કર્ણાટકમાં રાહુલઃ 500-1000 નોટોની જેમ બંધારણને પણ ખતમ કરી દેશે મોદી
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યુ છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને તેમનો પક્ષ દેશના બંધારણને ખતમ કરવા ઈચ્છે છે.
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યુ છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને તેમનો પક્ષ દેશના બંધારણને ખતમ કરવા ઈચ્છે છે. સોમવારે કર્ણાટકના કલબુર્ગીમાં પરિવર્તન રેલીને સંબોધિત કરતા રાહુલ ગાંધીએ કહ્યુ કે પીએમ મોદીએ નોટબંધી કરીને 500 અને 1000 રૂપિયાની નોટ ખતમ કરી દીધી એવી જ રીતે આ હિંદુસ્તાનના બંધારણને ખતમ કરવા ઈચ્છે છે.
રાહુલે પૂછ્યુ, ભાજપે કર્ણાટકને શું આપ્યુ
રાહુલ ગાંધીએ અહીં કહ્યુ કે અમે કર્ણાટકમાં રોજગાર આપ્યો, આર્ટિકલ 371થી તમને જબરદસ્ત ફાયદો થયો. નરેન્દ્ર મોદીએ શું આપ્યુ? હિંદુસ્તાનના ઈતિહાસમાં કોઈએ આ રીતે રોજગાર ખતમ નહોતો કર્યો જે રીતે મોદીએ કર્યો. ત્યારબાદ જીએસટીની માર પણ નબળા વર્ગ પર પડી પરંતુ અમે પાંચ ટેક્સવાળા ગબ્બરસિંહ ટેક્સને બદલી દઈશુ અને એક ટેક્સવાળો સરળ જીએસટી આપીશુ તથા ભવિષ્યમાં નાના દુકાનદારો, નાના વેપારીઓને નુકસાન નહિ થવા દઈએ.
દરેક વ્યક્તિને લઘુત્તમ આવક
રાહુલે કહ્યુ કે નરેન્દ્ર મોદીએ કહ્યુ હતુ કે બે કરોડ યુવાનોને રોજગાર આપીશુ, 15 લાખ રૂપિયા અકાઉન્ટમાં આપીશુ પરંતુ ન આપ્યા. અમે ખેડૂતોને દેવામાફીનું વચન આપ્યુ હતુ, તેને કર્ણાટક, રાજસ્થાન, છત્તીસગઢમાં પૂરુ કરીને બતાવ્યુ, કહીએ છીએ તો કરીએ છીએ. હવે અમે નિર્ણય કર્યો છે કે અમે હિંદુસ્તાનના દરેક વ્યક્તિને ગેરેન્ટીથી લઘુત્તમ આવક આપવા જઈ રહ્યા છે.
મનોહર પરિકરને આપી શ્રદ્ધાંજલિ
રાહુલ ગાંધીએ કહ્યુ કે 2014માં નરેન્દ્ર મોદીએ કહ્યુ હતુ કે મને પ્રધાનમંત્રી બનાવો હું ચોકીદાર બનીશ. મોદીજીએ ચોકીદારી તો કરી પરંતુ નીરવ મોદી, અનિલ અંબાણી, મેહુલ ચોક્સી, લલિત મોદી, વિજય માલ્યાની ચોકીદારી કરી. નરેન્દ્ર મોદી બે હિંદુસ્તાન બનાવવા ઈચ્છે છે, એક ખેડૂતોનું અને બીજુ નીરવ મોદી અને મેહુલ ચોક્સી જેવા ઉદ્યોગપતિઓનું. તે મોટા મોટા ઉદ્યોગપતિઓને મોટી મોટી સુવિધાઓ આપે છે પરંતુ ગરીબો માટે કોઈ સુવિધા નહિ. અમને આવુ હિંદુસ્તાન ન જોઈએ. જ્યાં બધાને એક સમાન સુવિધાઓ હોવી જોઈએ. પોતાનું ભાષણ શરૂ કરતા પહેલા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મંચ પર હાજર નેતાઓ સાથે મનોહર પરિકરને યાદ કર્યા અને પોતાના સંબોધન પહેલા ગોવા સીએમ માટે બે મિનિટનું મૌન રાખ્યુ. મનોહર પરિકરનું રવિવારે નિધન થઈ ગયુ હતુ. રાહુલે ટ્વીટ કરીને પણ પરિકરને યાદ કર્યા છે.
આ પણ વાંચોઃ 'જો તમે ચોકીદાર છો તો મારો પુત્ર ક્યાં છે?' ગાયબ છાત્ર નજીબની માએ પીએમ મોદીને પૂછ્યુ