ગુરમેહરનું સમર્થન કરવાના ચક્કરમાં જાવેદ અખ્તર સપડાયા
જાવેદ અખ્તરે ટ્વીટ કર્યું છે કે, ઓછા ભણેલા ખેલાડી કે પહેલવાન શહીદની પુત્રીને ટ્રોલ કરે એ વાત સમજાય છે, પરંતુ મને એ વાત નથી સમજાતી કે બધા ભણેલા-ગણેલા લોકોને શું થઇ ગયું છે?
દિલ્હી યુનિવર્સિટીની વિદ્યાર્થીની ગુરમેહર કૌરે ભલે એબીવીપી વિરુદ્ધના કેમ્પેનમાંથી પોતાનું નામ પાછુ લઇ લીધું હોય, પરંતુ આ મામલે વિવાદો થોભવાનું નામ નથી લેતા. સોશિયલ મીડિયા પર અને ખાસ કરીને ટ્વીટર પર જાણે આ મામલે યુદ્ધ છેડાઇ ગયું છે. અનેક જાણીતી હસ્તીઓ આ અંગે પોતાના મંતવ્યો રજૂ કરવા સાથે એકબીજાની સામ-સામે આવી ગયા છે. જાવેદ અખ્તર અને બબીતા ફોગાટ, યોગેશ્વર દત્ત વચ્ચે ટ્વીટર પણ જાણે વાક યુદ્ધ ખેલાઇ રહ્યું છે.
ગુમેહર કૌરના સમર્થનમાં જાવેદ અખ્તર
ગુરમેહર કૌરના પિતા મંદીપ સિંહ કારગિલ યુદ્ધમાં શહીદ થયા હતા. એબીવીપી વિરુદ્ધ સોશિયલ મીડિયા પર કેમ્પેન શરૂ કરતાં તેણે ફેસબૂક પર એક તસવીર પોસ્ટ કરી હતી, જેમાં તેણે હાથમાં પકડેલા પોસ્ટકાર્ડ પર લખ્યું હતું, પાકિસ્તાને નહીં, યુદ્ધે મારા પિતાનો જીવ લીધો છે. બસ ત્યારબાદ સોશિયલ મીડિયા પર જંગ છેડાઇ ગઇ. લોકોએ ગુરમેહરને દેશદ્રોહી ગણાવી, તો સામે ઘણા લોકો તેના સમર્થનમાં આગળ આવ્યા. વિરેન્દ્ર સહેવાગ, બબીતા ફોગાટ જેવી હસ્તીઓએ સોશિયલ મીડિયા પર આ અંગે ગુરમેહરની મજાક બનાવી હતી, હવે જાહેદ અખ્તરે આ યુદ્ધમાં ઝંપલાવતા ગુરમેહરના સમર્થનમાં ટ્વીટ કર્યું છે.
|
વીરેન્દ્ર સહેવાગનું ટ્વીટ
વીરેન્દ્ર સહેવાગે ગુરમેહરની હાંસી ઉડાવતી એક પોસ્ટ સોશિયલ મીડિયા પર શેર કરી હતી. જેમાં એક તસવીરમાં સેહવાગના હાથમાં પકડેલા પોસ્ટરમાં લખ્યું હતું, મેં ટ્રિપલ સેન્ચૂરી નથી મારી, એ કામ મારા બેટનું છે. સેહવાગના ટ્વીટને રણદીપ હુડ્ડાએ તાળીઓથી વધાવ્યું હતું.
|
યોગેશ્વર દત્તની મજાક
ત્યાર બાદ પહેલવાન યોગેશ્વર દત્તે પણ એક વાયરલ પોસ્ટ પોતાના ટ્વીટર એકાઉન્ટ પર પોસ્ટ કરી હતી. જેમાં ગુરમેહરના ફોટા સાથે હિટલર, ઓસામા બિન લાદેન અને કાળિયારની તસવીરો છે. હિટલરમાં લખ્યું, મેં લોકોને નથી માર્યા, ઝેરીલા ગેસથી લોકો મર્યા છે. ઓસામાની તસવીર પર લખ્યું છે. મેં નહીં, બોમ્બને કારણે લોકો મર્યા છે. કાળિયારની તસવીર પર લખ્યું હતું, ભાઇએ(સલમાન ખાન) મને નથી માર્યું, મારું મૃત્યુ તો ગોળી વાગવાથી થયું હતું.
બબીતા ફોગાટ
રેસલર બબીતા ફોગાટે ગુરમેહરની મજાક નહોતી ઉડાવી, પરંતુ જ્યારે ગુરમેહરના મામલે તેમનું સમર્થન માંગવામાં આવ્યું તો તેમણે સ્પષ્ટ ના પાડતાં ટ્વીટ કર્યું હતું કે, જે પોતાના દેશના હક માટે ના બોલી શકે, તેના હક માટે બોલવાનો શું ફાયદો? આ મામલો હજુ આટોપાય એ પહેલાં જ રણમેદાનમાં જાવેદ અખ્તરનો પ્રવેશ થયો છે.
|
જાવેદ અખ્તર ગુરમેહરના સમર્થનમાં
જાવેદ અખ્તરે ગુરમેહરનું સમર્થન કરતાં કંઇક એવા ટ્વીટ કર્યાં છે, જેને કારણે યોગેશ્વર દત્ત, બબીતા ફોગાટ અને મહાવીર ફોગાટની લાગણી દુભાઇ છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં લખ્યું છે, ઓછા ભણેલા ખેલાડી કે પહેલવાન શહીદની પુત્રીને ટ્રોલ કરે એ વાત સમજાય છે, પરંતુ મને એ વાત નથી સમજાતી કે બધા ભણેલા-ગણેલા લોકોને શું થઇ ગયું છે?
યોગેશ્વર દત્ત અને બબીતા ફોગાટનો જવાબ
જાવેદ અખ્તરના ટ્વીટ પરથી એ વાત તો સાફ હતી કે તેમનો ઇશારો વિરેન્દ્ર સહેવાગ, યોગેશ્વર દત્ત અને બબીતા ફોગાટ પર હતો. આ મામલે ચુપ્પી ન સાધતાં યોગેશ્વર દત્ત અને બબીતા ફોગાટ બંન્નેએ જાવેદ અખ્તરને સણસણતો જવાબ આપ્યો છે. યોગેશ્વર દત્તે ટ્વીટ કરતાં લખ્યું છે, તમે કવિતા-વાર્તીઓની રચના કરી છે, તો અમે પણ ભલે નાનકડા પણ કારનામાં કરી વૈશ્વિક ઇતિહાસમાં ભારતનું નામ રોશન કર્યું છે. બબીતા ફોગાટે લખ્યું છે, મેં શાળા જોઇ પણ નહોતી ત્યારથી 'ભારત માતાની જય' બોલું છું. દેશભક્તિ પુસ્તકોમાંથી નથી આવતી.
|
મધુર ભંડારકારનો જાવેદ અખ્તરને જવાબ
જાવેદ અખ્તરના આ ટ્વીટનો જવાબ જાણીતા બોલિવૂડ ડિરેક્ટર અને પ્રોડ્યૂસર મધુર ભંડારકરે પણ આપ્યો છે. તેમણે જાવેદ અખ્તરને ટ્વીટ કરતાં લખ્યું છે કે, ભણતરને વાણી સ્વાતંત્ર્ય સાથે કોઇ લેવા-દેવા નથી. હું છઠ્ઠું નાપાસ છું, છતાં કોઇ મને મારા અભિપ્રાયો કહેતા રોકી શકે એમ નથી.
|
કિરણ રિજીજૂને પણ જાવેદ અખ્તરનો જવાબ
જાવેદ અખ્તર આટલેથી જ ન અટકતાં તેમણે કેન્દ્રિય મંત્રી કિરણ રિજીજૂ પર પણ પ્રહાર કર્યો હતો. કિરણ રિજીજૂએ ગુરમેહરના મામલે ટ્વીટ કરતાં લખ્યું હતું કે, કોણ આ યુવતીનું મગજ ખરાબ કરી રહ્યું છે? તેમના આ ટ્વીટના સંદર્ભમાં જાવેદ અખ્તરે લખ્યું છે કે, મને ગુરમેહર વિશે તો નથી ખબર, પરંતુ એ ચોક્કસ ખબર છે કે તમારા મગજમાં ઝેર કોણ ભરી રહ્યું છે!
અહીં વાંચો