સબરીમાલામાં વિરોધ પ્રદર્શન યથાવત, વૃદ્ધ મહિલા અને કેમેરાપર્સન ઘાયલ
સબરીમાલામાં વિરોધ પ્રદર્શન યથાવત, એક વૃદ્ધા ઘાયલ
તિરુવનંતપુરમઃ સોમવારે સાંજે વિશેષ પૂજા માટે સબરીમાલા મંદિરના કપાટ ફરી ખોલવામાં આવ્યા હતા. ત્યારે મંગળવારે એક મહિલા સબરીમાલા મંદિર ગઈ હોવાના અહેવાલ બાદ ફરી વિરોધ પ્રદર્શન થવા લાગ્યું, આ પ્રદર્શનને પગલે 52 વર્ષની એક મહિલા ઘાયલ થઈ ગઈ હતી. ઉપરાંત એક કેમેરાપર્સન પણ ઘાયલ થયા હોવાનું જાણવા મળી રહ્યું છે. જણાવી દઈએ કે મંગળવારે સાંજે વિશેષ પૂજા બાદ મંદિરના કપાટ ફરી બંધ કરી દેવામાં આવશે.

વિરોધ પ્રદર્શન યથાવત
આ પ્રદર્શન મંગળવારે સવારે શરૂ થઈ ગયું જ્યારે અહેવાલ મળ્યા હતા કે 10-50 વર્ષની ઉંમરની કોઈ મહિલા મંદિરમાં પ્રવેશ કરવાની કોશિશ કરી રહી છે, બાદમાં માલૂમ પડ્યું કે તે મહિલા 52 વર્ષની હતી. આ પ્રદર્શન દરમિયાન એક કેમેરાપર્સન પણ ઘાયલ થઈ ગયો હતો. જણાવી દઈએ કે ધાર્મિક માન્યતાઓ મુજબ આ મંદિરમાં 10 વર્ષથી 50 વર્ષની મહિલાઓના પ્રવેશને વર્જિત માનવામાં આવે છે.

બે ઘાયલ
ત્યારે મંદિરની બહાર શ્રદ્ધાળુઓએ વિરોધ પ્રદર્શન શરૂ કરી દીધું હતું જેને પગલે કોઈપણ મહિલા દર્શન કરવા માટે મંદિરના કપાટ સુધી નહોતી પહોંચી શકી. કેરળમાં મંદિરની આજુબાજુમાં કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે અને સોમવારે 2300 પોલીસબળોની હાજરીમાં મંદિરના કપાટ વિશેષ પૂજા માટે ખોલવામાં આવ્યા હતા.

સુપ્રીમનો ફેસલો
જણાવી દઈએ કે સુપ્રીમ કોર્ટે પોતાના ફેસલામાં કહ્યું હતું કે જાતિ કે ઉંમરના આધારે કોઈને મંદિરમાં પ્રવેશ આપવા પર પ્રતિબંધ ન હોવો જોઈએ, ભગવાનના ઘરે બધાને જ પ્રવેશ હોવો જોઈએ. તેમ કહી સુપ્રીમ કોર્ટે દરેક ઉંમરની મહિલાઓ માટે સબરીમાલાના દ્વાર ખોલી મૂક્યા હતા. જો કે સુપ્રીમ કોર્ટના આ ફેસલાની વિરોધમાં સ્થાનિકોએ પ્રદર્શન શરૂ કરી દીધું હતું. અને સબરીમાલા મંદિરના કપાટ ખુલ્યા ત્યારે કોઈપણ 10થી 50 વર્ષની મહિલાને પ્રવેશ આપવામાં આવ્યો નહોતો.












Click it and Unblock the Notifications
