મિડ-ડે મીલ માટે આધાર કાર્ડ ફરજિયાત, SCના આદેશનું ઉલ્લંઘન?
શનિવારે માનવ સંસાધન વિકાસ મંત્રાલય દ્વારા જાહેર કરવમાં આવ્યું છે કે, આધાર કાર્ડ ન હોય એ બાળકોને મિડ-ડે મીલ નિઃશુલ્ક આપવામાં નહીં આવે.
શનિવારે માનવ સંસાધન વિકાસ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે, આધાર કાર્ડ ન હોય એ બાળકોને મિડ-ડે મીલ નિઃશુલ્ક આપવામાં નહીં આવે. રસોઇયાઓ માટે પણ આ નિયમ લાગુ પાડવામાં આવ્યો છે. આ નવો નિયમ જાહેર કરતાં કહેવામાં આવ્યું છે કે, જો બાળકોને નિઃશુલ્ક મિડ-ડે મીલ સેવાનો લાભ જોઇતો હોય તો, જૂન 30 સુધીમાં તેમણે આધાર કાર્ડ માટે નામ નોંધાવવા જરૂરી છે.
વર્ષ 2014માં સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં જણાવ્યું હતું કે, એકંદરે અમુક વસ્તુઓની યોજનાઓમાં આધાર કાર્ડ ફરજિયાત નહીં હોય. કોઇ પણ વ્યક્તિ પાસે આધાર કાર્ડ કે આધાર નંબર ન હોવાને કારણે આવી સેવાઓમાંથી વંચિત રાખવામાં નહીં આવે. આધાર કાર્ડ ન હોવાને કારણે જે-તે વ્યક્તિ તે સેવાનો લાભ લેવાને લાયક નથી એમ માનવામાં નહીં આવે.
વર્ષ 2015માં સુપ્રીમ કોર્ટે ફરી કહ્યું હતું કે, આધાર કાર્ડ સ્કિમ સંપૂર્ણપણે સ્વૈચ્છિક છે અને જ્યાં સુધી કોર્ટનો અંતિમ નિર્ણય ન આવે ત્યાં સુધી તેને ફરજિયાત બનાવી શકાશે નહીં.
સરકાર દ્વારા આ અંગે સ્પષ્ટીકરણ અપાયું હતું કે, પ્રક્રિયાઓને વધુ સરળ બનાવવા માટે આધાર કાર્ડ જરૂરી છે. સરકારની દલીલ હતી કે, આધાર કાર્ડને કારણે પ્રક્રિયા વધુ સરળ અને પારદર્શક બનશે.
ગમે તેમ પણ મિડ-ડે મીલની યોજના માટે આધાર કાર્ડ ફરજિયાત બનાવવાનું પગલું કેટલેક અંશે અસંવેદનશીલ કહી શકાય. આ નિર્ણય સુપ્રીમ કોર્ટના નિર્દેશનું સ્પષ્ટ ઉલ્લંઘન છે. વળી ઉલ્લેખનીય છે કે, નવેમ્બર 2015માં જ સરકાર દ્વારા કહેવામાં આવ્યું હતું કે, આધાર કાર્ટ ફરજિયાત નથી. સરકારે કહ્યું હતું કે, અન્ય કોઇ ઓળખ પત્ર(આઇડી કાર્ડ) ન હોય એવા મામલાઓમાં આધાર કાર્ડ નાગરિકનો ઓળખ પત્ર ગણાશે અને તેના દ્વારા તે સરકારની સેવાઓનો લાભ લઇ શકશે.
આધાર કાર્ડ અંગેના કાયદાની કલમ 7 અનુસાર, જો કોઇ વ્યક્તિને આધાર નંબર ફાળવવામાં ન આવ્યો હોય તો તે વ્યક્તિને સબસિડી કે અન્ય સેવાઓના લાભ માટે ઓળખ પત્રના બીજા વિકલ્પો ઉપલબ્ધ કરાવવામાં આવશે.