'અમને ન્યાય જોઇએ છે, PMએ અમારા સવાલનો જવાબ આપવો પડશે'
દેશની રાજધાની દિલ્હીમાં મંગળવારે ગુજરાતના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ હુંકાર રેલી કરવા માંગતા હતા, પરંતુ દિલ્હી પોલીસ તરફથી તેમને પરવાનગી આપવામાં આવી નથી.
દેશની રાજધાની દિલ્હીમાં મંગળવારે ગુજરાતના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી, અખિલ ગોગોઈ અને શહલા રશીદ સંસદ માર્ગ પર હુંકાર રેલી કરી રહ્યા છે, પરંતુ દિલ્હી પોલીસ તરફથી તેમને પરવાનગી આપવામાં આવી નથી. આ મામલે જીજ્ઞેશ મેવાણી અને પોલીસ વચ્ચે વિવાદ થયો હતો. આયોજન સ્થળ પર મોટી સંખ્યામાં જીજ્ઞેશ મેવાણીના સમર્થકો હાજર છે, કડકડતી ઠંડી છતાં 400થી વધુ લોકો રેલીમાં હાજર છે. યુપીની ભીમ આર્મીના સમર્થકો પણ રેલીમાં જોવા મળ્યાઅને તેમના હાથમાં તેમના નેતા ચંદ્રશેખરની તસવીર હતી. જીજ્ઞેશ મેવાણીના સમર્થકોનું કહેવું છે કે, અમને જાણીજોઇને રેલી કરવાથી રોકવામાં આવી રહ્યા છે. પહેલા અમને પરવાનગી મળી હતી, પરંતુ હવે ના પાડી રહ્યાં છે. આ યોગ્ય નથી.
જીજ્ઞેશે PMને કર્યો સવાલ
રેલીમાં જીજ્ઞેશ મેવાણીએ કહ્યું કે, અમે કોઇ ધર્મની વિરુદ્ધ નહોતા, ન તો થઇશું. અમે બંધારણને માનીએ છીએ. બાબા સાહેબ અને ફૂલના વિચારોને માનીએ છીએ, માટે અમે હંમેશા બંધારણની વાત કરીશું. હું દેશના પીએમ મોદીને કહેવા માંગુ છું કે, હવે તો હું ગુજરાતનો ધારાસભ્ય છું, તમારે મારા દરેક સવાલનો જવાબ આપવો પડશે. ભીમા-કોરેગાંવ હિંસા માટે ગોગોઈ વિરુદ્ધ એફઆઈઆર કેમ નોંધાઇ, તમારે રોહિત વેમુલા અંગે જવાબ આપવો પડશે. તમારે જવાબ આપવો પડશે કે ભીમ આર્મીને શા માટે નિશાન બનાવવામાં આવી રહી છે. લવ જિહાદના નામે જેટલી રાજનીતિ કરવી હોય કરી લો, અમે પ્રેમની વાતો કરીશું. હું પીએમ મોદીને પૂછું છું કે, તમે શું પસંદ કરશો, મનુ સ્મૃતિ કે બંધારણ?
ઉમર ખાલિદ અને પ્રશાંત ભૂષણ
જીજ્ઞેશ મેવાણીની રેલીમાં પ્રશાંત ભૂષણે કહ્યું કે, દિલ્હી પોલીસે રેલી રોકવા માટે પરવાનગી ન આપી, આથી ભીડ ઓછી છે, પરંતુ આ એક નવી શરૂઆત છે. દેશમાં એક નવી આશા ઊભી થઇ છે, એક જૂઠી રાજનીતિ વિરુદ્ધ એક તાકાત ઊભી થઇ રહી છે. આ પ્રેમની રાજનીતિ છે, વેરની નહીં. ઉમર ખાલિદે અહીં કહ્યું કે, અમને ચંદ્રશેખર, રોહિત વેમુલા માટે ન્યાય જોઇએ. આ સરકાર મનુવાદિઓની સરકાર છે. પીએમ મોદીનો પરપોટો ફૂટી ગયો છે, સાડા ત્રણ વર્ષ પહેલાં લોકો મોદી લહેરની વાત કરતા હતા, આપણા દેશના ભાગલા પાડવામાં આવ્યા અને એવું લાગ્યું જાણે વિપક્ષ છે જ નહીં, પરંતુ આજે મોદી સરકાર વિરુદ્ધ કોઇ અવાજ છે તો એનો શ્રેય યુવાઓ, મહિલાઓ, ખેડૂતો અને સામાન્ય માણસના આંદોલનને જાય છે.
જીજ્ઞેશ મેવાણી
આ પહેલાં મીડિયા સાથે વાત કરતાં જીજ્ઞેશ મેવાણીએ કહ્યું કે, આ બદનસીબીની વાત છે. અમે માત્ર શાંતિપૂર્વક રેલી કાઢવા માંગતા હતા. સરકાર અમને ટાર્ગેટ કરી રહી છે. એક ચૂંટાયેલા પ્રતિનિધને બોલવાની પરવાનગી પણ નથી. આ દેશમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ જો યુવાઓ માટે રોજગાર, સામાજિક ન્યાય અને દલિતો તથા અલ્પસંખ્યકો માટે બોલવા દેવામાં નહીં આવે. મોદી સરકાર અમારો અવાજ દબાવવાનો પ્રયત્ન કરી રહી છે. જો દિલ્હી પોલીસે અમારી પર એક્શન લીધું તો એ ખોટું થશે. તેમના સમર્થકોએ કહ્યું કે, જો અમને રોકવાનો પ્રયત્ન કરવામાં આવ્યો તો પણ અમે નહીં રોકાઇએ. જીજ્ઞેશ મેવાણી જનસભા માટે પાર્લામેન્ટ સ્ટ્રીટ તરફ રવાના થયા છે. એ પહેલાં તેઓ આંબેડકર પાર્ક પહોંચ્યા હતા અને આંબેડકરને શ્રદ્ધાંજલિ આપી હતી.