કપિલ સિબ્બલે આપ્યું કોંગ્રેસમાંથી રાજીનામું, રાજ્યસભા માટે નોંધાવી અપક્ષ ઉમેદવારી
ઉત્તર પ્રદેશમાં રાજ્યસભાની 11 બેઠકોની ચૂંટણી માટે બુધવારના રોજ લખનઉમાં સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવની હાજરીમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલે રાજ્યસભાની ચૂંટણી માટે પોતાનું નામાંકન દાખલ કર્યું હતું.
લખનઉ, 25 મે : ઉત્તર પ્રદેશમાં રાજ્યસભાની 11 બેઠકોની ચૂંટણી માટે બુધવારના રોજ લખનઉમાં સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવની હાજરીમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલે રાજ્યસભાની ચૂંટણી માટે પોતાનું નામાંકન દાખલ કર્યું હતું. કપિલ સિબ્બલે કહ્યું કે, સપાના સમર્થનથી રાજ્યસભાની ચૂંટણી માટે સ્વતંત્ર ઉમેદવારી નોંધાવ્યા બાદ મેં 16 મે ના રોજ કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું હતું.
અપક્ષ ઉમેદવારી નોંધાવી
કપિલ સિબ્બલે રાજ્યસભાની ચૂંટણી માટે અપક્ષ તરીકે ફોર્મ ભર્યું છે. નામાંકન ભરતી વખતે સપા પ્રમુખ અખિલેશ યાદવ અને પાર્ટીના સાંસદ રામ ગોપાલ યાદવ હાજર હતા. આ દરમિયાન તેમણે કહ્યું, મેં એક સ્વતંત્ર ઉમેદવાર તરીકે રાજ્યસભા માટે નોમિનેશન ભર્યું છે. મને સમર્થન આપવા માટે હું અખિલેશ યાદવનો આભારી છું. હું આઝમ ખાનનો પણ આભાર વ્યક્ત કરું છું.
'જો અપક્ષનો અવાજ બુલંદ થાય તો...'
કપિલ સિબ્બલે પોતાના નિવેદનમાં વધુમાં કહ્યું હતું કે, હું સમજું છું કે, જ્યારે અપક્ષનો અવાજ ઉઠાવવામાં આવશે, ત્યારે લોકોને લાગશે કે તેઓ કોઈ પક્ષ સાથે જોડાયેલા નથી. અમે વિપક્ષમાં રહીને ગઠબંધન કરવા માંગીએ છીએ જેથી અમે વિરોધ કરીએ. અમે ઈચ્છીએ છીએ કે 2024માં આવું વાતાવરણ સર્જાય, જેથી મોદી સરકારની ખામીઓને લોકો સમક્ષ લાવી શકાય. હું તેના પ્રયાસો કરીશ.
#WATCH | Kapil Sibal filed nomination for Rajya Sabha elections, with the support of SP, in presence of party chief Akhilesh Yadav & party MP Ram Gopal Yadav
— ANI UP/Uttarakhand (@ANINewsUP) May 25, 2022
He says, "I've filed nomination as Independent candidate. I have always wanted to be an independent voice in the country" pic.twitter.com/HLMVXYccHR
કોંગ્રેસ છોડ્યા બાદ કહી આ વાત
કોંગ્રેસ છોડવાના સવાલ પર સિબ્બલે જણાવ્યું હતું કે, જ્યાં સુધી હું કોંગ્રેસમાં હતો, ત્યાં સુધી હું અહીં-ત્યાં ટિપ્પણી કરી શકતો હતો. હવે હું કોંગ્રેસમાં નથી, મેં રાજીનામું આપી દીધું છે, તેથી હું કોંગ્રેસ વિશે કંઈ કહીશ નહીં. 30-31 વર્ષથી કોઈની સાથે સંબંધ રાખ્યા બાદ, તેની સાથે સંબંધ છોડવો એ સરળ કામ નથી.
અખિલેશ યાદવનું નિવેદન
બીજી તરફ કપિલ સિબ્બલના નોમિનેશન પર સપા પ્રમુખ અખિલેશ યાદવે કહ્યું કે, આજે કપિલ સિબ્બલે રાજ્યસભા માટે નોમિનેશન કર્યું છે. તેઓ સમાજવાદી પાર્ટીના સમર્થનથી રાજ્યસભામાં જઈ રહ્યા છે. પ્રથમ નોંધણી થઈ ગઈ છે. અમને આશા છે કે કપિલ સિબ્બલ દેશના મોટા મુદ્દાઓ પર પોતાનો અને સમાજવાદી પાર્ટીનો પક્ષ રજૂ કરી શકશે. પાર્ટી તરફથી વધુ બે લોકો જઈ શકે છે, ટૂંક સમયમાં તેઓને પણ નોમિનેટ કરવામાં આવશે.
ડિમ્પલ યાદવ અને જાવેદ અલી ખાન પણ સપા તરફથી ઉમેદવાર છે
વાસ્તવમાં કપિલ સિબ્બલને લઈને અનેક પ્રકારની અટકળો લગાવવામાં આવી રહી હતી, પરંતુ હવે તેમણે પોતે જ સ્પષ્ટ કરી દીધું છે કે તેઓ અપક્ષ તરીકે રાજ્યસભામાં જશે. આ સિવાય અખિલેશ યાદવે સપા તરફથી પત્ની ડિમ્પલ યાદવ અને જાવેદ અલી ખાનને રાજ્યસભામાં મોકલવાનો નિર્ણય કર્યો છે. જાવેદ અલી ખાન સપા પહેલા પણ રાજ્યસભાના સાંસદ રહી ચૂક્યા છે.
11 માંથી 3 સીટ સપાના ખાતામાં જશે
ઉલ્લેખીય છે કે, રાજ્યસભાની 11 સીટ માટે નોમિનેશન પ્રક્રિયા 24 મે થી શરૂ થઈ હતી, જે 31 મે સુધી ચાલશે. ઉત્તર પ્રદેશમાં 11 બેઠકો પર યોજાઈ રહેલી ચૂંટણીમાં ભાજપને 8 અને સમાજવાદી પાર્ટીને 3 બેઠકો મળવાની આશા છે. આવી સ્થિતિમાં સપા પોતાના ત્રણ સભ્યોને રાજ્યસભામાં મોકલવાની સ્થિતિમાં છે. હાલમાં રાજ્યસભામાં સમાજવાદી પાર્ટીના 5 સભ્યો છે. જેમાં કુંવર રેવતી રમણ સિંહ, વિશમ્બર પ્રસાદ નિષાદ અને ચૌધરી સુખરામ સિંહ યાદવનો કાર્યકાળ જુલાઈમાં પૂરો થઈ રહ્યો છે.