મનમોહન સિંહની હાલતમાં થઈ રહ્યો છે સુધારો, એઈમ્સના અધિકારીઓએ આપી માહિતી
છેલ્લા બે દિવસથી એઈમ્સમાં ભરતી પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહની સ્થિતિમાં હવે સુધારો જોવા મળી રહ્યો છે.
નવી દિલ્લીઃ છેલ્લા બે દિવસથી એઈમ્સમાં ભરતી પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહની સ્થિતિમાં હવે સુધારો જોવા મળી રહ્યો છે. શુક્રવારે એઈમ્સના અધિકારીઓ તરફથી આપવામાં આવેલી માહિતી મુજબ તેમની હાલત હવે સ્થિર છે અને તે રિકવર કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે 89 વર્ષના મનમોહન સિંહને બે દિવસ પહેલા બુધવારે સાંજે એઈમ્સમાં ભરતી કરવામાં આવ્યા હતા. તેમને તાવ અને નબળાઈની ફરિયાદ બાદ હૉસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા.
એઈમ્સમાં જઈને મનમોહન સિંહને મળ્યા હતા રાહુલ ગાંધી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મનમોહન સિંહના જલ્દી ઠીક થવાની કામના કરી હતી. વળી, કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા તેમના ખબર પૂછવા માટે હૉસ્પિટલમાં પહોંચ્યા હતા. તેમના સિવાય કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પણ મનમોહન સિંહને મળવા ગયા હતા. એઈમ્સમાં મનમોહન સિંહનો ઈલાજ કાર્ડયોલૉજી વિભાગમાં ચાલી રહ્યો છે અને આ વિભાગના હેડ ડૉક્ટર નીતિશ નાયકની ટીમ પૂર્વ પ્રધાનમંત્રીનો ઈલાજ કરી રહી છે.
આ વર્ષે એપ્રિલમાં પણ એઈમ્સમાં ભરતી થયા હતા મનમોહન સિંહ
તમને જણાવી દઈએ કે આ પહેલા પણ મનમોહન સિંહને આ વર્ષે એપ્રિલમાં એઈમ્સમાં ભરતી કરવામાં આવ્યા હતા. એ વખતે તેઓ કોરોના સંક્રમિત થઈ ગયા હતા. બાદમાં તપાસ બાદ તેમને જલ્દી ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા હતા. પૂર્વ પ્રધાનમંત્રીએ ચાર માર્ચ અને ત્રણ એપ્રિલના રોજ કોરોના વેક્સીનના બંને ડોઝ લીધા હતા.