ચૂંટણી મહાસંગ્રામમાં રચાઇ રહ્યો છે નવો ‘શબ્દકોશ’
નવી દિલ્હી, 28 એપ્રિલઃ દેશમાં ચાલી રહેલી લોકસભા ચૂંટણી દરમિયાન રાજકીય દળ પોતનો પ્રચાર કરવાની સાથોસાથ વિપક્ષી પાર્ટીઓ પર જોરદાર પ્રહાર કરી રહ્યાં છે અને આરોપ પ્રત્યારોપ લગાવી રહ્યાં છે. આ આરોપ પ્રત્યારોપ દરમિયાન વિવિધ નેતાઓ દ્વારા ઉપયોગમાં લેવામાં આવેલા શબ્દો જેમકે, ‘આરએસવીપી મૉડલ, ટૉફી મૉડલ, એકે-49, ન્યૂઝ ટ્રેડર, જીજાજી, માતા-પુત્રની સરકાર, શહેજાદા,' રાજકારણના નવા રૂઢિપ્રયોગ બનીને ઉભર્યા છે. રાજકારણમાં આ નવો શબ્દકોશ નિશ્ચિત રીતે હાલના રાજકારણની પ્રકૃતિનું પ્રતિબિંબ ઉપસ્થિત કરે છે.
ભારતીય જનતા પાર્ટીના નેતા નરેન્દ્ર મોદી આ મામલે સૌથી આગળ છે, જો કે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી પણ કેટલાક આવા જ શબ્દોનો પ્રયોગ કરતા સાંભળવા મળ્યા છે. દેશના રાજકારણમાં આ પહેલી એવી લોકસભા ચૂંટણી છે, જેમાં ચા વિક્રેતા ચર્ચામાં છે. ભાજપે મોદીની ચા વેચનારાની છબીને વધુ પ્રભાવી બનાવવા ચા પર ચર્ચા નામથી પોતાના પ્રચાર અભિયાનની શરૂઆત કરી. આ લોકસભામાં જ્યાં કોર્પોરેટ જાહેરખબરોની જેમ ભવ્ય ચૂંટણી પ્રચાર જોવા મળી રહ્યો છે, તો બીજી તરફ રાજકીય આરોપ-પ્રત્યારોપમાં દેશના કેટલાક ટોચના ઉદ્યોગપતિઓ પર પણ નિશાન સાધવામાં આવ્યા છે. ભાજપ દ્વારા પ્રચારિત બહુચર્ચિત ગુજરાતના વિકાસ મૉડલ પર છેડાયેલી ચર્ચાએ રાજકીય શબ્દકોશને અનેક નવા રૂઢિપ્રયોગ આપ્યા છે.
રાહુલ ગાંધીએ ગુજરાત મૉડલને ‘ટૉફી મૉડલ'ની સંજ્ઞા આપતા કહ્યું કે ગુજરાત સરકારે ઉદ્યોગપતિઓને ટૉફીની કિંમતમાં જમીન વેંચી છે. રાહુલ ગાંધીએ ગુજરાત મૉડલ પર પ્રહાર કરતા તેને ‘ટી-20 મેચ' પણ કહી દીધું. રાહુલે પોતાના એક ઇન્ટરવ્યુમાં કહ્યું કે, તેમણે(મોદી) એક જ વ્યક્તિને 45 હજાર એકર જમીન આપી દીધી. જમીન ફાળવણીમાં જાણે કે તેઓ ટી-20 મેચ રમી રહ્યાં છે. અમે આવું નથી કરતા. ભાજપના લોકસભા ચૂંટણીમાં જીતના દાવાઓને રાહુલે ફૂલેલો ગુબ્બારો ગણવ્યો અને કહ્યું કે 2004-2009ની ચૂંટણીઓની જેમ ફૂટી જશે.

નરેન્દ્ર મોદી ચોકીદાર
રાહુલે એક ચૂંટણી રેલીમાં મોદી પર નિશાન સાધતા કહ્યું કે, તેઓ(મોદી) દેશના ચોકીદાર બનવા માગે છે. મોદીએ કોંગ્રેસ તરફથી પોતાના પર કરવામાં આવેલા પ્રહારનો જોરદાર જવાબ આપ્યો અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને અવાર નવાર શેહજાદા કહીને સંબોધ્યા છે. મોદીએ એક ચૂંટણી ભાષણ દરમિયાન કહ્યું કે, શેહજાદા પોતાના ગુબ્બારાઓ અને ટૉફીઓ સાથે રમી રહ્યાં હશે, દેશ એક પરિપક્વ નેતા ઇચ્છે છે અને વધુમાં વધુ ટ્રોફી જીતવા માગે છે.

રોબર્ટ વાડ્રા માટે જીજાજી શબ્દપ્રયોગ
ઉમેદવારી પત્રમાં પહેલીવાર પોતાના વૈવાહિક જીવનનો ઉલ્લેખ કરવાના કારણે ચારે તરફથી હુમલાઓનો શિકાર થયેલા મોદીએ જવાબી હુમલામાં કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીના જમાઇ રોબર્ટ વાડ્રાના જમીન વિવાદ પર જોરદાર નિશાન સાધ્યા મોદીએ પોતાના અનેક ભાષણો દરમિયાન વાડ્રાને ‘જીજાજી'ના નામથી સંબોધિત કર્યા અને ગાંધી પરિવારને આરએસવીપી(રાહુલ સોનિયા, વાડ્રા, પ્રિયંકા) મૉડલની સંજ્ઞા પણ આપી દીધી.

માતા-પુત્રની સરકાર
મોદીએ કોંગ્રેસની સાથોસાથ ઉત્તર પ્રદેશની સમાજવાદી પાર્ટીની સરકાર પર નિશાન સાધતા યુપીએ સરકારને ‘માતા-પુત્રની સરકાર' અને અખિલેશ યાદવની યુપી સરકારને ‘પિતા-પુત્રની સરકાર કહી.' મોદીએ પત્રકારો પર આરોપ લગાવ્યો કે ગુજરાતમાં તેમના કાર્યોને નહીં દર્શાવીને ઉદ્યોગપતિઓ સાથેની તેમની મુલાકાતોના જ સમાચાર દર્શાવવામાં આવે છે.

અરવિંદ કેજરીવાલ એકે-49
ભ્રષ્ટાચાર વિરુદ્ધ અવાજ ઉઠાવનારા આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલને તો મોદીએ ‘એકે-49' કહી દીધા. મોદીએ કેજરીવાલનું વારંવાર ધરણા પર બેસવું અને 49 દિવસની દિલ્હી સરકાર પર નિશાન સાધતા આ રૂઢિપ્રયોગનો ઉપયોગ કર્યો હતો. કેજરીવાલ જોકે અન્ય રાજકીય દળો અથવા નેતાઓ વિરુદ્ધ આ પ્રકારના રૂઢિપ્રયોગનો ઉપયોગ ના કરતા હોય પરંતુ તે પોતાના ભાષણમાં રાજકીય ભૂકંપ, સત્ય અને ઇમાનદારી, જેવા શબ્દોનો વારંવાર ઉપયોગ કરતા જોવા મળે છે.












Click it and Unblock the Notifications
