'એક કિલો વજન ઘટાડો, 1000 કરોડ આપીશ', ગડકરીએ આપી હતી ચેલેન્જ, MPએ ઘટાડી દીધુ 32 KG વજન
મધ્ય પ્રદેશના ઉજ્જૈનથી ભાજપ સાંસદ અનિલ ફિરોજિયાએ 32 કિલો વજન ઘટાડ્યુ છે.
મધ્ય પ્રદેશના ઉજ્જૈનથી ભાજપ સાંસદ અનિલ ફિરોજિયાએ 32 કિલો વજન ઘટાડ્યુ છે. તેમને કેન્દ્રીય પરિવહન અને રાજમાર્ગ મંત્રી નિતિન ગડકરીએ વિસ્તારના વિકાસ માટે પ્રતિ કિલો એક હજાર કરોડ રુપિયા આપવાનુ વચન આપ્યુ હતુ. અનિલ ફિરોજિયાએ આ ચેલેન્જ સ્વીકારી અને વજન ઘટાડીને બતાવ્યુ છે. અનિલ ફિરોજિયાના વજન ઘટાડવા પાછળ એક પ્રેરણાદાયક કહાની છે.
નિતિન ગડકરીએ કહ્યુ હતુ - 1 કિલો ઘટાડા પર 1000 કરોડ આપીશ
કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ સાંસદ અનિલ ફિરોજિયાને કહ્યુ હતુ કે, 'તમે જેટલુ વજન ઘટાડશો એટલુ હું તમને તમારા મતવિસ્તારમાં વિકાસ કાર્યો માટે મારા મંત્રાલયમાંથી ભંડોળ આપીશ. એક કિલો વજન ઘટાડવા માટે 1,000 કરોડ રૂપિયા આપીશ.' નિતિન ગડકરીએ ફેબ્રુઆરી 2022માં મંચ પરથી આ વચન આપ્યુ હતુ.
'મારુ વજન 135 કિલોથી વધુ હતુ...'
નિતિન ગડકરીએ ઉજ્જૈનમાં એક જાહેર કાર્યક્રમમાં કહ્યુ હતુ કે, 'મે ફિરોજિયાજીને ફંડ ફાળવવા માટે શરત મૂકી હતી. એક સમયે મારુ વજન ફિરોજિયાજી કરતા વધુ હતુ, તે 135 કિલો હતુ. પરંતુ હવે મારુ વજન 93 કિલો છે. મે તેને મારી જૂની તસવીર બતાવી. તે ફોટામાં મને ઓળખવો મુશ્કેલ છે. હું તેમને દરેક કિલો વજન માટે 1000 કરોડ રૂપિયા ફાળવીશ.
ચેલેન્જ સ્વીકારી અને વજન ઘટાડ્યુ
મધ્યપ્રદેશના ભાજપ સાંસદે હવે લગભગ 32 કિલો વજન ઘટાડ્યુ છે. અનિલ ફિરોજિયાએ કહ્યુ કે, 'કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરી દ્વારા આપવામાં આવેલા પડકાર પછી મે મારા મતવિસ્તારમાં વિકાસ માટે પહેલા 15 કિલો વજન ઘટાડ્યુ. તે પછી ફરી મે ચેલેન્જ સ્વીકારી અને 32 કિલો વજન ઘટાડ્યુ.'
મારા વેઈટલોસથી વિકાસ થતો હોય તો હું વજન ઘટાડતો રહીશ...
ભાજપના સાંસદ અનિલ ફિરોજિયાએ જણાવ્યુ હતુ કે, 'જો વજન ઘટાડવાથી ઉજ્જૈન માટે વધુ વિકાસ ભંડોળ અને બજેટની ફાળવણી થશે તો હું મારી ફિટનેસ દિનચર્યા ચાલુ રાખીશ અને મારા મતવિસ્તારના વિકાસ માટે વજન ઘટાડતો રહીશ.'
ગડકરીએ આપ્યા 2300 કરોડ ફંડ...
ભાજપ સાંસદ અનિલ ફિરોજિયાએ કહ્યુ કે તેઓ 14 ઓક્ટોબર 2022ના રોજ નિતિન ગડકરીને મળ્યા હતા અને તેમના વજનમાં ઘટાડા વિશે સાંભળીને કેન્દ્રીય મંત્રીએ ઉજ્જૈનના વિકાસ કાર્યો માટે 2,300 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે. ફિરોઝિયાએ કહ્યુ, 'હું કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીને મળ્યો અને તેમને કહ્યુ કે મે આટલુ વજન ઘટાડ્યુ છે. તેઓ આ વિશે જાણીને ખૂબ જ ખુશ થયા. તેમણે વચન આપ્યા મુજબ તેમણે વિસ્તાર માટે 2,300 કરોડ રૂપિયાની યોજનાઓ મંજૂર કરી છે.'
ફિરોજિયાનુ વર્કઆઉટ રુટીન
ઉજ્જૈનના સાંસદ અનિલ ફિરોજિયાએ તેમના દૈનિક વર્કઆઉટ રૂટિન અને આહાર વિશે માહિતી આપી હતી. અનિલ ફિરોજિયાએ કહ્યુ, 'હું સવારે 5.30 વાગ્યે ઉઠી જાઉ છુ અને મૉર્નિંગ વૉક માટે જઉ છુ. સાથે જ હું રનિંગ, વર્કઆઉટ અને યોગા પણ કરુ છુ.
આ ડાયેટ લે છે ફિરોજિયા
ડાયટ અંગે અનિલ ફિરોજિયાએ જણાવ્યુ હતુ કે, 'હું આયુર્વેદિક ડાયટ ચાર્ટને ફોલો કરુ છું. હું હળવો નાસ્તો લઉં છુ. લંચ અને ડિનરમાં હું સલાડ, એક વાટકી લીલા શાકભાજી લઉ છુ. આ સાથે હું મોટા અનાજથી બનાવેલી એક રોટલી ખઉ છુ. તેમાંથી. ક્યારેક હું ગાજરનો સૂપ અને ડ્રાયફ્રૂટ્સ પણ લઉ છુ.