મમતા બેનર્જીની માંગ- મોદી હટાવો, દેશ બચાવો
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને તૃણમુલ કોંગ્રેસના સુપ્રિમો મમતા બેનર્જીએ દેશના તમામ વિપક્ષોને એકજૂથ થવાની અપીલ કરતાં કહ્યું છે કે, એકમેક સાથેના મતભેદ ભૂલીને એક થઇને જ દેશને બચાવી શકાશે.
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પ્રહારો કરતાં નવી માંગ કરી છે. તેમણે નોટબંધીનો મુદ્દો ઉઠાવતાં કહ્યું છે કે, આવી પરિસ્થિતિમાં નરેન્દ્ર મોદીને વડાપ્રધાન પદેથી ખસેડવા જોઇએ. તેમની જગ્યાએ ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી કે નાણામંત્રી અરુણ જેટલી કે ગૃહમંત્રી રાજનાથ સિંહના નેતૃત્વમાં નવી સરકારનું ગઠન કરવું જોઇએ. પોંજ ગોટાળમાં જે રીતે મમતા બેનર્જીની પાર્ટીના સાંસદોની ધરપકડ કરવામાં આવી છે, તેનાથી તે નારાજ છે. તેમણે રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીને અપીલ કરતાં કહ્યું છે કે તેઓ નરેન્દ્ર મોદીને વડાપ્રધાન પદ પરથી ખસેડે. તેમણે કહ્યું કે, દેશ બચાવવો હશે તો મોદીને ખસેડવા પડશે.
વિપક્ષોને એકજૂથ થવાની કરી અપીલ
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને તૃણમુલ કોંગ્રેસના સુપ્રિમો મમતા બેનર્જીએ દેશના તમામ વિપક્ષોને એકજૂથ થવાની અપીલ કરતાં કહ્યું છે કે, એકમેક સાથેના મતભેદ ભૂલીને એક થઇને જ દેશને બચાવી શકાશે. તેમણે રાષ્ટ્રપતિને આ મામલેમાં વચ્ચે પડી દેશને બચાવવાની અપીલ કરી છે. તેમણે કહ્યું હતું કે, નરેન્દ્ર મોદી દેશનું નેતૃત્વ નથી કરી શકતા. તેમને વડાપ્રધાન પદેથી ખસેડવા જોઇએ.
નોંધનીય છે કે, મમતા બેનર્જીએ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીની નોટબંધી અંગેની ટિપ્પણીના બીજા દિવસે આ નિવેદન આપ્યું હતું. રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ નોટબંધીને કારણે અસ્થાયી આર્થિક મંદીની શક્યતા વ્યક્ત કરી હતી.
કેન્દ્ર સરકાર લઇ રહી છે બદલો
મમતા બેનર્જીએ કહ્યું હતું કે, મેં કેન્દ્રમાં ક્યારેય આવી સરકાર નથી જોઇ, મોદી સરકાર જૂના સંસ્થાનો, યોજના આયોગ અને બીજી સંસ્થાઓને ખસેડવામાં લાગેલી છે. તેઓ સરકારની કરોડરજ્જૂ તોડવાનું કામ કરી રહ્યાં છે. તેમણે સરકાર પર પ્રહારો કરતા કહ્યું હતું કે, 500 અને 1000 રૂ.ની નોટો બંધ કરવાથી તેમના રાજ્યને 5500 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. તૃણમુલ કોંગ્રેસે નોટબંધીનો વિરોધ કરતાં સીબીઆઇ દ્વારા તેમની પાર્ટીના સાંસદો સાથે બદલો લેવામાં આવી રહ્યો છે. તેમણે નરેન્દ્ર મોદી પર નિશાનો સાધતા કહ્યું કે, આ નોટબંધીના નિર્ણયને કારણે સામાન્ય માણસને હેરાનગતિ વેઠવી પડી છે. જો કે, મમતા બેનર્જીના આવા નિવેદન પર અનેક સવાલો ઊભા થયા છે.