મણિપુર પહોંચી કર્ણાટકની જંગ, પૂર્વ સીએમ ઓકરામ ઈબોબીએ ગવર્નર સાથે કરી મુલાકાત
ગોવા, મણિપુરમાં સૌથી મોટો પક્ષ હોવા છતાં કોંગ્રેસ સરકાર બનાવી શકી નહોતી. કોંગ્રેસ-ભાજપને તેની જ રણનીતિ હેઠળ ઘેરવાની યોજના કોંગ્રેસ બનાવી રહી છે.
કર્ણાટકના રાજ્યપાલે ભાજપની પાસે બહુમત માટે જરૂરી સંખ્યા ન હોવા છતાં મોટો પક્ષ હોવાના આધાર પર ભાજપને સરકાર બનાવવાની પહેલી તક આપી. આને જ આધાર બનાવીને હવે કોંગ્રેસ એ રાજ્યોમાં રાજ્યપાલ પર દબાણ કરી રહી છે જ્યાં મોટો પક્ષ હોવા છતાં કોંગ્રેસને આમંત્રણ મળ્યુ નહોતુ અને ભાજપે ત્યાં સરકાર બનાવી લીધી હતી. ગોવા, મણિપુરમાં સૌથી મોટો પક્ષ હોવા છતાં કોંગ્રેસ સરકાર બનાવી શકી નહોતી. કોંગ્રેસ-ભાજપને તેની જ રણનીતિ હેઠળ ઘેરવાની યોજના કોંગ્રેસ બનાવી રહી છે.
આને મુદ્દો બનાવતા મણિપુરના પૂર્વ સીએમ ઓકરામ ઈબોબી સિંહે રાજ્યપાલ સાથે મુલાકાત કરીને સરકાર બનાવવા માટે દાવો રજૂ કરવાની માંગ કરી છે. પૂર્વ સીએમ ઓકરામ ઈબોબી સિંહે આજે રાજ્યપાલ સાથે મુલાકાત કરી છે અને કર્ણાટકની સ્થિતિનું ઉદાહરણ આપીને સરકાર બનાવવાનો દાવો રજૂ કરવાની માંગ કરી છે.
ઓકરામ ઈબોબી સિંહે જણાવ્યુ કે રાજ્યપાલ જગદીશ મુખીએ તેમને આશ્વાસન આપ્યુ છે કે તે આ મુદ્દાને જોશે. તેમણે કહ્યુ કે આશા છે કે રાજ્યપાલ ન્યાય કરશે. કોંગ્રેસ નેતાએ કહ્યુ કે કર્ણાટકના પરિણામ માટે કાલે સાંજે 4 વાગ્યા સુધી ફ્લોર ટેસ્ટની રાહ જોવી પડશે. તમને જણાવી દઈએ કે ઓકરામ ઈબોબી સિંહે કર્ણાટકમાં ઉદભવેલી સ્થિતિ પર કહ્યુ હતુ કે મણિપુરમાં કોંગ્રેસ મોટો પક્ષ હતી અને એ રીતે જોવા જઈએ તો તેમને સરકાર બનાવવા માટે તેમને આમંત્રણ મળવુ જોઈતુ હતુ. પરંતુ એ વખતે એવુ બન્યુ નહોતુ.
તમને જણાવી દઈએ કે રાજ્યપાલ દ્વારા બીએસ યેદિયુરપ્પાને બહુમત સાબિત કરવા માટે 15 દિવસ આપવાના વિરોધમાં કોંગ્રેસની યાચિકા પર સુનાવણી બાદ સુપ્રિમ કોર્ટે બહુમત પરીક્ષણ માટે કાલે એટલે કે શનિવારે સાંજે 4 વાગ્યા સુધીનો સમય નક્કી કર્યો છે. હવે યેદિયુરપ્પાને કાલે સાંજે ચાર વાગ્યા સુધી બહુમત સાબિત કરવાનો સમય મળ્યો છે. ઉલ્લેખનીય છે કે કર્ણાટકમાં બહુમત માટે જરૂરી સંખ્યા ન હોવા છતાં ભાજપને રાજ્યપાલ દ્વારા સરકાર બનાવવાનું આમંત્રણ આપવામાં આવ્યુ હતુ અને યેદિયુરપ્પાએ સીએમ પદના શપથ પણ લઈ લીધા હતા.