હિમાચલ પ્રદેશમાં મંત્રીઓને મંત્રાલય ફાળવાયા, જાણો કોને શું મળ્યુ?
હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસની નવી બનેલી સરકારના મંત્રીઓને મંત્રાલયની જવાબદારી સોંપી દેવાઈ છે. આ વખતે યુવા ચહેરાઓ પર ભરોષો મુકાયો છે.
હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસની નવી બનેલી સરકારના મંત્રીઓને મંત્રાલય ફાળવાયા છે. મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખુએ તમામ મંત્રીઓને મંત્રાલય ફાળવ્યા છે.
સામે આવી રહેલી વિગતો અનુસાર, ડૉ. ધનીરામ શાંડિલને આરોગ્ય, સામાજિક ન્યાય અને સશક્તિકરણ અને શ્રમ અને રોજગાર મંત્રાલય, ચંદ્ર કુમારને કૃષિ અને પશુપાલન વિભાગ, હર્ષવર્ધન ચૌહાણને ઉદ્યોગ, સંસદીય બાબતો અને આયુષ મંત્રાલય, જગત સિંહ નેગીને મહેસૂલ, બાગાયત અને આદિજાતિ વિકાસ મંત્રાલયની જવાબદારી આપવામાં આવી છે.
મંત્રાલય ફાળવણીમાં પૂર્વ સીએમ વીરભદ્ર સિંહના પુત્ર અને હિમાચલ પ્રદેશ કેબિનેટમાં સૌથી યુવા કેબિનેટ મંત્રી વિક્રમાદિત્ય સિંહને જાહેર બાંધકામ વિભાગ, યુવા સેવા અને રમતગમત મંત્રી બનાવાયા છે. પૂર્વ મુખ્યમંત્રી રામલાલ ઠાકુરના પૌત્ર અને હિમાચલ કોંગ્રેસના નેતા રોહિત ઠાકુરને હિમાચલ પ્રદેશના શિક્ષણ મંત્રીની જવાબદારી સોંપવામાં આવી છે. રોહિત ઠાકુર પહેલીવાર કેબિનેટ મંત્રી બન્યા છે. અનિરુદ્ધ સિંહને ગ્રામીણ વિકાસ અને પંચાયતી રાજ વિભાગની જવાબદારી સોંપાઈ છે.
નવી સરકારમાં સુખવિંદર સિંહ સુખુએ નવા ચહેરાઓ પર ભરોષો મુક્યો છે. કેબિનેટમાં પાંચ એવા સભ્યો છે જે પહેલીવાર કેબિનેટમાં સામેલ થયા છે. આમાં હર્ષવર્ધન ચૌહાણ, જગત સિંહ નેગી, રોહિત ઠાકુર, અનિરુદ્ધ સિંહ અને વિક્રમાદિત્ય સિંહનો સમાવેશ થાય છે. અહીં એક વાત એ પણ નોંધનીય છે કે મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખુ પોતે ક્યારેય મંત્રી પદે રહ્યાં નથી.