પિયુષ જૈનને આજે કોર્ટમાં કરવામાં આવશે હાજર, ટ્રાન્ઝિટ રિમાન્ડ પર લાવવામાં આવશે અમદાવાદ
પિયુષ જૈનને આજે કોર્ટમાં હાજર કરવામાં આવશે ત્યારબાદ ટ્રાન્ઝિટ રિમાન્ડ પર અમદાવાદ લાવવામાં આવશે.
કાનપુરઃ કાનપુરના અત્તરના વેપારી અને કન્નૌજના ધનકુબેર ગણાતા પિયુષ જૈનની રવિવારે રાતે ડીજીસીઆઈની ટીમે ધરપકડ કરી લીધી. રાતે જ પિયુષ જૈનનુ મેડિકલ કરાવવામાં આવ્યુ. પિયુષ જૈનને આજે કોર્ટમાં હાજર કરવામાં આવશે ત્યારબાદ ટ્રાન્ઝિટ રિમાન્ડ પર અમદાવાદ લઈ જવામાં આવશે. રિમાન્ડ પર પિયુષ જૈન પાસેથી મળેલા કરોડો રૂપિયાના કેશ, સોના, ચાંદીના સ્ત્રોતો વિશે પૂછપરછ કરવામાં આવશે.
પિયુષ જૈન કોણ છે?
પિયુષ જૈન કન્નૌજનો મોટો વેપારીઓમાં ગણાય છે. પિયુષ જૈન અત્તરનો મોટો વેપારી છે. તેને કન્નૌજનો ધનકુબેર પણ કહેવામાં આવે છે. પિયુષ જૈન 40થી વધુ કંપનીઓનો માલિક છે. આમાંથી બે કંપનીઓ મિડલ ઈસ્ટમાં છે. કન્નૌજનમાં પિયુષ જૈનની પરફ્યુમની ફેક્ટરી, કોલ્ડ સ્ટોરેજ અને પેટ્રોલ પંપ પણ છે. મુંબઈમાં પિયુષ જૈનની હેડ ઑફિસ અને એક બંગલો પણ છે. પિયુષ જૈન અત્તરનો બિઝનેસ મુંબઈથી કરે છે. અહીંથી તેમનુ અત્તર વિદેશોમાં પણ મોકલવામાં આવે છે.
જપ્ત કરવામાં આવ્યા 187.45 કરોડ રૂપિયા
પિયુષ જૈનના કાનપુર સ્થિત ઘરે ડીજીજીઆઈ અને આઈટીની સંયુક્ત ટીમે 23 ડિસેમ્બરની સવારે રેડ પાડી હતી. 24 ડિસેમ્બરની સાંજ સુધી ટીમે 177 કરોડ રુપિયા જપ્ત કર્યા હતા. પિયુષના ઘરમાંથી મળેલ કેશ જોઈને અધિકારીઓના પણ હોશ ઉડી ગયા હતા. કેશ ગણવા માટે 14 મશીનો અને એસબીઆઈના અધિકારીઓની મદદ લેવામાં આવી. 24 ડિસેમ્બરની સાંજે એક ટીમ પિયુષના દીકરા પ્રત્યુશને લઈને કન્નૌજ સ્થિત ઘરે પહોંચી જ્યાં ભોયરામાંથી રુપિયાથી ભરેલી આઠ બોરી અને એક બોક્સમાં સોનાના બિસ્કિટ મળ્યા. બોરીમાં મળેલી કેશની ગણતરી માટે અધિકારીઓએ નોટો ગણતરી કરતી મશીનો મંગાવી. ન્યૂઝ એજન્સી એએનઆઈના જણાવ્યા મુજબ અહીં લગભગ 10 કરોડ રૂપિયા કેશ જપ્ત કરવામાં આવ્યા છે ત્યારબાદ કુલ 187.45 કરોડ રૂપિયાની જપ્તી પિયુષ જૈનના ઘરમાંથી થઈ ચૂકી છે.
પિયુષ જૈન આજે કોર્ટમાં થશે હાજર
પિયુષ જૈનની રવિવારે મોડી રાતે ધરપકડ કરી લેવામાં આવી છે. એક વરિષ્ઠ અધિકારીએ કહ્યુ કે પિયુષ જૈનને જીએસટી ઈન્ટેલીજન્સના અધિકારીઓએ કરચોરીના આરોપમાં ધરપકડ કરી છે. આજે તેને અદાલતમાં હાજર કરવામાં આવશે. તેમણે કહ્યુ કે અત્તર ઉદ્યોગપતિને આગળની કાર્યવાહી માટે કાનપુરથી અમદાવાદ લઈ જવાની સંભાવના છે. ગુડ્ઝ એન્ડ સર્વિસીસ ટેક્સના જોઈન્ટ કમિશ્નર(કાનપુર) સુરેન્દ્રકુમારે રવિવારે રાતે કહ્યુ હતુ કે જૈનની ટેક્સ ચોરીના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે.