અમદાવાદ, 30 એપ્રિલ : ભારતીય જનતા પક્ષના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી આજે અમદાવાદના રાણિપ ખાતે આવેલ મતદાન કેન્દ્રમાં મતદાન કરવા પહોંચ્યાં. નરેન્દ્ર મોદી દ્વારા મતદાન કરવાની સમગ્ર પ્રક્રિયા મીડિયામાં લાઇવ દર્શાવવામાં આવી હતી. નરેન્દ્ર મોદી કોઈ પહેલી વાર રાણિપ ખાતે મતદાન કરવા નહોતા પહોંચ્યાં. આ અગાઉ તેઓ ગુજરાત વિધાનસભા ચૂંટણી 2002, 2007 અને 2012 તથા લોકસભા ચૂંટણી 2004 અને 2009માં પણ અહીં જ મતદાન કરવા પહોંચ્યા હતાં, પરંતુ આજના નરેન્દ્ર મોદી અને તેમના અંદાજમાં જમીન-આસમાનનો ફરક હતો.
નરેન્દ્ર મોદી મતદાન કર્યા બાદ મીડિયા સાથે વાતચીત કરવા પહોંચ્યાં. છેલ્લા પાંચ વખતના મતદાન બાદના સંબોધનમાં જે વસ્તુ નહોતી દેખાઈ, તે આ વખતના સંબોધન દરમિયાન જોવામાં આવી. આ વખતના નરેન્દ્ર મોદીના સંબોધનમાં એક નવી વસ્તુ એ હતી કે તેમના હાથે કમળનું પ્રતીક હતું. નરેન્દ્ર મોદી જ્યારે મીડિયાને સંબોધતા હતાં, ત્યારે મીડિયાના માઇકો તો તેમની આગળ ધરેલા હતાં, પરંતુ તેમણે કમળનું પ્રતીક એવી રીતે પોતાના હાથમાં રાખ્યુ હતું કે જાણે તેની પાછળ કોઈ માઇક હોય. જોકે તે માત્ર કમળનું પ્રતીક જ હતું અને મોદી પોતાની દરેક વાત સાથે તે કમળના પ્રતીક વાળા હાથને હલાવીને કહેતા હતાં.
ચાલો તસવીરો સાથે જાણીએ નરેન્દ્ર મોદીની ચાણક્ય નીતિ :
વમળ માટે જ લાવ્યા કમળ
નરેન્દ્ર મોદી પહેલી વાર કમળના પ્રતીક સાથે મીડિયાને સંબોધિત કરવા પહોંચ્યાં, પરંતુ આ કોઈ જોગાનુજોગ નહોતું. નરેન્દ્ર મોદી આ કમળ દ્વારા વમળ ઊભુ કરવા માંગતા હતાં અને તેમની એક ચાણક્ય ચાલ હતી. તેઓ જાણતા હતાં કે તેમના હાથે રહેલ કમળનો મુદ્દો કોંગ્રેસને ખૂંચશે જ અને કોંગ્રેસે સાચે જ મોદીના મતદાન બાદ તરત જ જાહેરાત કરી દીધી કે તે ચૂંટણી પંચને મોદી વિરુદ્ધ ફરિયાદ કરશે.
ભાવતુ'તુ ને મળી ગયું
નરેન્દ્ર મોદીને તો ભાવતુ'તુ ને મળી ગયું. નરેન્દ્ર મોદી એ જ ઇચ્છતા હતાં કે તેમના હાથે રહેલ કમળ વમળ પેદા કરે અને કોંગ્રેસે ફરિયાદ કરીને નરેન્દ્ર મોદીની રણનીતિને સફળ બનાવી દીધી છે.
મતદાન પર થશે અસર?
આજે ગુજરાતમાં તમામ 26 બેઠકો ઉપર મતદાન છે અને નરેન્દ્ર મોદીએ માત્ર મતદાન જ નહી કર્યું, પણ પોતાના સંબોધનમાં જે રીતની ઉત્સાહપૂર્વક મતદાનની અપીલ કરી, તેની અસર ચોક્કસ થવાની જ હતી, પરંતુ કમળ સાથે લાવતાં અને કોંગ્રેસ દ્વારા ફરિયાદ કરાતાં આ વાત આખી મુદ્દામાં બદલાઈ ગઈ અને તેની અસર મતદાન ઉપર ચોક્કસ થશે.
ગુજરાત બહાર પણ મતદાન
ગુજરાતની 26 બેઠકો ઉપરાંત પણ દેશના અન્ય રાજ્યોની 63 બેઠકો ઉપર મતદાન છે. આ 63 બેઠકોમાં આંધ્ર પ્રદેશની 17, બિહારની 7, જમ્મૂ-કાશ્મીરની 1, પંજાબની તમામ 13, ઉત્તર પ્રદેશની 14, પશ્ચિમ બંગાળની 9, દાદરા-નગર હવેલી તેમજ દીવ-દમણની 1-1 બેઠકો ઉપર મતદાન થવાનું છે.
અને છવાઈ ગયાં મોદી
નરેન્દ્ર મોદીને ખબર હતી કે તેમના હાથનું કમળ વમળ સર્જશે અને આ આખો મુદ્દો મીડિયામાં પણ છવાશે. જોકે આ બાબત મીડિયામાં ન પણ છવાઈ હોત, પરંતુ કોંગ્રેસે ફરિયાદ કરી આ બાબતને મુદ્દો બનાવી દીધો અને તેથી આ બાબત રાષ્ટ્રીય કક્ષાએ પણ મીડિયામાં છવાઈ ગઈ અને તેની અસર ગુજરાત ઉપરાંત 8 રાજ્યોની 63 બેઠકો ઉપરના મતદાન ઉપર ચોક્કસ થશે.
ચોવીસની ચૉઇસ
અગાઉ નરેન્દ્ર મોદીએ વારાણસી બેઠક ઉપરથી ઉમેદવારી પત્ર ભરવા માટે 24 એપ્રિલની પસંદગી કરી એક શાનદાર ચાણક્ય ચાલ ચાલી હતી. 24મી એપ્રિલે દેશની 117 બેઠકો માટે મતદાન થવાનુ હતું અને વારાણસીમાં મોદી સાથે જો મોટી ભીડ ઉમટી તથા જે રીતે મીડિયામાં આખો દિવસ મોદી જ છવાયેલા રહ્યાં અને તેની અસર મતદારો ઉપર ચોક્કસ પડી જ હશે. કોંગ્રેસ આ મુદ્દે ફરિયાદ કરવામાં મોડી પડી હતી, પરંતુ મોદીની ચાણક્ય ચાલ સફળ રહી હતી.