કોંગ્રેસ-આરજેડી ગઠબંધન ઘોંચમાં, અગિયારે અટક્યા લાલૂ
નવી દિલ્હી, 1 માર્ચ: લોકસભાની ચૂંટણી નજીક આવતાં જ બિહારનું રાજકારણ ગરમાવવા લાગ્યું છે. રાજકીય ઉથલપાથલ અને તોડજોડ ઝડપથી ચાલી રહી છે. લાંબા સમયથી લાલૂ યાદવના ખાસ રહેલા રામવિલાસ પાસવાને ભાજપ સાથે હાથ મિલાવી લીધો છે. મળતી માહિતી મુજબ રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી)ના અધ્યક્ષ લાલૂ યાદવને કોંગ્રેસ ભાવ આપી રહી નથી. જેથી નારાજ લાલૂ યાદવ દિલ્હીથી પટના પરત ફરી ગયા અને કહ્યું કે હવે ગઠબંધન પટનામાં જશે.
લાલૂ પ્રસાદ યાદવે આજે સ્પષ્ટ કરી દિધું કે તે કોંગ્રેસને બિહારની 40 લોકસભા સીટોમાંથી 11 સીટો જ આપશે, જ્યારે એક એનસીપીને આપવા માટે તૈયાર છે. રાજ્યની બાકીની 28 સીટો પર આરજેડીના ઉમેદવાર લાવશે. લાલૂ પ્રસાદ યાદવે કહ્યું છે કે હવે કોંગ્રેસ નક્કી કરે કે તેને શું કરવું છે.
લાલૂ પ્રસાદ યાદવે સ્પષ્ટ રીતે જાહેરાત કરી છે કે આરજેડી પોતાના દમ પર ચૂંટણી લડવાની તૈયારી શરૂ કરશે. તેમણે કહ્યું કે હવે કોંગ્રેસ સાથે ગઠબંધન માટે વારંવાર દિલ્હીના ચક્કર લગાવવા માટે સમય નથી. હવે હું ચૂંટણી પ્રચાર અભિયાન પર ધ્યાન આપીશ. લાલૂ પ્રસાદ યાદવે એમપણ કહ્યું હતું કે દિલ્હી જઇને ગઠબંધનના મુદ્દે બેઠક કરવી સંભવ નથી. તેમણે કહ્યું હતું કે અમારી ફોન પર વાતચીત થતી રહેશે. લાલૂ પ્રસાદ યાદવે કહ્યું હતું કે તેમને હજુપણ કોંગ્રેસ સાથે ગઠબંધનની આશા છે, પરંતુ એમપણ કહ્યું હતું કે સાંપ્રદાયિક દળોને હરાવવા માટે ગઠબંધનનું નિર્માણની જવાબદારી એકલી તેમની પાર્ટીની નથી.
તેમણે એમપણ કહ્યું હતું કે હવે ગઠબંધન નહી, 'લઠબંધન' નો સમય છે. લાલૂની આ નારાજગી બિહારમાં આરજેડી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધનને મુશ્કેલમાં મુકી શકે છે. લાલૂ પ્રસાદ યાદવે ત્યાં સુધી કહી દિધું કે તેમની પાર્ટી હવે બિહારની બધી 40 સીટો પર ચૂંટણી લડવા માટેની તૈયારી કરી રહી છે. તેમણે કહ્યું હતું કે ગઠબંધનની જવાબદારી ફક્ત અમારી નથી. ગઠબંધન સાંપ્રદાયિક તાકતો સામે લડવા માટે પ્રયત્ન કરશે. તેમાં કોંગ્રેસને પણ પોતાના તરફથી પ્રયત્ન કરવો જોઇએ.
લાલૂના એક અંગત આરજેડી નેતાએ જણાવ્યું હતું કે મધુબની અને પૂર્વી ચંપારણ સીટોને લઇને કોંગ્રેસ અને આરજેડી વચ્ચે સમજૂતી થઇ શકી નથી, જો કે કોંગ્રેસ બિહારમાં 40 લોકસભા સીટોમાંથી 25 સીટો પર આરજેદી ચૂંટણી લડવા અને 15 સીટો પર પોતાના ઉમેદવાર ઉતરવાની વાત પર સહમત છે, પરંતુ મધુબની અને પૂર્વી ચંપારણ સીટ પર કોંગ્રેસની નજર છે અને આરજેડી અધ્યક્ષ આ વાતથી આધાતમાં છે.
તો બીજી તરફ જેડીયૂમાંથી તગેડી મૂકવામાં આવેલા નેતા શિવાનંદ તિવારીનું કહેવું છે કે ગઠબંધનમાં લાલૂ પ્રસાદ યાદવને મહત્વ આપવું પડશે, તો જ ગઠબંધનથી ફાયદો થશે. બીજી તરફ આરજેડી નેતા મનોજ ઝા જલદીમાં જલદી ગઠબંધનના એલાનની વાત કહી રહ્યાં છે, જ્યારે ભાજપ નેતા સુધાંશું ત્રિવેદીનું કહેવું છે કે આરજેડી અને કોંગ્રેસ વચ્ચે તિરાડ સામે આવવાથી સ્પષ્ટ થઇ ગયું છે કે પોતાને ધર્મનિરપેક્ષ કહેનાર પાર્ટીઓનો મોરચો ખોખલો છે.
શુક્રવારે કોંગ્રેસ મહાસચિવ શકીલ અહેમદે કહ્યું હતું કે બિહારમાં ગઠબંધનને લઇને અસ્પષ્ટતા જલદી દૂર થવી જોઇએ. બીજી તરફ એવા સમાચાર છે કે કેટલાક નેતા બિહારમાં નીતિશ કુમારની સાથે ગઠબંધન કરવા માંગે છે, જેની ગંધ લાલૂ પ્રસાદને આવી જતાં તે નારાજ થઇ ગયા છે. જો કે જેડીયૂ સાથે જવાની સંભાવના ના બરાબર જોવા મળી રહી છે, કારણ કે જેડીયૂ હવે 11 દળોને બિન કોંગ્રેસ અને બિન ભાજપી મોરચાનો એક ભાગ છે.