જમ્મુ-કાશ્મીરની મુલાકાતે રાજનાથ સિંહ, અનંતનાગમાં આતંકી હુમલો
જમ્મુ-કાશ્મીર: અનંતનાગમાં બસ સ્ટેન્ડ પર આતંકવાદી હુમલો
શનિવારે જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં પોલીસ પાર્ટી પર આતંકી હુમલો થયો હતો, આ હુમલામાં એક પોલીસ કર્મચારીનું મૃત્યુ થયું છે અને 2 પોલીસ કર્મચારી ઘાયલ થયા છે. આ હુમલો અનંતનાગના મુખ્ય બજારમાં થયો હતો. પોલીસ પાર્ટી પર આતંકવાદીઓએ હુમલો કર્યા બાદ બંને તરફથી ગોળીબાર થયો હતો. સુરક્ષા દળો દ્વારા આતંકી હુમલાનો જડબાતોડ જવાબ આપવામાં આવ્યો હતો.
ગૃહમંત્રી રાજનાથ સિંહ હાલ 4 દિવસ માટે જમ્મુ-કાશ્મીરના પ્રવાસે હોવાથી આ હુમલો વધુ ચિંતાજનક બને છે. રાજનાથ સિંહ શનિવારે જ શ્રીનગર પહોંચ્યા હતા અને રવિવારે અહીં તેઓ એક ઉચ્ચ સ્તરીય બેઠકમાં ભાગ લેનાર છે. આ બેઠક જે સ્થળે યોજાનાર છે, એનાથી 500 મીટર દૂર જ આ આતંકી હુમલો થયો હતો. કાશ્મીર ઘાટીમાં છેલ્લા એક અઠવાડિયાથી હુમલાની સંખ્યા ઘણી વધી છે. શનિવારની સવારે જ ભારતીય સેનાને બારામુલામાં આતંકીઓ છુપાયા હોવાની ભાળ મળી હતી અને એને આધારે હાથ ધરાયેલ તપાસ અભિયાનમાં એક આંતકી ઠાર મરાયો હતો.