મેઘાલયમાં પણ સરકાર રચવાનો રસ્તો સાફ, આજે રાજ્યપાલ સામે દાવો રજૂ કરશે કોનરાડ સંગમા
ભાજપનુ સમર્થન મળ્યા બાદ નેશનલ પીપલ્સ પાર્ટી(એનપીપી)ના નેતા કોનરાડ સંગમા આજે રાજ્યપાલને મળીને સરકાર રચવાનો દાવો રજૂ કરશે.

ત્રણ રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામો સામે આવ્યા બાદ ત્રિપુરા અને નાગાલેન્ડ વિધાનસભામાં ભાજપ ગઠબંધને બાજી મારી લીધી પરંતુ મેઘાલયમાં પેચ ફસાઈ ગયો હતો. અહીં ત્રિશંકુ વિધાનસભા થઈ અને પાર્ટીને બહુમત ના મળ્યો. અટકળો હતી કે મેઘાલયમાં ઘણા દિવસો સુધી બહુમત મેળવવાનો ખેલ ચાલશે પરંતુ હવે સરકાર રચવાનો રસ્તો સાફ થઈ ગયો છે. ભાજપનુ સમર્થન મળ્યા બાદ નેશનલ પીપલ્સ પાર્ટી(એનપીપી)ના નેતા કોનરાડ સંગમા આજે રાજ્યપાલને મળીને સરકાર રચવાનો દાવો રજૂ કરશે.
તમને જણાવી દઈએ કે મેઘાલયમાં 60માંથી 59 સીટો પર મતદાન થયુ હતુ. જેમાં બહુમતનો આંકડો 30 છે પરંતુ NPPને માત્ર 26 બેઠકો મળી છે, યુનાઈટેડ ડેમોક્રેટિક પાર્ટીને 11 બેઠકો મળી છે. જ્યારે ભાજપને 2, કોંગ્રેસને 5 અને TMCને 5 બેઠકો મળી હતી. ત્યારથી કોનરાડ સંગમા બહુમતી મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે.
આ જ મામલામાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ અર્નેસ્ટ મોરીએ કહ્યુ કે મને મેઘાલયમાં સરકાર બનાવવા માટે NPPને સમર્થન આપવાની સલાહ આપવામાં આવી છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાનો ફોન આવ્યો. તે પછી મે સીએમ કોનરાડ સંગમા સાથે વાત કરી. પાર્ટીએ રાત્રે સંગમાને સમર્થનનો પત્ર પણ સોંપ્યો હતો. જે બાદ તેમણે રાજ્યપાલ સાથે મુલાકાતનો સમય માંગ્યો.
2018ની વિધાનસભા ચૂંટણીમાં પણ કોઈપણ પક્ષને સ્પષ્ટ બહુમતી મળી ન હતી, જોકે કોંગ્રેસ ચૂંટણીમાં સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી હતી. તે સમયે કોંગ્રેસે 21 બેઠકો જીતી હતી, ત્યારબાદ સંગમાની પાર્ટી એનપીપી 19, ભાજપ અને એચએસપીડીપીને બે-બે બેઠકો મળી હતી. જ્યારે UDPને 6 અને PDFને 4 બેઠકો મળી હતી. જો કે, એનપીપીએ ભાજપ અને અન્યો સાથે ગઠબંધન કરીને સરકાર બનાવી હતી.












Click it and Unblock the Notifications
