્યું છે, કારણ કે તેમનું માનવું છેકે ભારતીય કામદારોએ તેમની રોજગારી છીનવી લીધી છે. કેરળના એક કામદારે આ જાણકારી આપતા કહ્યું છેકે તેઓ ભારત પરત આવવા માગે છે.
છેલ્લા સાત મહિનાથી કુર્દિસ્તાનમાં કામ કરી રહેલા કેરળના એક વેલ્ડરે કહ્યું કે, ઇરાકમાં ઉપદ્રવ વધવાની સાથોસાથ સ્થાનિક લોકોએ અમારા પર હુમલો વધારી દીધો છે. સ્થાનિક લોક અમારી વિરુદ્ધ છે કારણ કે તેમનું માનવું છેકે, ભારતીયો તેમનો રોજગાર છીનવી રહ્યાં છે. વેલ્ડરે કહ્યું કે, હુમલાનું અન્ય કોઇ કારણ નથી અને સ્થાનિકો અમારા પર હાવી થઇ રહ્યાં છે.
વેલ્ડરે એમ પણ કહ્યું કે, ઇરાકના બીજા શહેરોની સરખામણીએ અત્યારસુધી આ સ્થળ સુન્ની આતંકવાદીઓના હુમલાથી બચી ગયું છે, તેમણે કહ્યું કે સ્થાનિક લોકો કેરળના કામદારો પર જ હુમલો કરી રહ્યાં છે.
ભારત પરત ફરવાનો નિર્ણય
પોતાનું નામ જાહેર નહીં કરવાની શરતે કેરળના કામદારે કહ્યું કે, છેલ્લા એક સપ્તાહથી સ્થાનિક લોકોએ અમારા પર શારીરિક હુમલા શરૂ કરી દીધા છે. અમારા નિયોક્તા અમારો જીવ બચાવવા માટે કંઇ જ કરી રહ્યાં નથી. અમે બધાએ કામ પર જવાનું બંધ કરી દીધું છે અને ભારત પરત ફરવાનો નિર્ણય કર્યો છે.
કેરળના મુખ્યમંત્રીના સંપર્કમાં
કામદારે કહ્યું કે તેઓ કેરળના મુખ્યમંત્રી કાર્યાલયના સંપર્કમાં છે અને મુખ્યમંત્રીના કાર્યાલયને સુરક્ષિત ઘર પરત ફરવાની વ્યવસ્થાનો અનુરોધ કર્યો છે. તેમણે કહ્યું કે, અમે ઇરાકમાં ભારતના રાજદૂત સાથે શુક્રવારે સંપર્ક સાધ્યો અને તેમને જણાવ્યું કે, 47 લોકો પરત આવવા માગે છે.
ગુજરાતના લોકો પણ ફસાયા
કામદારે કહ્યું કે, 19 લોકો કેરળના છે જ્યારે અન્યોમાં ગુજરાત, આંધ્ર પ્રદેશ અને બિહારના છે. આ બધા જ પોતાના રાજ્યોની સરકારોનો સંપર્ક કરી રહ્યાં છે. કામદારે ફરિયાદ કરી છેકે તેમના નિયોક્તાએ આ મહિનાનો 600 ડોલર પગાર આપ્યો નથી અને કહ્યું છેકે જો ઘરે પરત જાય છે તો તેમણે 2500 ડોલર ચુકવવા પડશે.
સ્થાનિક લોકો સામે ફરિયાદ નથી કરી શકાતી
સ્થાનિક લોક વિરુદ્ધ ફરિયાદ કરવાનો પ્રયાસ કરતા નિયોક્તાએ આવું નહીં કરવા સમજાવ્યું છે. કામદારે જણાવ્યું કે, નિયોક્તાએ અમારું ધ્યાન રાખવાનું વચન આપ્યું છે, પરંતુ બાદમાં ફરી ગયા અને અમને અમારા હાલ પર છોડી દીધા છે. હવે તો રાજદૂત તરફથી પરત ફરવાની લીલી ઝંડીની રાહ જોવાઇ રહી છે.