કોંગ્રેસના 6 સ્ટ્રાઈકના દાવા પર સર્જીકલ સ્ટ્રાઈકના હીરો ડીએસ હુડ્ડાએ શું કહ્યુ
કોંગ્રેસના 6 સ્ટ્રાઈકના દાવા પર લેફ્ટનન્ટ જનરલ (રિટાયર્ડ) ડી એસ હુડ્ડાએ એક નિવેદન આપ્યુ છે.
2019ની લોકસભા ચૂંટણી વચ્ચે કોંગ્રેસના એ દાવા પર રાજકીય ઘમાસાણ વધી ગયુ છે જેમાં પાર્ટીએ જણાવ્યુ હતુ કે યુપીએ સરકાર દરમિયાન પાકિસ્તાન ઉપર 6 સર્જિકલ સ્ટ્રાઈક કરવામાં આવી હતી. વાસ્તવમાં કોંગ્રેસ નેતા રાજીવ શુક્લાએ પોતાના એક નિવેદનમાં કહ્યુ કે યુપીએ સરકારના કાર્યકાળ દરમિયાન 6 વાર સર્જીકલ સ્ટ્રાઈક કરવામાં આવી હતી. રાજીવ શુક્લાએ આ સર્જીકલ સ્ટ્રાઈકની તારીખ અને સ્થળ વિશે પણ જણાવ્યુ. કોંગ્રેસના આ દાવા પર પીએમ મોદીએ કટાક્ષ કરતા કહ્યુ કે આ કેવી સર્જીકલ સ્ટ્રાઈક હતી જેના વિશે દેશને ખબર નથી. હવે આ મામલે લેફ્ટનન્ટ જનરલ (રિટાયર્ડ) ડી એસ હુડ્ડાએ એક નિવેદન આપ્યુ છે.

શું બોલ્યા ડીએસ હુડ્ડા
યુપીએ સરકાર દરમિયાન 6 સર્જીકલ સ્ટ્રાઈક કરાયાના દાવા પર લેફ્ટનન્ટ જનરલ (રિટાયર્ડ) ડીએસ હુડ્ડાએ મીડિયા સાથે વાત કરતા કહ્યુ, ‘તમે એને સર્જીકલ સ્ટ્રાઈક કહી લો, આવી વસ્તુઓ પહેલા ભારતીય સેના કરતી રહી છે. મને તેની તારીખો અને જે વિસ્તારોમાં કરવામાં આવી તેના વિશે ચોક્કસ માહિતી નથી.' તમને જણાવી દઈએ કે લેફ્ટનન્ટ જનરલ (રિટાયર્ડ) ડી એસ હુડ્ડા પાકિસ્તાન પર 29 સપ્ટેમ્બર 2016ના રોજ થયેલી સર્જીકલ સ્ટ્રાઈક દરમિયાન કમાન્ડર હતા. સર્જીકલ સ્ટ્રાઈક દરમિયાન ડી એસ હુડ્ડા આ અભિયાન પર નજર રાખી રહ્યા હતા. આ સર્જીકલ સ્ટ્રાઈક બાદ ડી એસ હુડ્ડાએ નિવેદન આપ્યુ હતુ કે આ અભિયાનનું થોડુ રાજકીયકરણ થઈ ગયુ પરંતુ જો સેનાની દ્રષ્ટિએ જોઈએ તો અમારે તેને કરવાની જરૂર હતી અને અમે તેને સફળતાપૂર્વક અંજામ આપ્યો.

‘યુપીએ સરકારમાં ક્યારે ક્યારે થઈ સ્ટ્રાઈક'
ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ નેતા રાજીવ શુક્લાએ ગયા ગુરુવારે એક નિવેદન આપીને કહ્યુ, ‘યુપીએ સરકારના કાર્યકાળમાં 6 વાર સર્જીકલ સ્ટ્રાઈક થઈ હતી. એક સર્જીકલ સ્ટ્રાઈક 19 જૂન 2008ના રોજ જમ્મુ કાશ્મીરમાં પુંછના બટ્ટલ સેક્ટરમાં, બીજી સર્જીકલ સ્ટ્રાઈક 30 ઓગસ્ટ-1 સપ્ટેમ્બર 2011ના રોજ નીલમ નદીના ઘાટીના શારદા સેક્ટરમાં, ત્રીજી સર્જીકલ સ્ટ્રાઈક 6 જાન્યુઆરી 2013ના રોજ સાવન પાત્રરા ચેકપોસ્ટ પર, ચોથી સર્જીકલ સ્ટ્રાઈક 27-28 જુલાઈ, 2013ના રોજ નાજપીર સેક્ટરમાં, પાંચમી સર્જીકલ સ્ટ્રાઈક 6 ઓગસ્ટ 2013ના રોજ નીલમ વેલીમાં અને છઠ્ઠી સર્જીકલ સ્ટ્રાઈક 14 જાન્યુઆરી, 2014ના રોજ કરવામાં આવી હતી. આ દરમિયાન તત્કાલીન પ્રધાનમંત્રી મનમોહન સિંહે એક વાર પણ સર્જીકલ સ્ટ્રાઈકનું રાજકીયકરણ કર્યુ નથી.'

પીએમ બોલ્યા, આ વળી, કેવી સ્ટ્રાઈક હતી
કોંગ્રેસના આ દાવા પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યુ, ‘કોંગ્રેસ હવે કહી રહી છે કે તેમના કાર્યકાળમાં 6 સર્જીકલ સ્ટ્રાઈક થઈ છે. પરંતુ આ કેવી સર્જીકલ સ્ટ્રાઈક હતી જેના વિશે આતંકીઓને ખબર નથી, સ્ટ્રાઈક કરનારાને ખબર નથી, પાકિસ્તાનને ખબર નથી અને દેશની જનતાને પણ કંઈ ખબર નથી. કોંગ્રેસમાં એવા લોકો છે જે ઉંમરના કોઈ પણ પડાવમાં વીડિયો ગેમ રમતા રહે છે અને કદાચ સર્જીકલ સ્ટ્રાઈકનો પણ વીડિયો સમજીને આનંદ લેતા હશે. પહેલા કોંગ્રેસના સર્જીકલ સ્ટ્રાઈકની મજાક ઉડાવવામાં આવી, પછી તેનો વિરોધ કરવામાં આવ્યો અને હવે ‘મી ટુ, મી ટુ' કરી રહ્યા છે.'

‘સર્જીકલ સ્ટ્રાઈકનો વીડિયો ગેમ કહેવી સેનાનું અપમાન'
ત્યારબાદ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ શનિવારે પ્રેસ કૉન્ફરન્સ કરીને પીએમ મોદીને નિશાના પર લીધા. રાહુલ ગાંધીએ કહ્યુ, ‘ભારતીય સેના પીએમ મોદીની ખાનગી સંપત્તિ નથી, સેના ભારતની છે. તમે સેનાના નામ પર મત માંગી રહ્યા છો. સર્જીકલ સ્ટ્રાઈકના વીડિયોને ગેમ કહેવી કોંગ્રેસનું અપમાન નથી, ભારતીય સેનાનું અપમાન છે. દેશની સુરક્ષા માટે અમારી સેના અડગ છે. મસૂદ અઝહર કેવી રીતે પાકિસ્તાન પહોંચ્યો, કોંગ્રેસે તો નથી મોકલ્યો. ભાજપે આતંકવાદ સાથે સમજૂતી કરી.'












Click it and Unblock the Notifications
