'ઘાયલ વાઘણ વધુ આક્રમક બની જાય છે', મમતા બેનર્જી વિશે શિવસેનાનો BJP પર હુમલો
મમતા બેનર્જી પર 10 માર્ચે નંદીગ્રામમાં થયેલ કથિત હુમલા દ્વારા શિવસેનાએ ભારતીય જનતા પાર્ટી(ભાજપ) પર હુમલો કર્યો છે.
મુંબઈઃ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને ટીએમસીના પ્રમુખ મમતા બેનર્જી પર 10 માર્ચે નંદીગ્રામમાં થયેલ કથિત હુમલા દ્વારા શિવસેનાએ ભારતીય જનતા પાર્ટી(ભાજપ) પર હુમલો કર્યો છે. મમતા બેનર્જી હાલમાં કોલકત્તાની હોસ્પિટલમાં ભરતી છે. તેમના પગ, ખભા, કમર અને હાથમાં ઈજાઓ થઈ છે. નંદીગ્રામમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના ઘાયલ થવા અંગે શિવસેનાએ પોતાના મુખપત્ર સામનામાં ભારતીય જનતા પાર્ટી(ભાજપ) પર નિશાન સાધ્યુ છે. સામનામાં શિવસેનાએ મમતા બેનર્જીની તુલના વાઘણ સાથે કરી છે. શિવસેનાએ લખ્યુ છે, 'વાઘણ જ્યારે ઘાયલ થઈ જાય છે ત્યારે વધુ આક્રમક અને હિંસક થઈ જાય છે. માટે મમતા બેનર્જીના ઘાયલ પગ ભાજપને પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં ભારે પડવાના છે.' મમતા બેનર્જી નંદીગ્રામથી ચૂંટણી લડી રહ્યા છે.
'ઘાયલ મમતા પર, સીબીઆઈ તપાસ, સૌથી મોટી મજાક છે'
સામનામાં શિવસેનાએ લખ્યુ છે, 'ભાજપનુ કહેવુ છે કે મમતા બેનર્જી હુમલાની વાત સહાનુભૂતિ મેળવવા માટે કરી રહ્યા છે અને આ દૂર્ઘટનાની સીબીઆઈ તપાસ થવી જોઈએ. મમતા બેનર્જીના પગમાં ઈજા થઈ છે, તેમના પગમાં પ્લાસ્ટર આવ્યુ છે અને ભાજપ એ પ્લાસ્ટરની સીબીઆઈ તપાસ કરાવવા માંગે છે, ભાજપની આ માંગ પશ્ચિમ બંગાળની ચૂંટણીની સૌથી મોટી મજાક છે. પ્લાસ્ટર મમતા બેનર્જીના પગમાં આવ્યા છે પરંતુ ચિંતામાં ભાજપ છે.'
'દીદીના પગમાં લાગેલુ પ્લાસ્ટર ભાજપને બંગાળમાં 10-20 સીટો પર સમેટી દેશે'
શિવસેનાએ લખ્યુ છે, 'મમતા બેનર્જીના પગમાં લાગેલુ પ્લાસ્ટર આ પશ્ચિમ બંગાળ ચૂંટણીમાં ભાજપને 10થી 20 સીટો પર જરૂર ઘાયલ કરી શકે છે. ભલે ભાજપે પશ્ચિમ બંગાળમાં પોતાની પૂરી તાકાત લગાવી દીધી છે. મમતા બેનર્જીને ઘેરવાની દરેક કોશિશ કરવામાં આવી રહી છે. ટીએમસીમાં રોજ ફૂટ નાખવામાં આવી રહી છે. આટલા બાદ પણ પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીનો દબદબો જળવાઈ રહ્યો છે. પશ્ચિમ બંગાળની ચૂંટણી હવે દીદી વિરુદ્ધ પીએમ નરેન્દ્ર મોદી થઈ ગઈ છે. સૌની નજર તેના પર ટકેલી છે. ભાજપે પશ્ચિમ બંગાળની ચૂંટણીનો માહોલ ગરમ કરી દીધો છે.'
સામનાએ પૂછ્યુ - બંગાળમાં ભાજપનો ચૂંટણી મુદ્દો શું છે?
સામનામાં શિવસેનાએ સવાલ કર્યો છે, 'પશ્ચિમ બંગાળ વિધાનસભામાં ભાજપના ચૂંટણી પ્રચારનો મુદ્દો શું છે?... ભાજપનો મુદ્દો એ છે કે સીએમ મમતા બેનર્જી હિંદુ વિરોધી છે અને તે જયશ્રી રામ કેમ નથી બોલતા? પશ્ચિમ બંગાળમાં ભાજપ ધર્મની રાજનીતિ કરી, મમતાની હિંદુ વિરોધી છબી બનાવીને મત માંગી રહ્યુ છે.'
મહારાષ્ટ્રમાં વધ્યા કોરોના કેસ, પરભણી જિલ્લામાં પણ લૉકડાઉન