મનીષ સિસોદિયાએ ગણાવી ન્યૂ એજ્યુકેશન પૉલિસીની ખામીઓ, કહ્યુ શિક્ષણ નીતિમાં ઘણુ બધુ ઉમેરવા અને બદલવાની જરુર
દિલ્લીના નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયાએ શનિવારે જણાવ્યુ હતુ કે શિક્ષણ પરની રાષ્ટ્રીય નીતિ (NEP), 2020માં ફેરફારોની જરૂર છે
નવી દિલ્લીઃ દિલ્લીના નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયાએ શનિવારે જણાવ્યુ હતુ કે શિક્ષણ પરની રાષ્ટ્રીય નીતિ (NEP), 2020માં ફેરફારોની જરૂર છે અને યોજનામાં 'કેટલાક મુદ્દાઓ ઉમેરવાની જરૂર છે'. દિલ્લી ટીચર્સ યુનિવર્સિટી દ્વારા આયોજિત એક કાર્યક્રમને સંબોધતા સિસોદિયાએ કહ્યુ કે શિક્ષણ સંબંધિત નીતિઓને 360 ડિગ્રી વ્યૂ આપવો જોઈએ અને તેમાં શિક્ષક તાલીમ સહિતના તમામ પાસાઓનો સમાવેશ કરવો જોઈએ.
તમને જણાવી દઈએ કે નેશનલ એજ્યુકેશન પોલિસી, 2020ની ચર્ચા કરવા માટે 'કનેક્ટીંગ ધ ડોટ્સ' ઈવેન્ટનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. સિસોદિયાએ દાવો કર્યો કે NEP 2020માં ઘણી ખામીઓ છે માટે તેને લાગુ કરવામાં ઉતાવળ ન કરવી જોઈએ. તેમણે કહ્યુ કે, 'જો આપણે દિલ્લીમાં NEP લાગુ કરવાનો નિર્ણય લઈશુ તો પછી ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓને કોણ ભણાવશે? તે શિક્ષકોની લાયકાત શું હશે? તેના વિશે હજુ સુધી કોઈ ચર્ચા કરવામાં આવી નથી. નીતિમાં આટલો તફાવત છે. સિસોદિયાએ કહ્યુ કે દિલ્લી સરકારે દિલ્લીમાં શિક્ષકોને તાલીમ આપવા માટે તમામ પ્રયાસો કર્યા છે.
નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યુ હતુ કે, 'અમારી સરકાર ટીચર્સ ટ્રેનિંગ યુનિવર્સિટીનો એક ભાગ છે અને અમે શિક્ષકોને સારી રીતે તાલીમ આપવા માટે શક્ય તમામ સુવિધાઓ પૂરી પાડી છે. શિક્ષણ વ્યવસાયને ખૂબ સન્માન આપવામાં આવે છે પરંતુ કમનસીબે સમાજમાં તેને પ્રોત્સાહન આપવામાં આવતુ નથી.' તેમણે કહ્યુ કે નીતિનો ડ્રાફ્ટ તૈયાર કરવા અને અમલમાં મૂકવા વચ્ચે 'મોટો તફાવત' છે.