ભારત જોડો યાત્રામાં જોડાશે મેહબૂબા મુફ્તી, જાણો શું કહ્યું?
મેહબુબા મુફ્તીએ ટ્વિટ કરીને જણાવ્યુ કે, મને આજે કાશ્મીરમાં ભારત જોડો યાત્રામાં સામેલ થવા રાહુલ ગાંધી દ્વારા ઔપચારિક આમંત્રણ આપવામાં આવ્યું છે. હું તેમની અદમ્ય હિંમતને સલામ કરું છું.
નવી દિલ્હી : કોંગ્રેસની ભારત જોડો યાત્રા દિલ્હીથી આગળ વધીને હવે ઉત્તર પ્રદેશ પહોંચી રહી છે ત્યારે એક મોટા સમાચાર સામે આવ્યા છે. હાલમાં જમ્મુ કાશ્મીરના પુર્વ મુખ્યમંત્રી મેહબૂબા મુફ્તીએ રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રામાં જોડાવાની વાત કરી છે. મેહબુબા મુફ્તીએ ભારત જોડો યાત્રાના વખાણ કર્યા અને આમંત્રણ મળ્યુ હોવાનું જણાવ્યુ હતું.
મેહબુબા મુફ્તીએ કહ્યું કે, દેશમાં ધર્મનિરપેક્ષતાને મજબૂત કરવા અને એકતાને પ્રોત્સાહન આપવા માટે ભારત જોડો યાત્રા શરૂ કરવા બદલ તેમને સલામ. મહેબૂબાએ કહ્યું કે કોંગ્રેસની આ યાત્રામાં ભાગ લેવા માટે તેમને આમંત્રણ આપવામાં આવ્યું છે અને તેઓ આ યાત્રામાં જોડાશે.
મેહબુબા મુફ્તીએ ટ્વિટ કરીને જણાવ્યુ કે, મને આજે કાશ્મીરમાં ભારત જોડો યાત્રામાં સામેલ થવા રાહુલ ગાંધી દ્વારા ઔપચારિક આમંત્રણ આપવામાં આવ્યું છે. હું તેમની અદમ્ય હિંમતને સલામ કરું છું. હું માનું છું કે ફાસીવાદી શક્તિઓને પડકારવાની હિંમત ધરાવતા લોકો સાથે ઊભા રહેવું મારી ફરજ છે. બહેતર ભારત માટે હું તેમની માર્ચમાં સામેલ થઈશ.
અહીં તમને જણાવી દઈએ કે, ભારત જોડો યાત્રા 10 રાજ્યોમાં 2800 કિલોમીટરથી વધુનો પ્રવાસ કરી ચુકી છે. હાલ યાત્રાએ વિરામ લીધો છે અને 3 જાન્યુઆરીથી ઉત્તરપ્રદેશથી યાત્રા શરૂ થશે અને કાશ્મીર સુધી જશે. ઉત્તર પ્રદેશમાં પણ તમામ વિપક્ષી પાર્ટીઓ યાત્રામાં જોડાશે. કોંગ્રેસ દ્વારા તમામ વિપક્ષી નેતાઓને આમંત્રણ આપવામાં આવ્યા છે.
અહીં વધુ એક બાબત સામેલ આવી રહી છે. મળતી વિગતો અનુસાર, ભારત જોડો યાત્રામાં નેશનલ કોંન્ફ્રન્સના નેતા ફારૂક અબ્દુલ્લા પણ ભારત જોડો યાત્રામાં જોડાઈ શકે છે.