ભારત જોડો યાત્રામાં મુલાયમસિંહ યાદવને રાહુલ ગાધી સહિતના નેતાઓએ શ્રદ્ધાંજલિ આપી!
સમાજવાદી પાર્ટીના સંસ્થાપક અને ભારતીય રાજનીતિના મોટા નેતા મુલાયમસિંહ પંચભુતમાં વિલિન થયા છે. આજે ભારત જોડો યાત્રામાં મુલાયમ સિંહ યાદવને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.
નવી દિલ્હી : સમાજવાદી પાર્ટીના સંસ્થાપક અને ભારતીય રાજનીતિના મોટા નેતા મુલાયમસિંહ પંચભુતમાં વિલિન થયા છે. આજે ભારત જોડો યાત્રામાં મુલાયમ સિંહ યાદવને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. રાહુલ ગાંધી સહિતના કોંગ્રેસના નેતાઓએ મૌન રાખી શ્રદ્ધાંજલિ આપી હતી. કોંગ્રેસે જારી કરેલા વીડિયોમાં જોઈ શકાય છે કે રાહુલ ગાંધી, કોંગ્રેસ મહાસચિવ કેસી વેણુગોપાલ સહિત કોંગ્રેસના તમામ નેતાઓએ મૌન રાખી મુખ્યમંત્રી મુલાયમ સિંહ યાદવને શ્રદ્ધાંજલિ આપી હતી.
ભારત જોડો યાત્રા અંતર્ગત રાહુલ ગાંધી કોંગ્રેસના નેતાઓ સાથે કર્ણાટકના શહેરોમાંથી પસાર થઈ રહ્યા છે. તમિલનાડુથી શરૂ થયેલી યાત્રા કેરળ થઈને કર્ણાટક પહોંચી છે. લગભગ 3500 કિમીની આ યાત્રા કન્યાકુમારીથી કાશ્મીરની છે. આ સમયગાળા દરમિયાન 12 રાજ્યોને આવરી લેવાની યોજના છે. રાહુલ ગાંધી સહિત કોંગ્રેસના ડઝનબંધ નેતાઓ કર્ણાટકમાં મુલાયમ સિંહ યાદવને શ્રદ્ધાંજલિ આપવા માટે એક જગ્યાએ રોકાયા હતા.
સોમવારે મેદાંતા હોસ્પિટલમાં મુલાયમ સિંહ યાદવનું 82 વર્ષની વયે નિધન થયું હતું. મુલાયમ સિંહ યાદવના અંતિમ સંસ્કાર ઉત્તર પ્રદેશના સૈફઈમાં કરવામાં આવ્યા હતા. મુલાયમ સિંહ યાદવ 1990ના દાયકામાં અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ માટેના આંદોલન દરમિયાન વિવાદોમાં ફસાયા હતા. મુખ્યમંત્રી મુલાયમ સિંહ યાદવે ઉત્તર પ્રદેશ પોલીસને વિશ્વ હિન્દુ પરિષદ, ભાજપ અને આરએસએસના કાર્યકરોને અયોધ્યામાં બાબરી મસ્જિદના વિવાદિત માળખા તરફ આગળ વધતા રોકવા માટે ગોળીબાર કરવાનો આદેશ આપ્યો હતો.