દેશભરમાં લોકસભા ચૂંટણીનો માહોલ સર્જાઇ ગયો છે. લોકસભા ચૂંટણી નજીક આવતાં જ રાજકીય પાર્ટીઓ મતદારોને આકર્ષવા માટે રેલીઓ અને સભાઓ કરવામાં લાગી ગઇ છે. જે પાર્ટી સરકારમાં છે તે પોતાની ઉપલબ્ધિઓ ગણાવામાં લાગી છે તો વિપક્ષી પાર્ટીઓ લોકોના ભવિષ્યને ઉજ્જવળ બનાવવાનું સપનું બતાવી રહી છે. જોકે આ પ્રસંગે એકબીજા પર આરોપ-પ્રત્યારોપ ના લાગે તો જ નવાઇ. વનઇન્ડિયા પર દિવસ દરમિયાન બનતી તમામ રાજકીય ઘટનાઓ, નિવેદનો અંગે સતત અપડેટ રાખીશે.
આજે દેશના રાજકારણમાં કંઇ ઉથલપાથલ સર્જાઇ અને કઇ ઘટનાઓ ઘટી તે તમામ જાણકારીઓથી માહિતગાર થવા માટે સ્લાઇડર પર ક્લિક કરતાં જાવ...
વારાણસી પહોંચ્યા કેજરીવાલ, ઘરેઘરે જઇને માંગશે મત
આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલ આજે વારાણસી પહોંચ્યા છે અને તેઓ વારાણસીમાં ઘરે ઘરે જઇને મત માગશે. આ ઉપરાંત તેમણે વારાણસીની જનતાને પ્રશ્નો પૂછવા માટે પણ આમંત્રિત કર્યા છે. કેજરીવાલ સાંજે 4થી 7 દરમિયાન પ્રશ્નોના જવાબ આપશે.
જેને ઇતિહાસનું જ્ઞાન નથી તે દેશ કેવી રીતે ચલાવશેઃ માયાવતી
બહુજન સમાજ પાર્ટીના અધ્યક્ષ માયાવતીએ ભારતીય જનતા પાર્ટીના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી પર પ્રહાર કરતા કહ્યું કે મોદીને બાબા સાહેબ આંબેડકર અંગે કોઇ જાણકારી નથી. તેમને ઇતિહાસની માહિતી નથી. આવી વ્યક્તિને દેશના વડાપ્રધાન બનાવી દેવામાં આવે તો દેશ ક્યાં જશે તે વિચારવાલાયક વાત છે.
ગુજરાતનું વિકાસ મોડલ ટોફી મોડલ છેઃ રાહુલ ગાંધી
કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ મહારાષ્ટ્રના લાતૂરમાં ભાજપના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીની જોરદાર ટીકા કરી છે અને કહ્યું છેકે ગુજરાતનું વિકાસ મોડલ એક ટોફી મોડલ છે. રાહુલે પીએમ પદના ઉમેદવારની વિકાસ નીતિનો મજાક ઉડાવતા કહ્યું કે મોદીએ ગુજરાતમાં ઔરંગાબાદ જેટલી જમીન એક વ્યાપારીને માત્ર 300 કરોડમાં આપી દીધી.
આ ત્રણ દિગ્ગજો આજે ભરશે ઉમેદવારી પત્ર
ભારતીય જનતા પાર્ટીના યુવા નેતા વરૂણ ગાંધી સુલ્તાનપુર બેઠક પરથી પોતાનું ઉમેદવારી પત્ર ભરશે. આ ઉપરાંત એનડીએમાં સામેલ થયેલી જનશક્તિ પાર્ટીના નેતા રામવિલાસ પાસવાન હાજીપુરથી અને આમ આદમી પાર્ટીના કુમાર વિશ્વાસ અમેઠીમાંથી ઉમેદવારી પત્ર ભરશે.
પીએમના પુત્રીનો બારુ પર પ્રહાર
ઇન્ડિયન એક્સપ્રેસમાં છપાયેલા અહેવાલ અનુસાર વડાપ્રધાનના પૂર્વ મીડિયા સલાહકાર સંજય બારુના પુસ્તકથી પીએમ મનમોહન સિંહનો પરિવાર નારાજ છે, પીએમના પુત્રી ઉપિંદર સિંહે કહ્યું કે સંજય બારુએ અનૈતિક અને વિશ્વાસઘાતનું કામ કર્યું છે.