કોરોનાના વધતા સંક્રમણને કેરળે કેવી રીતે કર્યુ કાબુ, સાજા થયા અડધા દર્દી
શરૂઆતના બે અઠવાડિયા સુધી કોરોનાના સૌથી વધુ પ્રભાવિત રાજ્યોમાંના એક કેરળમાં આ ખતરનાક વાયરસના સંક્રમણની ગતિ સુસ્ત પડી ગઈ છે. જાણો કેવી રીતે
શરૂઆતના બે અઠવાડિયા સુધી કોરોનાના સૌથી વધુ પ્રભાવિત રાજ્યોમાંના એક કેરળમાં આ ખતરનાક વાયરસના સંક્રમણની ગતિ સુસ્ત પડી ગઈ છે. રવિવારે રાજ્યમાં માત્ર 2 નવા કેસ સામે આવ્યા જ્યારે આનાથી સંક્રમિત 36 હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થઈ ગયા. કેરળમાં કોરોના વાયરસના 375 કેસ સામે આવ્યા છે અને અત્યાર સુધી આમાં 179 દર્દી સંપૂર્ણપણે સ્વસ્થ થઈ ચૂક્યા છે. વળી, રાજ્યમાં કોરોના વાયરસના કારણે બે દર્દીના મોત થયા છે. છેલ્લા થોડા દિવસોમાં કેરળમાં ઘણા હૉટસ્પૉટની ઓળખ કરવામાં આવી હતી. વળી, હવે રાજ્યમાં કોરોનના વાયરસના કેસોની સંખ્યામાં ઘણો ઘટાડો થયો છે. કેરળમાં અન્ય રાજ્યોના મુકાબલે સંક્રમણમાંથી બહાર આવનાર લોકોનો દર પણ વધુ રહ્યો છે.
રવિવારે સૌથી વધુ 36 લોકો સ્વસ્થ થયા
રવિવારે સૌથી વધુ 36 લોકો આ વાયરસના સંક્રમણથી સ્વસ્થ થયા જે એક દિવસમાં સ્વસ્થ થનાર દર્દીઓની સંખ્યાની દ્રષ્ટિએ સૌથી વધુ છે. કેરળમાં કોરોના વાયરસથી સ્વસ્થ થનાર લોકોની સંખ્યા હવે 179 (લગભગ 48 ટકા) જઈ પહોંચી છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના જણાવ્યા મુજબ દેશભરમાં કોરોના વાયરસના 8,447 કેસ સામે આવ્યા છે જેમાં 765 સંપૂર્ણપણે સ્વસ્થ/ડિસ્ચાર્જ કરવામાં આવી ચૂક્યા છે. આરોગ્ય મંત્રાલયના આંકડા અનુસાર મહારાષ્ટ્રમાં કેરળની તુલનામાં વધુ લોકો (142ના મુકાબલે 208) સ્વસ્થ થયા છે પરંતુ મહારાષ્ટ્રમાં સંક્રમિત દર્દીઓની સંખ્યા 1,761 છે જે કેરળમાં સામે આવેલા કેસોના લગભગ પાંચ ગણા છે. રવિવારની સાંજ સુધી કેન્દ્ર સરકારના આંકડાઓ અનુસાર દેશભરમાં રિકવરીના કેસોમાં કેરળનો આંકડો 18 ટકા હતો.
અત્યાર સુધી 179 દર્દી સ્વસ્થ થયા
26 માર્ચ સુધી કોરોના વાયરસના કેસોની સંખ્યાની દ્રષ્ટિએ મહારાષ્ટ્ર બાદ કેરળમાં સૌથી વધુ કેસ આવ્યા હતા. ત્યારબાદ ઘણા રાજ્યોમાં કોરોના વાયરસના સંક્રમિત દર્દીઓની સંખ્યામાં ગતિ આવી અને આ રાજ્યોમાં ઘણા હૉટસ્પૉટની ઓળખ કરવામાં આવી પરંતુ કેરળમાં આની ગતિ અન્ય રાજ્યોની તુલનામાં ઓછી રહી છે. એક અધિકારીના જણાવ્યા અનુસાર હૉટસ્પૉટવાળા સ્થળો પર આ બિમારી ફેલાવાના કોઈ સંકેત નથી. કેરળમાં સંક્રમણ અત્યાર સુધી માત્ર ટ્રાવેલ હિસ્ટ્રી અને તેમના સંપર્કમાં આવનાર લોકો સુધી જ સીમિત છે જેમને ક્વૉરંટાઈન કરવામાં આવ્યા છે. રાજ્યના એક અધિકારીએ જણાવ્યુ કે હવે તેમનુ ધ્યાન પ્રાઈમરી કૉન્ટેક્ટ્સ પર છે. હાઈ રિસ્ક કેટેગરીના બધા સંપર્કોના નમૂનાઓનુ પરીક્ષણ એક અઠવાડિયામાં પૂરુ થવાની આશા છે. જો કે તેમણે સતર્કતા ઘટાડી નથી અને સામુદાયિક પ્રસારની સંભાવનાઓને ધ્યાનમાં રાખીને કામ કરી રહ્યા છે.
કાસરગોડ અને કન્નૂર સૌથી વધુ પ્રભાવિત જિલ્લા
રાજ્ય સરકારના આંકડાઓ મુજબ 30 જાન્યુઆરી બાદ નોંધવામાં આવેલ 375 કેસોમાંથી 233ની ટ્રાવેલ હિસ્ટ્રી રહી છે. કેરળમાં સાત વિદેશી પર્યટકોના ટેસ્ટ પૉઝિટીવ રહ્યા હતા અને 19 કેસ એવા લોકોના છે જે માર્ચમાં દિલ્લીના નિઝામુદ્દીન મરકજમાં તબલીગી જમાતના કાર્યક્રમમાં શામેલ થયા હતા. આ ઉપરાંત સ્થાનિક રીતે સંક્રમિત કેસ કે પ્રાઈમરી કૉન્ટેક્ટ્સ છે. કાસરગોડ અને કન્નૂરમાં રાજ્યના 63 ટકા કેસ સામે આવ્યા છે. કન્નૂરમાં 71 સંક્રમિત દર્દીઓમાંથી 36 ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે જ્યારે કાસરગોડમાં 166 દર્દીઓમાંથી 61 સ્વસ્થ થઈ ચૂક્યા છે. આ બંને જિલ્લાઓમાં સંક્રમિત કેસોને અમુક વિસ્તારોમાં ક્લસ્ટરમાં વહેંચવામાં આવ્યા હતા ત્યારબાદ આના સંક્રમણને ફેલાતો રોકવામાં સફળતા મળી છે. આ બંને જિલ્લાઓના લગભગ 90 ટકા સંક્રમિત દર્દી દુબઈથી પાછા આવ્યા હતા.
સંક્રમણને ફેલાતો રોકવા માટે કરવામાં આવ્યા આ ઉપાય
આ જિલ્લાઓના ઘણા ગામો અને શહેરી વિસ્તારોને લગભગ સીલ કરી દેવામાં આવ્યા છે અને લૉકડાઉન લંબાવી દેવામાં આવ્યુ છે ત્યારબાદ લોકોને તેમના ઘરોમાંથી બહાર નીકળવા પર સંપૂર્ણપણે રોક લગાવી દેવામાં આવી છે. આ ઉપરાંત રાજ્યના અન્ય જિલ્લાઓમાં સંક્રમિત દર્દીઓની સંખ્યા ઝીરો અથવા નહિવત રહી છે. કાસરગોડમાં પ્રભાવી લૉકડાઉન, કુશળ આરોગ્ય અનેચિકિત્સા ટીમો, ક્લસ્ટર રોકથામ અને સ્માર્ટ આઈસોલેશન અને ક્વૉરંટાઈનના કારણે સારા પરિણામો દેખાઈ રહ્યા છે. કોવિડ 19 સ્પેશિયલ ઑફિસર અલ્કેશ કુમાર શર્માએ જણાવ્યુ કે આ ઉપરાંત કોરોનાને હરાવવામાં સક્રિય સાર્વજનિક સમર્થન પણ મહત્વનુ રહ્યુ છે.
આ પણ વાંચોઃ 4 વર્ષની બાળકીમાં કોરોના પૉઝિટીવ મળતા માતાપિતા સામે FIR, જાણો કારણ