મંત્રી બનવા માટે કોને-કોને મળ્યુ આમંત્રણ? સિંધિયા, સોનોવાલ દિલ્લી રવાના, આ નામ પણ સૌથી આગળ
એ નામો વિશે પણ ચર્ચા તેજ થઈ ગઈ છે જેમને કેન્દ્રીય કેબિનેટમાં જગ્યા મળી શકે છે. આવો, જાણીએ કે તે કયા ચહેરા છે જેમને મંત્રી પદથી નવાજવામાં આવી શકે છે.
નવી દિલ્લીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની કેબિનેટના વિસ્તાર માટે દિલ્લીમાં રાજકીય માહોલ ગરમાયો છે. માનવામાં આવી રહ્યુ છે કે સંસદનુ ચોમાસુ સત્ર શરૂ થતા પહેલા આવતા બે-ત્રણ દિવસમાં કેન્દ્રીય કેબિનેટનો વિસ્તાર કરી લેવામાં આવશે. આ કડીમાં મંગળવારે કર્ણાટક, મધ્ય પ્રદેશ, ગોવા, હરિયાણા અને ત્રિપુરા સહિત ઘણા રાજ્યોના રાજ્યપાલ બદલાઈ ગયા ત્યારબાદ અટકળો લગાવવામાં આવી રહી છે કે મોદી કેબિનેટમાં યુવાન ચહેરાઓને જગ્યા આપવામાં આવશે. આ દરમિયાન એ નામો વિશે પણ ચર્ચા તેજ થઈ ગઈ છે જેમને કેન્દ્રીય કેબિનેટમાં જગ્યા મળી શકે છે. આવો, જાણીએ કે તે કયા ચહેરા છે જેમને મંત્રી પદથી નવાજવામાં આવી શકે છે.
મંત્રી પદ માટે આ નામ છે સૌથી આગળ
કેન્દ્રીય કેબિનેટમાં શામેલ થનાર નવા ચહેરાઓ વિશે હજુ સુધી કોઈ ચોક્કસ માહિતી નથી પરંતુ મંગળવારે તેજીથી બદલાયેલા રાજકીય ઘટનાક્રમે અમુક સંકેત જરૂરથી આપી દીધા છે. જે નામો વિશે અટકળો લગાવવામાં આવી રહી છે તેમાં કોંગ્રેસ છોડીને ભાજપમાં શામેલ થયેલ રાજ્યસભાના સાંસદ જ્યોતિરાદિત્ય સિંધિયા, આસામના પૂર્વ મુખ્યમંત્રી સર્બાનંદ સોનોવાલ, મહારાષ્ટ્રના નારાયણ રાણે, બિહારના પશુપતિ કુમાર પારસ, યુપીના અનુપ્રિયા પટેલ, બિહારના સુશીલ કુમાર મોદી અને જેડીયુના આરસીપી સિંહનુ નામ સૌથી આગળ છે.
સિંધિયા, સોનોવાલ અને નારાયણ રાણેને દિલ્લી બોલાવાયા
આમાં જ્યોતિરાદિત્ય સિંધિયા, સર્બાનંદ સોનોવાલ અને નારાયણ રાણેને મંગળવારે જ દિલ્લી બોલાવી લેવામાં આવ્યા છે. દિલ્લી નીકળતા પહેલા જ્યોતિરાદિત્ય સિંધિયા ઉજ્જૈનના મહાકાલ મંદિર પહોંચ્યા અને પૂજા અર્ચના કરી. સિંધિયાને જ્યારે મંત્રીમંડળમાં શામેલ થવા અંગે સવાલ પૂછવામાં આવ્યા ત્યારે તેમણે કહ્યુ કે એ નક્કી કરવાનુ કેન્દ્રીય નેતૃત્વનુ કામ છે. કેબિનેટમાં કોણ શામેલ થશે એ વિશે તેમને અત્યારે કોઈ ટિપ્પણી નથી કરવી.
રાજનાથ સિંહે કહ્યુ - હું કઈ નથી કરી શકતો
વળી, દિલ્લીમાં કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહને જ્યારે મંત્રીમંડળમાં વિસ્તરણ વિશે પત્રકારોએ સવાલ પૂછ્યા તો તેમણે પણ સ્પષ્ટ રીતે કોઈ જવાબ આપવાનો ઈનકાર કરી દીધો. રાજનાથ સિંહે કહ્યુ કે કેબિનેટ વિસ્તારની અટકળો પર કંઈ નથી કહી શકતા. તમને જણાવી દઈએ કે 2022માં યુપી, ઉત્તરાખંડ, પંજાબ અને ગોવામાં વિધાનસભા ચૂંટણી છે જેને જોતા નરેન્દ્ર મોદી કેબિનેટના વિસ્તારને ઘણુ મહત્વનુ માનવામાં આવી રહ્યુ છે. અટકળો એ પણ છે કે જ્યાં કેબિનેટમાં નવા ચહેરાઓને શામેલ કરવામાં આવશે ત્યાં અમુક મંત્રીઓના વિભાગમાં પરિવર્તન પણ થશે.