સોનિયાને દેશ પર, અમને રાહુલ પર વિશ્વાસ નથી: કુમાર વિશ્વાસ
અમેઠી, 12 જાન્યુઆરી: આમ આદમી પાર્ટીના નેતા કુમાર વિશ્વાસે આજે અમેઠીમાં પોતાની પહેલી રાજકીય રેલી સંબોધિત કરી હતી. લખનઉથી અમેઠી સુધી પહોંચવામાં તેમને વિરોધનો સામનો કરવો પડ્યો હતો. જગદીશપુરમાં તેમને કાળા ઝંડા બતાવવામાં આવ્યા હતા તો 'આપ' કાર્યકર્તાઓની બસ પર પથ્થરમારો પણ થયો. કુમાર વિશ્વાસે અમેઠીમાં મંચ તરફ આગળ વધતાં કહ્યું હતું કે જ્યારે દુનિયાના શક્તિશાળી નેતા બરાક ઓબામા બિમાર હોય છે તો તેમની સર્જરી માટે જે ડૉક્ટરોની ટીમ આવે છે, તેમાંથી એક ભારતીય હોય છે, પરંતુ જ્યારે સોનિયા ગાંધીની તબિયત ખરાબ થાય છે તો સારવાર કરાવવા માટે અમેરિકા જાય છે. હું કહું છું કે જ્યારે તેમને આપણા દેશના હોંશિયાર છોકરાઓ પર વિશ્વાસ નથી તો આપણે તેમના પુત્ર( રાહુલ ગાંધી) પર વિશ્વાસ શા માટે કરીએ?
કુમાર વિશ્વાસે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આ વખતે અમેઠીની જનતા રાહુલ ગાંધીને હરાવી દેશે અને ભ્રષ્ટાચાર કરનાર કોંગ્રેસને નકારી કાઢશે. કુમાર વિશ્વાસે કવિતા ગાઇને પણ રાહુલ ગાંધી પર તિર તાક્યું હતું. કુમાર વિશ્વાસના અનુસાર અત્યાર સુધી જનતાએ યુવરાજને ચૂંટ્યા, હવે એક 'નોકર'ને ચૂંટશે. પોતાના કાફલા પર હુમલા અંગે કુમાર વિશ્વાસનું કહેવું હતું કે અમે અહીં રેલી કરતાં રહીશું અને જનતા વચ્ચે રહીશું, લોકો સાથે વાતચીત કરીશું. અમારી પર હુમલા થયા અમારા કાર્યકર્તાઓને મારવામાં આવ્યા પરંતુ હું સુરક્ષા નહી લઉ, જો હું મરી જઇશ તો બીજો આવશે.
કુમાર વિશ્વાસ પહેલાં રેલીનો આઇબીએન7ના પૂર્વ મેનેજિંગ એડિટર આશુતોષે સંબોધિત કરી હતી. તેમને કહ્યું હતું કે હું લાંબા સમય સુધી પત્રકારત્વ કર્યું. લોકો મને કહેતાં રહ્યાં કે તમે નેટવર્કિંગ નથી કરતા, નેતાઓ સાથે સંપર્ક નથી કરતા. તમે કંઇપણ ન કરી શકો, ત્યારે હું કહેતો કે જો હું પોતે ઇમાનદારી બચાવીને માથું ઉઠાવીને પોતાનું જીવન ગુજારી શકું તો આ મારા માટે સૌથી મોટી વાત રહેશે.
આશુતોષે કહ્યું હતું કે બાળપણથી જ રાજકારણને લઇને મારા મનમાં ફરિયાદો રહી છે કે તેમાં માણસ, માણસ રહેતો નથી. આમ આદમી, આદ આદમી રહેતો નથી, તે ફક્ત વોટ બેંક બની જાય છે પરંતુ ગત અઠવાડિયે બે વર્ષોમાં મેં અનુભવ્યું કે દેશમાં ખૂબ પરિવર્તન થઇ રહ્યું છે, એટલા માટે હું પણ પરિવર્તનનો ભાગ બની ગયો.