મોદી સાચા હિંદુ નથી, માત્ર હિંદુત્વ અપનાવી લીધું છે: કપિલ સિબ્બલ
રાહુલ ગાંધીની સોમનાથ મંદિર મુલાકાત અંગે વિવાદકપિલ સિબ્બલે પીએમ મોદીના હિંદુત્વ અંગે કરી ટિપ્પણીઆ વિશે વધુ વાંચો અહીં...
ગુજરાત વિધાનસભા ચૂંટણીને આડે બહુ ઓછા દિવસો બાકી છે ત્યારે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીની મંદિર મુલાકાતો અંગેનો વિવાદ શાંત થવાનું નામ નથી લેતો. ભાજપ દ્વારા ધર્મ અંગે કરવામાં આવેલ ટિપ્પણી કોંગ્રેસે વળતો પ્રહાર કર્યો છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલે કહ્યું કે, નરેન્દ્ર મોદી સાચા હિંદુ નથી, આ લોકોએ હિંદુ ધર્મ ભૂલીને હિંદુત્વ અપનાવી લીધું છે. સાચા હિંદુ એ છે, જે તમામ ભારતીયોને પોતાના ભાઇ, બહેન માને. પત્રકારો સાથે વાત કરતાં કપિલ સિબ્બલે કહ્યું કે, ભ્રષ્ટાચાર ક્યાં ઘટ્યો છે? હાલમાં જ એક સર્વેમાં ભારતને સૌથી ભ્રષ્ટ દેશ કહેવામાં આવ્યો હતો. ગુજરાતમાં જઇને જુઓ, રસ્તાઓ ખરાબ પડ્યા છે. ના વીજળી છે અને ના પાણી છે.
જીએસટીના મુદ્દે પીએમ મોદી પર પ્રહારો કરતા તેમણે કહ્યું હતું કે, કેન્દ્ર સરકારે વગર વિચાર્યે-સમજે જીએસટી લાગુ કરી દીધો. ગુજરાત ચૂંટણીમાં ભાજપ જીએસટી-નોટબંધી અંગે વાતો નથી કરી રહી, તેમની પાસે વધારે મુદ્દાઓ નથી, આથી જ એ લોકો નીચલી કક્ષાનું રાજકારણ કરી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે, સોમવારે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ બુધવારે સોમનાથ મંદિરના દર્શન કર્યા હતા. એ દરમિયાન એવી વાતો સામે આવી હતી કે, રાહુલ ગાંધીએ બિન-હિંદુઓ માટે બનેલ રજિસ્ટરમાં પોતાનું નામ નોંધાવ્યુ હતું. વિવાદ વધતાં કોંગ્રેસ તરફથી સોમનાથ મંદિરના રજિસ્ટર બુકની તસવીર જાહેર કરી હતી. એ તસવીરમાં રાહુલ ગાંધીએ લખ્યું છે કે, પ્રેરણા આપનાર સ્થળ. સાથે જ રાહુલ ગાંધીના હસ્તાક્ષર પણ છે. કોંગ્રેસ તરફથી કહેવામાં આવ્યું છે કે, સોમનાથ મંદિરમાં માત્ર એક જ આગંતુક પુસ્તિકામાં રાહુલ ગાંધીના હસ્તાક્ષર છે, અન્ય કોઇ પણ તસવીર સંપૂર્ણ પણે બનાવટી અને નકલી છે.