મહારાષ્ટ્રના મંત્રી અબ્દુલ સત્તારે સુપ્રિયા સુલે પર વિવાદીત ટિપ્પણી કરી, NCP કાર્યકર્તાઓએ તોડફોડ કરી!
મહારાષ્ટ્રની રાજનીતિમાં નવો વિવાદ પેદા થયો છે. મહારાષ્ટ્ર સરકારના મંત્રી અબ્દુલ સત્તારે એનસીપી નેતા અને સાંસદ સુપ્રિયા સુલે પર વિવાદીત ટિપ્પણી કરતા રાજનીતિ ગરમાઈ છે.
મુંબઈ : મહારાષ્ટ્રની રાજનીતિમાં નવો વિવાદ પેદા થયો છે. મહારાષ્ટ્ર સરકારના મંત્રી અબ્દુલ સત્તારે એનસીપી નેતા અને સાંસદ સુપ્રિયા સુલે પર વિવાદીત ટિપ્પણી કરતા રાજનીતિ ગરમાઈ છે. એક ઈન્ટરવ્યૂ દરમિયાન વિવાદીત શબ્દોનો ઉપયોગ કરતા એનસીપીના કાર્યકર્તાઓ ઉશ્કેરાયા હતા અને મંત્રી અબ્દુલ સત્તારના ઘરે પહોંચી હંગામો મચાવ્યો હતો. આ દરમિયાન કાર્યકર્તાઓએ મંત્રીના ઘરે તોડફોડ કરી હતી.
સુપ્રિયા સુલે પરથી વિવાદીત ટિપ્પણીને લઈને એનસીપી કાર્યકર્તાઓમાં રોષનો માહોલ છે ત્યારે NCP કાર્યકર્તાઓએ બોરીવલી પોલીસ સ્ટેશન પહોંચી એડવોકેટ ઇન્દરપાલ સિંહ મારફતે ફરિયાદ નોંધાવી હતી. કાર્યકર્તાઓનું કહેવું છે કે મંત્રીએ દેશની સમગ્ર મહિલા સમુદાયનું અપમાન કર્યું છે. આ સિવાય NCPએ મહારાષ્ટ્ર પોલીસને એક પેન ડ્રાઈવ પણ સોંપી છે, જેમાં ઈન્ટરવ્યુની એ વિગતો છે, જેમાં સુપ્રિયા સુલે વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણી કરવામાં આવી છે.
જો કે બીજી તરફ બાલાસાહેબની શિવસેના એટલે કે શિંદે જૂથના પ્રવક્તા દીપક કેસરકરે સુપ્રિયા સુલેની માફી માંગી છે. તેમણે કહ્યું કે પ્રવક્તા તરીકે હું અબ્દુલ સત્તાર વતી માફી માંગુ છુ. અમે શરદ પવાર અને સુપ્રિયા સુલેનું સન્માન કરીએ છીએ, પરંતુ રાજીનામું આપવાનો સવાલ જ ઊભો થતો નથી.
વિવાદ વધતા હવે મંત્રી અબ્દુર સત્તારની મુશ્કેલીઓ વધી રહી છે. તેમણે પણ પોતાના નિવેદન માટે માફી માંગી છે. મીડિયા સાથે વાત કરતાં તેમણે કહ્યું કે, હું માત્ર આરોપોનો જવાબ આપી રહ્યો છું. મેં તેમની સામે કોઈ ખરાબ ટિપ્પણી કરી નથી. જો મેં તેમની અથવા અન્ય કોઈની ભાવનાઓને ઠેસ પહોંચાડી હોય, તો હું દિલગીર છું.