બીજેપી ગાંધીજી અને શાસ્રીના રસ્તે ચાલતી તો સારૂ હોતું-મનીષ સિસોદિયા
દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાએ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને જારી કરેલા પત્ર મુદ્દે નારાજગી વ્યક્ત કરી છે.
દિલ્હી : દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાએ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને જારી કરેલા પત્ર મુદ્દે નારાજગી વ્યક્ત કરી છે. તેમણે તેના ઈન્ટરનેટ મીડિયા એકાઉન્ટ ટ્વિટર પર આ અંગે એક પોસ્ટ પણ લખી છે. તેમણે લખ્યું છે કે, ભાજપ ગાંધીજી-શાસ્ત્રીજીના બતાવેલા માર્ગ પર ચાલીને ખેડૂતો માટે કંઇક કર્યું હોત તો સારું થાત. તેમણે લખ્યું કે, આ પત્ર ગુજરાતમાં અરવિંદ કેજરીવાલજીમાટે ઉમટેલી ભીડ અને PMની રેલીમાં ખાલી ખુરશીઓ પછી લખવામાં આવ્યો છે.
સોમવારે દિલ્હીના એલજી વીકે સક્સેના તરફથી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને પત્ર લખવામાં આવ્યો હતો. આ પત્રમાં કહેવામાં આવ્યું હતું કે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીની જન્મજયંતિ પર રાજઘાટ અને વિજય ઘાટ પર આયોજિત કાર્યક્રમમાં તમે ગેરહાજર હતા. આ અંગે ભારે નારાજગી જોવા મળી છે. પત્રમાં એલજી વતી લખવામાં આવ્યું હતું કે તમારું અને તમારી સરકારનું આ વલણ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે.
એલજીએ મુખ્યમંત્રી અને તેમના મંત્રીઓ પર ગાંધી અને શાસ્ત્રીની જન્મજયંતિની ઉજવણી પ્રત્યે સંપૂર્ણ ઉપેક્ષા કરવાનો આરોપ પણ લગાવ્યો છે. રવિવારે રાજઘાટ અને વિજય ઘાટ ખાતે કેજરીવાલ અને તેમના મંત્રીઓની ગેરહાજરીને અસ્વીકાર્ય ગણાવતા સક્સેનાએ કહ્યું હતું કે, આ સ્મારક આવી ઘટનાઓ માટે અખબારોમાં પ્રતીકાત્મક જાહેરાતો આપવા કરતાં વધુ છે.
સીએમને મોકલવામાં આવેલા પત્રમાં લેફ્ટનન્ટ ગવર્નરે કહ્યું છે કે, ઊંડી વેદના, ખેદ અને નિરાશા સાથે હું એ કહેવા માટે બંધાયેલો છું કે 2 ઓક્ટોબરે તમે કે તમારી સરકારના કોઈપણ મંત્રી હાજર ન હતા. જ્યારે દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, લોકસભાના સ્પીકર ઓમ બિરલા અને અનેક વિદેશી મહાનુભાવો પણ બાપુને શ્રદ્ધાંજલિ આપવા માટે હાજર રહ્યા હતા. પત્રમાં લેફ્ટનન્ટ ગવર્નરે લખ્યું છે કે નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા થોડી મિનિટો માટે હાજર હતા, જોકે તેઓ એકદમ બેદરકાર દેખાતા હતા.
તેમણે રાષ્ટ્રપતિના આવવાની રાહ જોયા વગર સ્થળ છોડી દીધું. પાંચ પાનાના પત્રમાં ઉપરાજ્યપાલે કહ્યું કે, રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિને કેજરીવાલ, સિસોદિયા અને સામાન્ય વહીવટ વિભાગના પ્રભારી મંત્રીની મંજૂરી પછી જ આ કાર્યક્રમમાં આમંત્રણ આપવામાં આવ્યું હતું.