ઝાંસીમાં મોદીએ ‘સહેજાદા’ રાહુલને પૂછ્યા આ પ્રશ્નો
ઝાંસી, 25 ઓક્ટોબરઃ ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી પોતાના તીખા અને વેધક પ્રહારો માટે ભારતીય રાજકારણમાં જાણીતા છે. તેઓ જ્યારે પણ કંઇ બોલે છે, તે વિરોધી પક્ષો માટે વ્રજઘાત સમાન સાબિત થાય છે. આજે મોદીએ ઝાંસીમાં પોતાની રેલી યોજી. રેલીમાં મોદીએ કોંગ્રેસ અને ખાસ કરીને રાહુલ ગાંધી પણ જે પ્રકારે પ્રહારો કર્યા છે, તેનાથી કોંગ્રેસ અને રાહુલ ગાંધી બન્નેની ઉંઘ હરામ થઇ જશે.
રાહુલ ગાંધી છેલ્લા ત્રણેક દિવસથી સતત રેલીઓ સંબોધી રહ્યાં છે અને પોતાના ચીતપરિચિત અંદાજમાં નિવેદનો કરી રહ્યાં છે, જેના કારણે તેઓ મુશ્કેલીમાં પણ મુકાઇ રહ્યાં છે. છેલ્લા કેટલાક સમયથી તેઓ દરેક સ્થળે પોતાના દાદી અને પિતાજી હત્યાની વાતો કરે છે અને મુજ્જફરનગરમાં થયેલી હિંસાની વાતો કરે છે.
આ દરમિયાન જ તેમણે કેટલીક એવી ભૂલો કરી નાંખી કે જેના કારણે તેઓ ચારે તરફથી ટીકાઓનો સામનો કરી રહ્યાં છે, આ બધાની વચ્ચે ભાજપના પ્રધાનમંત્રી પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીએ ઝાંસીમાં કોંગ્રેસના સહેજાદા રાહુલ ગાંધીને કેટલાક વેધક પ્રશ્નો કર્યા હતા. તો ચાલો તસવીરો થકી જાણીએ રાહુલ ગાંધીને નરેન્દ્ર મોદીએ કરેલા વેધક પ્રશ્નો.
સહેજાદા મોંઘવારી-બળાત્કાર પર ક્યારે બોલશો?
રાહુલ ગાંધી જ્યારે પણ રેલી કરે છે, ત્યારે તેઓ પોતાના દાદી અથવા તો પિતાજી કે પછી નાનાજી સાથે જોડાયેલા કિસ્સાઓ સંભળાવતા રહે છે. પરંતુ તેમણે ક્યારેય મોંઘવારી અને બળાત્કાર સહિતના સળગતાં મુદ્દાઓને લઇને કોઇ વેધક નિવેદન કર્યા નથી. જેને લઇને નરેન્દ્ર મોદીએ આજે ઝાંસીમાં તેમને પૂછ્યું હતું કે તમે ક્યારે મોંઘવારી, બળાત્કાર અને ભ્રષ્ટાચાર જેવા મુદ્દાઓ પર બોલશો.
શું તમને શીખો મર્યા ત્યારે ગુસ્સો આવ્યો હતો?
રાહુલ ગાંધી દ્વારા થોડાક દિવસ પહેલા એવું કહેવામાં આવ્યું હતું, જ્યારે તેમના દાદીના હત્યા કરવામાં આવી ત્યારે તેમને ગુસ્સો આવ્યો હતો. ત્યારે મોદીએ વેધક સવાલ કર્યો હતો કે શું દરેક કોંગ્રેસીઓને ગુસ્સો આવ્યો હતો. તમારી પાર્ટીએ હજારો શીખોને મારી નાંખ્યા, પરંતુ તેમને હજુ સુધી સજા થઇ નથી. ત્યારે એ સમયે જે શીખો મર્યા હતા, તેમની મોત પર પણ તમને ગુસ્સો આવ્યો હતો ખરા?
સહેજાદાને ગુપ્ત માહિતી કેવી રીતે?
રાહુલ ગાંધીએ એવું નિવેદન પણ કર્યું હતું કે મુજ્જફરનગરમાં હિંસા ફેલાવવા પાછળ આઇએસઆઇ છે અને આઇએસઆઇએ મુજ્જફરનગરના કેટલાક મુસ્લિમોનો સંપર્ક કર્યો હતો, ત્યારે મોદીએ વળતો પ્રહાર કરતા પૂછ્યું હતું કે, સહેજાદા કોણ છે, તેઓ એક એમપી છે, ત્યારે શું ભારતની આઇબી શાખાએ લોકો ભારતની અત્યંત ગુપ્ત જાણકારી એક એવી વ્યક્તિ સાથે કેવી રીતે શેર કરી કે જેમણે ગુપ્તતાની શપથ લીધી નથી.
આઇએસઆઇએ ઘુસણ કેવી રીતે કરી?
રાહુલ ગાંધીને મોદીએ એક પ્રશ્ન પૂછ્યો હતો કે તમે કહો છો કે મુજ્જફરનગર સુધી આઇએસઆઇ પહોંચી ગયું છે. ત્યારે હું સહેજાદાને પૂછવા માગુ છું કે, કેન્દ્રમા તમારી સરકાર છે ત્યારે કેવી રીતે પાકિસ્તાનની જાસૂસી સંસ્થા આઇએસઆઇએ મુજ્જફરનગર સુધી ઘુસણખોરી કરી.
શું તમે એ લોકોના નામ જણાવી શકો?
રાહુલ ગાંધીએ કહ્યું હતું કે મુજ્જફરનગરમાં આઇએસઆઇ મુસ્લિમોના સંપર્કમાં હતા, ત્યારે મોદીએ રાહુલ ગાંધીને પૂછ્યું છે કે, તમે રમખાણના કારણે રિલિફ કેમ્પમાં રહી રહેલા જે યુવાનો પર તમે આરોપ લગાવ્યા છે, તેમના નામ જાહેર કરો અને જો તમે એ યુવાનોના નામ ના આપી શકતા હોવ તો તમારે તેમની સાર્વજનિક માફી માગવી જોઇએ.