જમ્મુ કાશ્મીરઃ રાજૌરીમાં આતંકવાદીઓના ગોળીબાર બાદ IED વિસ્ફોટ, ભાઈ-બહેન સહિત કુલ 6ના મોત
રાજૌરીમાં છેલ્લા એક દિવસમાં આતંકવાદીઓએ કરેલા ગોળીબાર અને વિસ્ફોટની ઘટનામાં કુલ 6 લોકોના મોત નીપજ્યા અને 12 લોકો ઘાયલ થયા છે.
જમ્મુ કાશ્મીરઃ રાજૌરી જિલ્લાના ડાંગરી ગામમાં ગઈ કાલે આતંકવાદીઓના ગોળીબારના કારણે 4 લોકોના મોત થઈ ગયા હતા. હવે ઘટનાના 14 કલાકમાં જ બીજા એક આઈઈડી વિસ્ફોટમાં બે પિતરાઈ ભાઈ-બહેનના મોત થઈ ગયા. સ્થાનિક લોકોનો દાવો છે કે આતંકવાદીઓએ આ વિસ્ફોટક રવિવારે લગાવ્યો હતો જે પોલીસ અને સુરક્ષાબળોની તપાસમાં મળી શક્યો નહોતો.

તમને જણાવી દઈએ કે ડાંગરી ગામમાં રવિવારે થયેલા હુમલામાં પ્રીતમલાલ નામના વ્યક્તિના ઘર પાસે વિસ્ફોટ થયો. જેમાં 16 વર્ષીય સમીક્ષા શર્મા અને 4 વર્ષીય વિહાન શર્માના મોત થઈ ગયા. ઘટના સવારે સાડા નવ વાગે બની હતી. ઘટના સમયે મકાનમાં બીજા પણ ઘણા સંબંધીઓ હાજર હતા. બંને ઘટનાઓમાં છ લોકો માર્યા ગયા અને 12 અન્ય ઘાયલ થયા છે.
ગામના સરપંચ દીપક કુમારે રાજૌરીમાં પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યુ કે, 'પોલીસ અને સુરક્ષા એજન્સીઓની સુરક્ષામાં આ ગંભીર ખામી છે. સુરક્ષા એજન્સીઓ દ્વારા આ એક ગંભીર સુરક્ષા ભૂલ છે. લઘુમતી સમુદાયના લોકો સુરક્ષિત અનુભવતા નથી. વહીવટીતંત્રે કડક પગલાં ભરવા જોઈએ. વિરોધ પ્રદર્શન કરી રહેલા સ્થાનિકોની માંગ પર ઉપ રાજ્યપાલ મનોજ સિન્હાએ ગામની મુલાકાત લીધી હતી, જેમણે મૃતદેહોના અંતિમ સંસ્કાર કરવાનો ઇનકાર કર્યો હતો. તેમણે સોમવારે રાત્રે જાહેરાત કરી હતી કે કથિત 'સુરક્ષા ચૂક' માટે તપાસ હાથ ધરવામાં આવશે અને અહેવાલના આધારે પગલાં લેવાનુ વચન આપ્યુ હતુ. ગ્રામીણ સંરક્ષણ સમિતિને તાત્કાલિક મજબૂત કરવામાં આવશે.
ઉપરાજ્યપાલે વધુમાં કહ્યુ, 'અમે સુરક્ષા દળોને સંપૂર્ણ સ્વતંત્રતા આપી છે અને હું લોકોને ખાતરી આપવા માંગુ છુ કે આ હુમલાના ગુનેગારોને જલ્દી સજા કરવામાં આવશે. આતંકવાદીઓ અને સમગ્ર આતંકવાદી નેટવર્કને કચડી નાખવાનો અમારો મક્કમ સંકલ્પ છે. ઘટનાને કારણે રાજૌરી સહિત સમગ્ર જિલ્લામાં વિરોધ અને સંપૂર્ણ બંધ વચ્ચે પોલીસ મહાનિર્દેશક (ડીજીપી) દિલબાગ સિંહે ઘટના સ્થળની મુલાકાત લીધી અને કહ્યુ કે આઈઈડી વિસ્ફોટનો હેતુ વરિષ્ઠ અધિકારીઓને નિશાન બનાવવાનો હતો, જે ત્યાં પહોંચવાના હતા. અધિકારીઓ સ્થળ પર મોડા પહોંચ્યા. ત્યાં સુધીમાં ઘટના બની ગઈ હતી. અમે તેમને (હુમલાખોરોને) જડબાતોડ જવાબ આપીશુ.'
ડીજીપી દિલબાગ સિંહે કહ્યુ, 'તમે મને જે કહ્યુ છે (સુરક્ષા ચૂક અને પગલાં વિશે), હું વચન આપુ છુ કે અમે આ બાબતના મૂળ સુધી જઈશુ. જે પણ કડક કાર્યવાહીની જરૂર પડશે, તે કરવામાં આવશે.' ઉપરાજ્યપાલને મળ્યા પછી વિરોધ-પ્રદર્શનકારી ગામ લોકો મંગળવારે સવારે અંતિમ સંસ્કાર કરવા માટે સંમત થયા હતા. સિંહાએ સોમવારે કહ્યુ હતુ કે જમ્મુ અને કાશ્મીરના ડાંગરી ગામમાં આતંકવાદી હુમલામાં સામેલ લોકોને છોડવામાં આવશે નહીં. તેમણે ઘટનામાં માર્યા ગયેલા નાગરિકોના પરિવારજનોને 10 લાખ રૂપિયાનુ વળતર અને સરકારી નોકરીની જાહેરાત કરી હતી.












Click it and Unblock the Notifications
