ઝારખંડમાં ભેખડ ધસી, 40 થી વધુ મજૂરો દબાયા હોવાની આશંકા
મોડી રાતે બનેલી આ દુર્ઘટનામાં અંધારુ હોવાને કારણે રાહત અને બચાવ કાર્યમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. મજૂરોની સાથે સાથે 35 ડમ્પર અને ખોદકામ માટેની બીજી ઘણી મશીનો જમીનમાં ધસવાના સમાચાર છે...
ઝારખંડના ગોડ્ડા જિલ્લાના લાલમટિયા વિસ્તારમાં ગુરુવારે મોડી રાતે ભેખડ ધસી પડવાને કારને ઘણા મજૂરો ઘાયલ થયા છે. શંકા સેવવામાં આવી રહી છે કે હજુ પણ 40-50 મજૂરો ભેખડમાં દબાયેલા છે. રાહત અને બચાવ કાર્ય માટે એનડીઆરએફની ટીમ પટનાથી રવાના થઇ ચૂકી છે. જાણકારી મુજબ ઇસ્ટર્ન કોલફીલ્ડ લિમિટેડ (ઇસીએલ) ની એક ભેખડમાં માટી ધસવાને કારણે બે ડઝનથી વધુ ગાડીઓ અને તેની ઉપર સવાર ઘણા લોકો દબાઇ ગયા. જણાવવામાં આવી રહ્યુ છે કે ઘટના સમયે લગભગ 40 મજૂરો ખાણમાં કામ કરી રહ્યા હતા. આમાંથી હજુ સુધી માત્ર 2 જ લોકોને બચાવી શકાયા છે. જેમને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
રાહત અને બચાવ કાર્ય
દુર્ઘટના બાદ રાહત અને બચાવ કાર્ય માટે હાલમાં સ્થાનિક પોલિસ અને સીઆઇએસએફના જવાનોની મદદ લેવામાં આવી રહી છે. પ્રશાસન અધિકારીઓએ જણાવ્યુ કે એનડીઆરએફની એક ટીમ બચાવ કાર્ય માટે પટનાથી આવી રહી છે. જે થોડાક સમયમાં ઘટના સ્થળે પહોંચી જશે. જો કે અધિકૃત રીતે કોઇ મજૂરના મરવાની કે ઘાયલોની કોઇ સૂચના આપવામાં આવી નથી. મોડી રાતે બનેલી આ દુર્ઘટનામાં અંધારુ હોવાને કારણે રાહત અને બચાવ કાર્યમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. મજૂરોની સાથે સાથે 35 ડમ્પર અને ખોદકામ માટેની બીજી ઘણી મશીનો જમીનમાં ધસવાના સમાચાર છે.
કોંગ્રેસે રાજ્ય સરકારને જવાબદાર ઠેરવી
રાજ્યના મુખ્યમંત્રી રઘુવરદાસને દુર્ઘટનાની સૂચના આપી દેવામાં આવી છે અને તે રાહત અને બચાવ કાર્ય પર સતત નજર રાખી રહ્યા છે. મુખ્યમંત્રીએ ઘાયલોને તરત જ ઉપચારમાં મદદ માટે રાંચીથી હેલિકોપ્ટર મોકલવાનો ભરોસો પણ આપ્યો છે. આ ઉપરાંત પ્રશાસનિક અધિકારીઓને પણ બચાવ કાર્ય ઝડપથી કરવાનું કહેવામાં આવ્યુ છે. વળી, આ દુર્ઘટના પર રાજનીતિ પણ શરુ થઇ ગઇ છે. કોંગ્રેસે દુર્ઘટના માટે સીધી રીતે રાજ્ય સરકારને જવાબદાર ઠેરવતા દોષિતો સામે હત્યાનો કેસ કરવાની માંગ કરી છે. હાલમાં રાહત અને બચાવ કાર્ય ચાલુ છે.