મનમોહન સિંહે લાલ કિલ્લા પર 10મી વાર ધ્વજવંદન કરી રેકોર્ડ બનાવ્યો
નવી દિલ્હી, 15 ઓગસ્ટ : ભારતની 67મા સ્વાતંત્ર્ય દિવસના અવસરે લાલ કિલ્લા પર ભારતનો ત્રિરંગો ઝંડો લહેરાવીને વડાપ્રધાન મનમોહન સિંહે પોતાના નામે એક નવો રેકોર્ડ બનાવ્યો છે. આ રેકોર્ડની સાથે જ મનમોહન સિંહે પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નહેરૂ અને ઇંન્દિરા ગાંધી બાદ ત્રીજો ક્રમ પ્રાપ્ત કર્યો છે.
વાસ્તવમાં વડાપ્રધાન મનમોહન સિંહે 67મા સ્વતંત્રતા દિવસના અવસરે સતત 10મી વાર ત્રિરંગો ધ્વજ લહેરાવ્યો છે. આમ કરનારા તેઓ દેશના ત્રીજા વડાપ્રધાન છે. આ પહેલા પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ 17વાર, પૂર્વ વડાંપ્રધાન ઇન્દિરા ગાંધી 16 વાર લાલ કિલ્લા પર ત્રિરંગો લહેરાવી ચૂક્યા છે.

આ બંને વડાપ્રધાનો બાદ મનમોહન સિંહે સૌથી વધારે વાર ધ્વજ લહેરાવવાનો રેકોર્ડ બનાવ્યો છે. મનમોહન સિંહ પહેલા આ ક્રમે અટલ બિહારી વાજપેયી આવતા હતા. તેમણે લાલ કિલ્લા પરથી 6 વાર ધ્વજવંદન કરાવ્યું છે. વાજપેયીએ વર્ષ 1998થી વર્ષ 2003 દરમિયાન લાલ કિલ્લા પર ત્રિરંગો લહેરાવ્યો હતો.
સૌથી વધારે વખત લાલ કિલ્લા પરથી ત્રિરંગો લહેરાવવાનો રેકોર્ડ ધરાવનારા જવાહરલાલ નહેરુએ જ 15 ઓગસ્ટ, 1947ના રોજ લાલ કિલ્લા પર ધ્વજ લહેરાવ્યો હતો. મનમોહન સિંહ 14મા વડાપ્રધાન છે, જેમણે મે મહિનામાં કાર્યભાર સંભાળ્યાના ચાર મહિના બાદ 15 ઓગસ્ટ, 2004ના રોજ લાલ કિલ્લા પર પ્રથમવાર ધ્વજ લહેરાવ્યો હતો.












Click it and Unblock the Notifications
