કેજરીવાલ સરકારનો મોટો નિર્ણય, હવેથી માત્ર એ લોકોને જ ફ્રી વિજળી મળશે જે...
દેશની રાજધાનીમાં લોકોને મફત વીજળી આપનાર આમ આદમી પાર્ટીની સરકારે હવે મોટો નિર્ણય લીધો છે.
નવી દિલ્લીઃ દેશની રાજધાનીમાં લોકોને મફત વીજળી આપનાર આમ આદમી પાર્ટીની સરકારે હવે મોટો નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જાહેરાત કરી છે કે આવતા મહિનાથી ફક્ત એ જ લોકોને સબસિડી મળશે જે તેના માટે અરજી કરશે. મુખ્યમંત્રીએ પત્રકાર પરિષદ યોજીને આ અંગે વિસ્તૃત માહિતી આપી છે. CMએ કહ્યુ કે કેટલાક લોકો મફત વીજળી લેવા માંગતા નથી. હવે દિલ્લીમાં માત્ર એવા લોકોને જ વીજળી સબસિડી મળશે જેઓ તેના માટે અરજી કરશે. તમે આજથી અરજી કરવાનુ શરૂ કરી શકો છો.
58 લાખ લોકોને મળે છે સબસિડી
કેજરીવાલે કહ્યુ કે દિલ્લીમાં પહેલા વીજળી બહુ જતી રહેતી હતી પરંતુ ખૂબ મહેનત કરીને અમે વીજળીની વ્યવસ્થા સારી બનાવી છે. હવે લગભગ દરેક જગ્યાએ 24 કલાક વીજળી ઉપલબ્ધ છે. અમે ભ્રષ્ટાચાર નાબૂદ કરીને વીજળીના લીકેજને અટકાવીને સરકારના ઘણા પૈસા બચાવ્યા છે. તેથી જ અમે લોકોને મફત વીજળી આપી છે. આ કટ્ટર પ્રામાણિક સરકારના કારણે જ શક્ય બન્યુ છે. દિલ્લીમાં કુલ 58 લાખ સ્થાનિક ગ્રાહકો છે. જેમાંથી 47 લાખને સબસિડી મળે છે. તેમાંથી 30 લાખ લોકો એવા છે જેમનુ વીજળી બિલ શૂન્ય છે. જ્યારે 16-17 લાખ લોકોના બિલ અડધા આવે છે. 200 યુનિટ સુધીની વીજળી મફત છે, જ્યારે 200-400 યુનિટ સુધી વીજળીનુ બિલ અડધુ આવે છે.
લોકો છોડવા માંગે છે સબસિડી
કેટલાક લોકોની માંગ છે કે જો અમે વીજળીનુ બિલ આપી શકીએ છીએ તો અમને જબરદસ્તી સબસિડી કેમ આપવામાં આવી રહી છે. જેના કારણે સરકારે થોડા મહિના પહેલા જ નિર્ણય લીધો કે જે લોકો આના માટે અરજી કરશે તેને જ સબસિડી આપવામાં આવશે. અમે કહ્યુ હતુ કે 30 સપ્ટેમ્બર સુધીમાં લોકોને આ સબસિડી આપવામાં આવશે. 1 ઓક્ટોબર પછી જે લોકો તેના માટે અરજી કરશે તેમને સબસિડી આપવામાં આવશે. મુખ્યમંત્રીએ કહ્યુ કે સબસિડી લેવા માટે અમે આગામી વીજળી બિલ સાથે એક ફોર્મ આપવાનુ નક્કી કર્યુ છે જેના દ્વારા લોકો અરજી કરી શકે છે.
આ રીતે કરો સબસિડી માટે આવેદન
ગ્રાહકો તેમનુ ફોર્મ ભરીને તેમના નજીકના પેમેન્ટ સેન્ટર પર સબમિટ કરી શકે છે. આ સિવાય તમે આપેલા નંબર પર મિસ્ડ કોલ આપીને અરજી કરી શકો છો. મુખ્યમંત્રીએ કહ્યુ કે તમે 70113111111 પર મિસ કોલ કરી શકો છો. જે પછી તમને એક SMS મળશે, જેમાં ફોર્મ હશે, આ ફોર્મ ભરીને તમે સબસિડી માટે અરજી કરી શકો છો. તમે આ નંબર પર વૉટ્સએપ પણ કરી શકો છો. તમે વૉટ્સએપ પર HI લખો અને તેને મોકલો, તે પછી તમને ફોર્મ મળશે, જેને તમે ભરીને ઑનલાઈન મોકલી શકો છો. અમે જે લોકોના નંબર અમારી પાસે છે તેમને પણ મેસેજ મોકલીશુ કે જે લોકો સબસિડી લેવા માગે છે તેઓ તેના માટે અરજી કરી શકે છે.
અરજી નહિ કરી હોય તો નહિ મળે સબસિડી
અરવિંદ કેજરીવાલે કહ્યુ કે તમારી અરજીના ત્રણ દિવસમાં તમને મેસેજ મળશે કે તમારી અરજી સ્વીકારવામાં આવી છે અને તમે સબસિડી ચાલુ રાખશો. આજથી તમે આ સુવિધા માટે આપેલા વિકલ્પોને અપનાવવાનુ શરૂ કરી શકો છો. 31 ઓક્ટોબર સુધી અરજી કરનારા તમામ લોકોને સબસિડી મળતી રહેશે. પરંતુ આ પછી અરજી કરનારાઓને ઓક્ટોબરમાં સબસિડી નહિ મળે અને નવેમ્બરમાં સબસિડી આપવામાં આવશે. ડિસેમ્બરમાં અરજી કરનારાઓએ ઓક્ટોબર-નવેમ્બરનુ બિલ ચૂકવવુ પડશે, આવતા મહિને સબસિડી મળશે. આ બાબતને લોકો સુધી પહોંચાડવા અમે ડોર ટુ ડોર અભિયાન ચલાવીશુ.
3000 કરોડની સબસિડી
વર્ષમાં દરેક વ્યક્તિ એક વાર એ મોકો આપવામાં આવશે કે જો તે સબસિડી છોડવા માંગતા હોય તો તે છોડી શકે છે. મને આશા છે કે જેઓ સક્ષમ છે તેઓ સબસિડી નહિ લે. હાલમાં અમે લગભગ 3000 કરોડ રૂપિયાની સબસિડી આપી રહ્યા છીએ. જનતાના ઘર-ઘર સુધી પહોંચવા માટે અમે ઘણા માધ્યમો અપનાવી રહ્યા છીએ. અમે આ માટે કેમ્પ પણ ગોઠવી શકીએ છીએ. આ પ્લાન માત્ર ઘરેલુ ગ્રાહકો માટે છે.