સુપ્રીમ કોર્ટ સાથે વિવાદ વચ્ચે કિરણ રિજિજૂનું નિવેદન, કહ્યું- જજ ચૂંટણીનો સામનો નથી કરતા
વિવાદ વચ્ચે સતત કેન્દ્ર સરકાર અને સુપ્રીમ કોર્ટ તરફથી નિવેદનો આવી રહ્યા છે. હવે કેન્દ્રિયમંત્રી કિરણ રિજિજૂએ ફરી એક વખત જજોની નિયુક્તિને લઈને નિવેદન આપ્યુ છે.
નવી દિલ્હી : છેલ્લા કેટલાક સમયથી કેન્દ્ર સરકાર અને સુપ્રીમ કોર્ટ વચ્ચે જજોની નિયુક્તિને લઈને વિવાદો ચાલી રહ્યા છે. આ વિવાદ વચ્ચે સતત કેન્દ્ર સરકાર અને સુપ્રીમ કોર્ટ તરફથી નિવેદનો આવી રહ્યા છે. હવે કેન્દ્રિયમંત્રી કિરણ રિજિજૂએ ફરી એક વખત જજોની નિયુક્તિને લઈને નિવેદન આપ્યુ છે.
કાયદા મંત્રી કિરણ રિજિજૂ દિલ્હી બાર એસોસિએશનના એક કાર્યક્રમમાં હજરી આપવા માટે પહોંચ્યા હતા. અહીં કિરણ રિજિજૂએ કહ્યું કે, ન્યાયાધીશ બન્યા બાદ તેમણે ચૂંટણી કે જાહેર ચકાસણીનો સામનો કરવો પડતો નથી.
તેણમે આગળ કહ્યું કે, મેં CJIને એક પત્ર લખ્યો, જેના વિશે કોઈને ખબર નહોતી. ખબર નહીં કોને ક્યાંથી ખબર પડી અને સમાચાર આપ્યા કે કાયદા મંત્રીએ CJIને પત્ર લખ્યો કે કોલેજિયમમાં સરકારનો એક પ્રતિનિધિ હોવો જોઈએ. આ બાબતને કોઈ હાથ-પગ નથી. હું આ સિસ્ટમમાં અન્ય વ્યક્તિને કેવી રીતે મુકી શકું?
આ પહેલા પણ કાયદામંત્રી સુપ્રીમ કોર્ટ વિશે નિવેદન આપી ચુક્યા છે. અહીં તેમણે આગળ કહ્યું કે, જજ બન્યા બાદ ચૂંટણી અથવા જાહેર તપાસનો સામનો કરવો પડતો નથી. જનતા ન્યાયાધીશો તેમના નિર્ણયો અને જે રીતે ન્યાય આપે છે તે જોઈ રહી છે અને મૂલ્યાંકન કરે છે. સોશિયલ મીડિયાના આ યુગમાં કંઈપણ છુપાવી શકાય નહીં. જો આપણે ન્યાયતંત્રની સ્વતંત્રતાને નબળી પાડીશું અથવા તેની સત્તા, સન્માન અને ગરિમા ઘટાડશું તો લોકશાહી સફળ નહીં થાય.
અહીં તેમણે કહ્યું કે, 1947 થી ઘણા ફેરફાર થયા છે. એ વિચારવું ખોટું હશે કે વર્તમાન સિસ્ટમ ચાલુ રહેશે અને તેના પર ક્યારેય પ્રશ્ન નહીં ઉઠાવાય. તેમણે કહ્યું કે બદલાતી પરિસ્થિતિ જ જરૂરિયાત નક્કી કરે છે અને તેથી જ બંધારણમાં સોથી વધુ વખત સુધારો કરવો પડ્યો છે.