હિન્દીના ઉપયોગ અંગે મોદી સરકારના નિર્દેશથી જયલલિતા, ઓમર, વાઇકો રોષે ભરાયા
નવી દિલ્હી, 20 જૂન : નરેન્દ્ર મોદી સરકારમાં ગૃહ વિભાગે દરેક વિભાગને હિન્દીમાં સરકારી કામકાજ કરવા અંગે આપેલા નિર્દેશથી દક્ષિણ ભારતના રાજનેતાઓમાં રોષ પ્રસરી ગયો છે. તેઓ સરકારના આ નિર્દેશનો વિરોધ નોંધાવી રહ્યા છે. એનડીએ સરકાર વિરુદ્ધ તામિલ નાડુમાં ઊભો થયેલો રાજકીય વિરોધ પ્રસર્યો છે.
અગાઉ ડીએમકે પાર્ટીના પ્રમુખ કરૂણાનિધિએ બિન હિન્દીભાષી વિભાગો પર હિન્દી ભાષા લાદવામાં આવશે એવો ભય વ્યક્ત કરીને કેન્દ્ર સરકારની હિલચાલ સામે વિરોધ કર્યો છે. હવે તમિલનાડુના મુખ્ય પ્રધાન જયલલિતાએ તેમજ ભાજપના સાથી પક્ષોએ પણ કરુણાનીધિનેટેકો આપ્યો છે.

જયલલિતાએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને આક્રમક ભાષામાં પત્ર લખ્યો છે જેમાં તેમણે ગૃહ મંત્રાલયના પ્રસ્તાવને ‘સત્તાવાર ભાષા કાયદા, 1963'ની મૂળ ભાવનાની વિરુદ્ધનો ગણાવ્યો છે. જયલલિતાએ કહ્યું છે કે આ મુદ્દો અત્યંત સંવેદનશીલ છે, કારણ કે તામિલ નાડુના લોકો તેમના ભાષાકીય વારસા માટે અત્યંત ગર્વની લાગણી ધરાવે છે. જયલલિતાએ એમ પણ કહ્યું છે કે તમારી સરકાર આદેશોમાં જરૂરી ફેરફારો કરીને નક્કી કરે કે સોશ્યલ મીડિયા પર સંવાદની ભાષા અંગ્રેજી હોય.
જયલલિતાએ પત્રમાં લખ્યું છે કે, સોશ્યલ મીડિયા ઈન્ટરનેટ ઉપર તમામ વ્યક્તિઓ સુધી પહોંચે છે એટલું જ નહીં, તેઓ 'રીજન-C' સહિત ભારતના તમામ ભાગોમાં રહેતા લોકો માટે સંદેશવ્યવહારનું સાધન છે. 'રીજન-C'માં સામેલ લોકો સાથે કેન્દ્ર સરકારનો સંદેશવ્યવહાર અંગ્રેજીમાં થાય એ જરૂરી છે. જો તે અંગ્રેજીમાં નહીં હોય તો લોકો સુધી માહિતી પહોંચી નહીં શકે. તેથી સરકારની હિલચાલ ઓફિશ્યલ લેન્ગ્વેજીસ એક્ટ, 1963ની મૂળ ભાવનાથી વિપરીત છે.
કરૂણાનિધિની પાર્ટીએ 1960ના દાયકામાં હિન્દીના વિરોધમાં આંદોલન કર્યું હતું અને તેમાં સફળતા મેળવી હતી. 90વર્ષના આ નેતાએ સવાલ ઉઠાવ્યો છે કે બંધારણના 8મા પરિશિષ્ઠમાં દર્શાવેલી અન્ય ભાષાઓ પર હિન્દીને શા માટે પ્રાધાન્ય આપવું જોઈએ.












Click it and Unblock the Notifications
