Exculisve શું ‘કેશવ’ શું ‘કૃષ્ણ’ : પિટાતા ગયાં લકીર પીટનારા!
4થી ઑક્ટોબર, 2001... આ એ તારીખ છે કે જેને પોતે જ નહોતી ખબર કે તેની તવારીખમાં ગાંધીનગરથી ખેંચાઈ રહેલી લકીર 12 વરસ બાદ 920 કિલોમીટર દૂર દિલ્હી સુધી પહોંચનાર છે. તે સમયે આ લકીરને પીટનાર હતાં ‘કેશવ' અને આજે બરાબર 12 વરસ બાદ ગાંધીનગરમાંથી દિલ્હી પહોંચી ચુકેલી લકીરને પીટે છે ‘કૃષ્ણ'. એ કહેવાની જરૂર નથી કે તે લકીરનું નામ નરેન્દ્ર મોદી છે અને તેને પીટનારાઓના નામોની યાદી તો બહુ લાંબી છે, પણ શરુઆત કેશવે કરી હતી અને કૃષ્ણ છેલ્લી કોશિશ કરી રહ્યાં છે.
ખેર, હવે વધુ રહસ્ય ન જાળવી રાખી આપને જણાવી જ દઇએ કે 4થી ઑક્ટોબર-2001, કેશવ અને કૃષ્ણનો મતલબ શો છે? 4થી ઑક્ટોબર, 2001 તે તારીખ છે કે જે દિવસે ગુજરાતના પાટનગર ગાંધીનગર ખાતે ભારતીય જનતા પક્ષ વિધાનસભા પક્ષની બેઠક થઈ હતી. આ બેઠક અત્યંત રાજકીય ઉથલ-પાથલના માહોલમાં થઈ હતી. આ બેઠકમાં ગુજરાતના ‘કેશવ' એટલે કે તે વખતના નિવર્તમાન થઈ ગયેલા મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ તથા તે વખતના ભાવી મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી હાજર હતાં. આ બેઠકમાં કેશુભાઈ પટેલે નરેન્દ્ર મોદીને ભાજપ વિધાનસભા પક્ષના નેતા તરીકે ચૂંટી કાઢવાનો ઠરાવ મૂક્યો હતો. સૌ જાણે છે કે કેશુભાઈ પટેલ ભાજપ હાઈકમાંડના ગુજરાતમાં નેતૃત્વ પરિવર્તનના નિર્ણય સામે નારાજ હતાં. તેથી 4થી ઑક્ટોબર, 2001નો દિવસ એક ઐતિહાસિક દિવસ બની ગયો. આ તે તારીખ છે કે જેને પોતે નહોતી ખબર કે તેની તવારીખમાં કેટલી મોટી ઘટના નોંધાઈ ચુકી હતી.
7મી ઑક્ટોબર, 2001ના રોજ નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં મુખ્યમંત્રી તરીકેનો હોદ્દો સંભાળી લીધો અને આ સાથે જ શરૂ થયું મોદીનું મિશન. જ્યારે મોદી મુખ્યમંત્રી બન્યાં, ત્યારે કદાચ કોઈ નહીં કળી શક્યુ હતું કે તેઓ એક દિવસ દેશના સર્વોચ્ચ પદ માટે પક્ષમાં સૌપ્રથમ પસંદગી બની જશે. જોકે મોદીની આ સફરને સૌપ્રથમ બ્રેક લગાવવાનો પ્રયત્ન કર્યો કેશુભાઈ પટેલે. હાઈકમાંડનો નિર્ણય શિરોધાર્ય ગણાવી કેશુભાઈ પટેલે મુખ્યમંત્રી પદ તો છોડી મુક્યું, પરંતુ તેના પ્રત્યે મોહભંગ નહોતો થયો અને આ જ મોહને વશ તેઓ પક્ષની અંદર રહીને સતત નરેન્દ્ર મોદી વિરુદ્ધ હુંકાર ભરતા રહ્યાં. એક વાર નહીં, અનેક વાર તેમણે મોદીને પડકાર્યાં.
આવો તસવીરો સાથે જાણીએ નરેન્દ્ર મોદી અને તેમના સંઘર્ષ વિશે :

કેશુભાઈનો આશીર્વાદ
4થી ઑક્ટોબર, 2001નો તે દિવસ આજેય કેશુભાઈ પટેલ અને મોદીને યાદ હશે. આ બેઠકમાં મોદીએ જણાવ્યુ હતું કે તેઓ ટેસ્ટ નહીં, પણ વનડે રમવા આવ્યાં છે. મોદીએ કેશુભાઈ પાસે આશીર્વાદ લીધો અને મુખ્યમંત્રી તરીકે શપથ લીધાં. ઘના સ્વયંસેવક મોદીએ પ્રથમ વખત ચુંટણી લડી રાજકોટ-2 વિધાનસભા મત વિસ્તારથી. આ પેટા ચુંટણીમાં મોદી વિજયી થયાં. ચુંટણીની જીતની ખુશાલી વચ્ચે 27મી ફેબ્રુઆરી, 2002ના રોજ ગોધરા કાંડ થયું અને ગુજરાત ભયંકર કોમી તોફાનોની આગમાં લપેટાઈ ગયું. બસ આ જ તોફાનો મોદી માટે ગળાનો હાર બની ગયાં. મોદીએ સામ્પ્રદાયિક ધ્રુવીકરણનો લાભ ખાટવા વિધાનસભા ભંગ કરી અને ડિસેમ્બર-2002માં ચુંટણીઓ થઈ. મોદીના બળે ભાજપને બે તૃત્યાંશ બહુમતી મળી અને કોમી તોફાને અંગે મોદીની ટીકા કરનારાઓના મોઢે તાળા લાગી ગયાં.

હારનું ઠીકરૂં
બધુ સમ-સુથરું ચાલતુ હતું, પરંતુ સોળ મહીના બાદ થયેલ લોકસભા ચુંટણી-2004એ વાતાવરણ પલટી નાંખ્યું. કેન્દ્રમાં સત્તારૂઢ અટલ બિહારી બાજપાઈ સરકાર આ ચુંટણીણાં હારી ગઈ. ચારે બાજુ ફીલગુડ અને ઇન્ડિયા શાઇનિંગ ઝુંબેશની ચમક છતાં બાજપાઈ સરકાર બીજી વાર સત્તામાં પરત ન ફરી શકી. અહીં સુધી કે ગુજરાતમાં મોદી લોકસભાની 26માંથી માત્ર 14 જ સીટો અપાવી શક્યાં. ચુંટણીમાં પ્રાપ્ત આ હારનું ઠીકરું પ્રત્યક્ષ રીતે મોદી માથે ફોડવામાં આવ્યું. ભાજપના સાથી પક્ષોએ સ્પષ્ટ રીતે જણાવ્યું કે ગુજરાતના તોફાનોમાં મોદીની કથિત ભૂમિકા જ ભાજપ અને એનડીએની હાર પાછળ જવાબદાર છે. આ સાથે જ મોદીના વિરોધીઓ એકજુટ થવા લાગ્યાં.

અટલે મોઢું ફેરવ્યું
નરેન્દ્ર મોદી વિરુદ્ધ પક્ષમાં રહી વિદ્રોહી તેવર અપનાવનાર કેશુભાઈએ સૌથી મોટું સંકટ 2004માં ઊભુ કર્યું. લોકસભા ચૂંટણીમાં ગુજરાતમાં ભાજપના નબળા પ્રદર્શનના કારણે કેશુભાઈ અને મોદી વિરોધીઓના હોસલા બુલંદ હતાં. કેશુભાઈના નેતૃત્વ હેઠળ એ. કે. પટેલ, સુરેશ મહેતા, ગોરધન ઝડફિયા, પુરુષોત્તમ સોલંકી સહિત તમામ વિરોધીઓ એકજુટ થઈ ગયાં. એટલું જ નહીં, એ. કે. પટેલના જન્મ દિવસે ભારે રાજકીય ઉથલ-પાથલ થઈ તથા તે વખતે લાગ્યું કે કેશવની હુંકાર આગળ મોદી કદાચ ટકી નહીં શકે, પરંતુ થયું એ જ કે જે મોદી ઇચ્છતા હતાં. તે વખતના વડાપ્રધાન અટલ બિહારી બાજપાઈ સુદ્ધા એમ બોલી ગયાં કે લોકસભા ચૂંટણીમાં ગુજરાત સહિત દેશ ભરમાં પક્ષના નબળા પ્રદર્શન તથા સત્તામાંથી જાકારા માટે ગુજરાતના રમખાણો જવાબદાર છે. તે વખતે લાલકૃષ્ણ અડવાણીએ મોદીના સંકટ મોચક બની ઉપસ્યાં તથા તેમણે મોદીની સત્તા બચાવી લીધી.

અડવાણી સંકટ મોચક
લોકસભા ચુંટણી 2004માં હાર બાદ મોદીની ખુરશી હાલકડોલક થવા લાગી. બે વર્ષ અગાઉ જ બે તૃત્યાંશ બહુમતી હાસલ કરનાર મોદી અંગે સામાન્ય પ્રજામાં તો કોઈ વિરોધ દેખાયો નહિં, પણ આ પરાજય અને હાઈકમાંડના કેટલાંક નેતાઓ તેમજ સાથી પક્ષો તરફથી મોદીને ઘેરવામાં આવ્યાં અને આ સાથે જ સ્થાનિક કક્ષાએ મોદીના વિરોધીઓને પાંખો ઉગી નિકલી. મુખ્યમંત્રી પદે હટાવાતાં નારાજ કેશુભાઈ પટેલના અપ્રત્યક્ષ નેતૃત્વ હેઠળ ગોરધન ઝડફિયા, એ. કે. પટેલ, સુરેશ મહેતા જેવા નેતાઓએ વિદ્રોહનો સ્વર તેજ કરી દીધો. મામલો એ. કે. પટેલના જન્મ દિવસની પાર્ટીથી લઈ દિલ્હી સુધી પહોંચ્યો. લાંબુ ઘમાસાણ ચાલ્યું. એક વાર તો સમગ્ર ભાજપ જાણે મોદી આસપાસ સમેટાઈ ગયું, પણ અડવાણીના અભયદાને મોદીની ખુરશી બચાવી લીધી.

સ્થિરતા અને મજબૂત નેતૃત્વના પર્યાય
મોદીએ જૂન-2006માં ગુજરાતમાં સૌથી લાંબા શાસનનો ભૂતપૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીનો રેકૉર્ડ તોડી એક નવો રેકૉર્ડ બનાવ્યો. આ તેમના કાર્યકાળનો વધુ એક બહેતર પડાવ હતો. ગુજરાતમાં જીવરાજ મહેતાથી લઈ કેશુભાઈ પટેલ સુધી તેર મુખ્યમંત્રીઓ રહ્યાં. તેમાં એકમાત્ર સોલંકી જ એવા મુખ્યમંત્રી હતાં કે જેમણે ચુંટણીથી ચુંટણી સુધીનો કાર્યકાળ પર્ણ કર્યો હતો. તે પણ પાંચ વર્ષનો નહોતો, પરંતુ મોદીએ એક ડગલું આગળ ચાલી માત્ર સૌથી લાંબા શાસનનો રેકૉર્ડ ન બનાવ્યો, પણ ચુંટણીથી ચુંટણી સુધી શાસનનો રેકૉર્ડ બનાવ્યો અને હવે તેમણે શાસનના 11 વર્ષ પૂર્ણ કર્યાં છે.

2009માં ફરી પછડાટ
ફરી એક વાર સોળ માસ બાદ લોકસભા ચુંટણી 2009 આવી અને 2004નું જ પુનરાવર્તન થયું. મોદી લોકસભાની બેઠકોમાં માત્ર એક બેઠકનો વધારો કરી શક્યાં અને કોંગ્રેસ પાછી જોશમાં આવી ગઈ, પરંતુ દરેક વખતની જેમ કોંગ્રેસ સતત તેમને બુનિયાદી મુ્દે ઘેરવાની જગ્યાએ વિવાદાસ્પદ મુદ્દે જ ઘેરતી રહી અને તેને ધૂળ ચાટવી પડી. લોકસભા ચુંટણીમાં ભાજપની હારના સો દિવસ બાદ જ થયેલ રાજ્યમાં સાત સીટોની પેટા ચુંટણીઓમાં પાંચ સીટો જીતી મોદીએ ફરી એક વાર પોતાની ગુજરાત ઉપર પક્કડ સાબિત કરી આપી.

સદ્ભાવના ઉપવાસ
કેન્દ્રીય રાજકારણ, હાઈકમાંડના રાજકારણ, અણ્ણા હઝારેના ઉપવાસ આંદોલન જેવા મુદ્દાઓ વચ્ચે પણ મોદી અને વિવાદ ચાલતાં રહ્યાં. હઝારેને બાર દિવસ સુધી ઉપવાસ માટે મજબૂર કરના કોંગ્રેસે ગુજરાતમાં મોદી ને લોકાયુક્ત મુદ્દે ઘેરવાની કોશિશ કરી અને રાજભવન દ્વારા લોકાયુક્તની નિમણુંક કરાવી દીધી. મોદી તોફાનો, સંજીવ ભટ્ટ, હરેન પંડ્યા, જાગૃતિ પંડ્યા, નકલ એનકાઉંટર જેવા ઘણા વણઉકલ્યા મુદ્દે જ્યારે પોતાને ઘેરાયેલા અનુભવવા લાગ્યાં, તો તેમણે ફરી એક વાર બ્રહ્માશ્ત્ર છોડ્યું. અત્યાર સુધી સામ્પ્રદાયિક ધ્રુવીકરણના બળે બે ચુંટણીઓ જીતનાર મોદીએ અચાનક સદ્ભાવના મિશનના નામે ત્રણ દિવસના ઉપવાસ કર્યાં અને ફરી એક વાર સમગ્ર ભાજપ લામબંદ થઈ ગયું. મોદીના ઉપવાસને તેમને રાષ્ટ્રીય કક્ષાએ જવા માટેની સીડી ગણાવામાં આવી. આ ઉપવાસમાં ઘણાં લઘુમતીઓને પણ લાવી મોદીએ સૌનો સાથ-સૌનો વિકાસનો નારો આપ્યો.

નબળા પડ્યાં કેશવ, તો કૃષ્ણ પડકાર
વિકાસનું રાજકારણ કરનાર નરેન્દ્ર મોદી જોકે ચૂંટણી રાજકારણના પણ ખેલાડી છે અને આ વાત તેમણે ગુજરાત વિધાનસભા ચૂંટણી 2012માં સતત ત્રીજી વાર જીત હાસલ કરી સાબિત કરી આપી. એક દશકના આ દોરમાં ગુજરાત ભાજપ રૂપી પોતાના ઘરમાં મોદીના કટ્ટર હરીફ કેશુભાઈ પટેલ નબળા પડી ગયાં. 2007ની ચૂંટણીમાં પક્ષમાં રહી મોદીનો વિરોધ કરનાર કેશુભાઈએ 2012ની ચૂંટણીમાં પક્ષમાં બહાર નિકળી મોદીને ખુલ્લો પડકાર ફેંક્યો, પરંતુ તે મોદી જ હતાં કે જેઓ આટલા વિરોધ છતાં સફળતા હાસલ કરી ગયાં. બસ, કેશવ નબળા પડ્યાં અને મોદીએ સતત ત્રીજી વાર વિજય મેળવી પોતાની જાતને દિલ્હીની સ્પર્ધામાં હોમી દીધી અને અહીંથી જ શરૂ થયો કૃષ્ણનો લલકાર. અત્યાર સુધી સંકટ મોચક રહેનાર લાલકૃષ્ણ અડવાણીની રાહમાં મોદી સૌથી મોટો કાંટો બની ઉપસ્યાં અને આજે કૃષ્ણના લલકારે સમગ્ર દિલ્હી ગૂંજી રહી છે.

લકીર પીટનારા પિટાયાં!
મોદીની લકીરને પીટનારા સામાન્ય રીતે તેમના હાથે પિટાતા ગયાં. ગુજરાતમાં કેશુભાઈથી લઈ એ કે પટેલ, ગોરધન ઝડફિયા, સુરેશ મહેતા, શંકરસિંહ વાઘેલા, સ્વ. હરેન પંડ્યા જેવા અનેક નામો છે કે જેઓ મોદીની લકીરને પીટતા રહ્યાં અને પોતે પિટાઈ ગયાં. હવે મોદીની લકીરને પીટનારાઓની યાદીમાં છેલ્લું નામ છે લાલકૃષ્ણ અડવાણી. જ્યાં સુધી ભાજપના દૃઢ સંકલ્પ અને સંઘના ટેકાના માહોલ છે, તો સ્પષ્ટ છે કે અડવાણીની કોઈ વાત ચાલવાની નથી. તેઓ માને કે ન માને, પણ 4થી ઑક્ટોબર, 2001ના રોજ ખેંચાયેલી આ લકીર આજે 13મી સપ્ટેમ્બર, 2013ના દિવસે વડાપ્રધાન પદથી એક ડગલું દૂર પહોંચી જ દમ લેશે.












Click it and Unblock the Notifications
