કોંગ્રેસનું ચૂંટણી ગણિત : લાલુ બાદ મુલાયમનો પડશે ખેલ
નવી દિલ્હી, 3 ઓક્ટોબર : આજે કોર્ટે ચારા કૌભાંડમાં આરજેડીના સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવને પાંચ વર્ષની જેલની સજા અને 25 લાખનો દંડ ફટકાર્યો છે. આ સાથે હવે લાલુ યાદવ 11 વર્ષ માટે રાજકારણથી અલગ થઇ જશે. આ બાબત એક મોટા રાજકીય સમીકરણ તરફ ઇશારો કરી રહી છે. આપણા દેશમાં બદનામ થઇ ચૂકેલી સીબીઆઇએ આ કેસમાં સરાહનીય કામ કર્યું છે.
હવે પ્રશ્ન એ છે કે સીબીઆઇએ ખરેખર સારું કામ કર્યું છે તો આજે લાલુ પ્રસાદ યાદવ જેલમાં દયા છે તો હવે પછી જેલમાં જવામાં કોનો નંબર લાગશે? ચર્ચા એવી ચાલી રહી છે કે હવે પછી મુલાયમ સિંહ યાદવનો નંબર લાગશે. આ બાબત એટલા માટે ચર્ચામાં છે કે લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે અને કોંગ્રેસ મોંઘવારી અને ભ્રષ્ટાચારની જાળમાં ફસાયેલી છે.
હવે જો તેણે સત્તામાં પાછા ફરીને શાસનની હેટ્રિક લગાવવી હોય તો દેશની જનતા સામે તેણે સારા બનવું પડશે. હવે ભ્રષ્ટાચારમાં લોથપોથ કોંગ્રેસ જ્યારે પોતાના સાથી પક્ષો અને નેતાઓ પર કડક પગલાં લેશો તો જનતામાં સારો અને સકારાત્મક સંદેશ જશે એમ કોંગ્રેસનું માનવું છે. આ બાબત લાલુ પ્રસાદ યાદવને જેલની સજા સંભળાવ્યા બાદ કોંગ્રેસના નેતા રશીદ અલ્વીએ આપેલા નિવેદનમાં સ્પષ્ટ દેખાતી હતી. તેમણે જણાવ્યું કે ભ્રષ્ટાચારના મુદ્દે કોંગ્રેસમાં ઝીરો ટોલરન્સ છે, પછી નેતા અમારા હોય કે સાથી પક્ષના.
હવે પછીનો નંબર મુલાયમ સિંહનો હશે એવું એ બાબત પરથી સ્પષ્ટ થાય છે કે લાલુની જેમ મુલાયમ પણ કોંગ્રેસને સમર્થન આપતા આવ્યા છે, પરંતુ રાહુલ કે સોનિયાના વખાણ તેમણે કર્યા નથી. હમણા છેલ્લા કેટલાક સમયથી મુલાયમ ત્રીજા મોરચાની વાત પણ અવારનવાર કરી રહ્યા છે.
આ વાત મુલાયમ સારી રીતે જાણે છે તે કારણે જ તેઓ કોંગ્રેસ માટે ક્યારેય આકરી પ્રતિક્રિયા આપતા નથી. પરંતુ લોકસભા ચૂંટણીના પ્રચાલ દરમિયાન જો મુલાયમની જીભ લપસી ગઇ અને મેડમ તથા શહેઝાદાની વિરુદ્ધ બોલાઇ ગયું તો તેમનો નંબર પાક્કો હશે એમ માનવામાં આવે છે. આને જ કહેવાય છે ચૂંટણી ગણિત.