જયશંકર અને સાઉદી અરેબિયાના વિદેશ મંત્રી વચ્ચે દિલ્હીમાં બેઠક, અફઘાનિસ્તાન સહિતના મુદ્દાઓ પર ચર્ચા!
ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે રવિવારે દિલ્હીમાં તેમના સાઉદી સમકક્ષ ફૈઝલ બિન ફરહાન સાથે બેઠક યોજી હતી.
ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે રવિવારે દિલ્હીમાં તેમના સાઉદી સમકક્ષ ફૈઝલ બિન ફરહાન સાથે બેઠક યોજી હતી. બંને દેશોના વિદેશ મંત્રીઓ વચ્ચે આ બેઠકમાં ખાસ કરીને અફઘાનિસ્તાનમાં ઝડપથી બદલાતી સ્થિતી સહિત ઘણા મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.
સાઉદી વિદેશ મંત્રી ફૈઝલ બિન ફરહાન સાથે એક તસવીર શેર કરતાં એસ જયશંકરે ટ્વિટમાં લખ્યું કે, સાઉદી વિદેશ મંત્રીની તેમની પ્રથમ ભારત મુલાકાત પર સ્વાગત કરતાં મને આનંદ થયો. તેમની સાથે ખૂબ જ સૌહાર્દપૂર્ણ અને ફળદાયી બેઠક થઈ. અમે વ્યૂહાત્મક ભાગીદારી, સુરક્ષા અને સામાજિક-સાંસ્કૃતિક સહયોગ પર ચર્ચા કરી.
જયશંકરે વધુમાં કહ્યું કે, અફઘાનિસ્તાન, ગલ્ફ અને ઇન્ડો-પેસિફિકની સ્થિતિ અંગે પણ તેમની સાથે ચર્ચા કરવામાં આવી છે. આ ઉપરાંત શક્ય તેટલી વહેલી તકે સાઉદી અરેબિયા માટે સીધી ફ્લાઇટ્સ ફરી શરૂ કરવા વિનંતી કરી. જેના પર તેમણે મુસાફરી સહિત તમામ કોવિડ સંબંધિત પડકારો પર સાથે કામ કરવાની વાત કરી હતી.
વિદેશ મંત્રાલયે કહ્યું કે, બંને મંત્રીઓએ વ્યૂહાત્મક ભાગીદારી પરિષદ કરારના અમલીકરણની સમીક્ષા પણ કરી, જેના પર ઓક્ટોબર 2019 માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાઉદી અરેબિયાની મુલાકાત દરમિયાન હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. સાઉદી વિદેશ મંત્રીની આ મુલાકાત એવા સમયે થઈ રહી છે જ્યારે વિશ્વની નજર અફઘાનિસ્તાનની સ્થિતિ પર છે. આ સ્થિતિમાં જયશંકર અને ફૈઝલ બિન ફરહાને તાલિબાનના કબ્જા બાદ અફઘાનિસ્તાન વિશે સૌથી વધુ ચર્ચા કરી છે.
સાઉદી અરેબિયાના વિદેશ મંત્રી ફૈઝલ બિન ફરહાનની આ ભારતની પ્રથમ મુલાકાત છે. ફૈઝલ ત્રણ દિવસના પ્રવાસ પર શનિવારે સાંજે નવી દિલ્હી પહોંચ્યા હતા. આજે તેમણે એસ જયશંકર સાથે મુલાકાત કરી. તે સોમવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળશે. આ પછી, સાઉદી વિદેશ મંત્રી સોમવારે સાંજે અમેરિકા જવા રવાના થશે.