જસ્ટીસ ડીવાય ચંદ્રચૂડ બન્યા ભારતના 50માં મુખ્ય ન્યાયાધીશ, રાષ્ટ્રપતિ મુર્મૂએ અપાવી શપથ
જસ્ટીસ ડીવાય ચંદ્રચૂડ ભારતના 50માં મુખ્ય ન્યાયાધીશ બની ગયા છે.
નવી દિલ્લીઃ જસ્ટીસ ડીવાય ચંદ્રચૂડ ભારતના 50માં મુખ્ય ન્યાયાધીશ બની ગયા છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મીએ રાષ્ટ્રપતિ ભવનમાં ન્યાયમૂર્તિ ચંદ્રચૂડને ભારતના 50માં મુખ્ય ન્યાયાધીશ તરીકે પદના શપથ લેવડાવ્યા. જસ્ટીસ ડીવાય ચંદ્રચૂડનો કાર્યકાળ બે વર્ષનો રહેશે. તેઓ 10 નવેમ્બર 2024ના રોજ નિવૃત્ત થશે. તમને જણાવી દઈએ કે સુપ્રીમ કોર્ટના જજ 65 વર્ષની વયે નિવૃત્ત થાય છે.
ડીવાય ચંદ્રચૂડના પિતા પણ હતા ભારતના મુખ્ય ન્યાયાધીશ
જસ્ટીસ ચંદ્રચૂડનો જન્મ 11 નવેમ્બર, 1959ના રોજ થયો હતો. જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડ મહારાષ્ટ્રના પુણેના છે. તેમના દાદા વિષ્ણુ બી ચંદ્રચૂડે સાવંતવાડી (હાલના મહારાષ્ટ્રના સિંધુદુર્ગ જિલ્લામાં) રજવાડાના દિવાન તરીકે સેવા આપી હતી. ડીવાય ચંદ્રચૂડના પિતા વાયવી ચંદ્રચૂડે પણ ભારતના 13માં મુખ્ય ન્યાયાધીશ તરીકે સેવા આપી હતી, જેઓ એક શાસ્ત્રીય સંગીતકાર હતા.
દિલ્લી અને હાવર્ડ યુનિવર્સિટીમાં કર્યો અભ્યાસ
ડીવાય ચંદ્રચૂડે સેન્ટ સ્ટીફન્સ કૉલેજ અને દિલ્લી યુનિવર્સિટીના કાયદા વિભાગમાં અભ્યાસ કર્યો છે. ત્યારબાદ તેઓ હાર્વર્ડ યુનિવર્સિટી ગયા. જ્યાંથી તેમણે 1983માં એલએલએમ કર્યુ. 1986માં ન્યાયિક વિજ્ઞાનમાં તેમણે ડૉક્ટરેટ કર્યા પછી બૉમ્બે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં વકીલ તરીકે પ્રેક્ટિસ કરી. આ પછી તેમણે 1998થી 2000 સુધી ભારતના એડિશનલ સૉલિસિટર જનરલ તરીકે પણ સેવા આપી હતી. 29 માર્ચ 2000ના રોજ તેઓ બૉમ્બે હાઈકોર્ટના અધિક ન્યાયાધીશ તરીકે નિયુક્ત થયા.
મુંબઈ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ
જસ્ટીસ ચંદ્રચુડ અલાહાબાદ હાઈકોર્ટના ચીફ જસ્ટીસ પણ રહી ચૂક્યા છે. અલાહાબાદ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ બનતા પહેલા તેઓ મુંબઈ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ હતા. ડીવાય ચંદ્રચુડને મુંબઈ હાઈકોર્ટ તરફથી જૂન 1998માં વરિષ્ઠ વકીલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તે જ વર્ષે તેઓ એડિશનલ સૉલિસિટર જનરલ તરીકે નિયુક્ત થયા હતા.
સુપ્રીમ કોર્ટના જજ
જસ્ટિસ ચંદ્રચૂડ સુપ્રીમ કોર્ટના બીજા સૌથી વરિષ્ઠ જજ પણ છે. તેમને 13 મે, 2016ના રોજ સુપ્રીમ કોર્ટના જજ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેમના પિતા જસ્ટિસ વાયવી ચંદ્રચુડ 2 ફેબ્રુઆરી 1978થી 11 જુલાઈ 1985 સુધી ભારતના 16માં મુખ્ય ન્યાયાધીશ હતા. જસ્ટીસ ચંદ્રચૂડ 31 ઓક્ટોબર 2013થી સુપ્રીમ કોર્ટમાં તેમની નિમણૂક સુધી અલાહાબાદ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ હતા. તેઓ 29 માર્ચ, 2000થી અલાહાબાદ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે તેમની નિમણૂક સુધી બૉમ્બે હાઈકોર્ટના ન્યાયાધીશ હતા.
ડીવાય ચંદ્રચૂડના ઐતિહાસિક ચુકાદા
મુખ્ય ન્યાયાધીશ ચંદ્રચૂડે આધાર, સબરીમાલા વગેરે પર કલમ 377ને ગેરકાયદેસર બનાવવા સહિત ઘણા ઐતિહાસિક નિર્ણયો પણ આપ્યા છે. તાજેતરમાં જ તેમની અધ્યક્ષતાવાળી બેન્ચે અપરિણીત મહિલાઓને ગર્ભપાત કરાવવાની મંજૂરી આપી હતી. 10 ઑક્ટોબર, 2022ના રોજ, વર્તમાન સીજેઆઈ યુયુ લલિત દ્વારા ભારતના મુખ્ય ન્યાયાધીશના પદ માટે તેમના નામની ભલામણ કરવામાં આવી હતી.
Justice DY Chandrachud formally takes oath as the new Chief Justice of India pic.twitter.com/JY0xdSrLEB
— ANI (@ANI) November 9, 2022