મોદી કેબિનેટ વિસ્તરણ: રક્ષામંત્રીના નામને લઇને દુવિધા!
નરેન્દ્ર મોદીની સરકાર તેમની કેબિનેટમાં મોટો ફેરફાર કરી રહી છે. ત્યારે આ ફેરફાર પહેલા કેટલા લોકોના રાજીનામાં પડ્યા અને હાલ શું સ્થિતિ છે તે અંગે જાણો વિગતવાર અહીં
3 સપ્ટેમ્બરના રોજ કેન્દ્રમાં બેઠલી નરેન્દ્ર મોદી સરકાર તેના કેબિનેટ મંત્રીઓનો બદલાવ કરશે. ત્યારે તમામ લોકોની નજર આ ફેરબદલ પર છે. આ વચ્ચે કેન્દ્રીય ઉદ્યોગ મંત્રી કલરાજ મિશ્રાએ પણ રાજીનામું આપ્યું છે. આ પહેલા કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી બંડારુ દત્તાત્રેય, રાજીવ પ્રતાપ રૂડી, ઉમા ભારતી, મહેન્દ્ર નાથ પાંડ્યા, સંજીવ બાલિયાને પણ રાજીનામું આપ્યું છે. વધુમાં પશ્ચિમ દિલ્હીના સાંસદ પ્રવેશ શર્મા આજે અમિત શાહને મળવા પહોંચ્યા હતા. સાથે જ રક્ષામંત્રી કોઇ બનશે તે વાતને લઇને પણ પાર્ટીમાં દુવિધા ચાલી રહી છે. ઉલ્લેખનીય છે કે મનોહર પર્રિકરના ગયા પછી લાંબા સમયથી આ ખુરશી ખાલી પડી છે. હાલ તો અરુણ જેટલી આ પદને કામચલાઉ રીતે નિભાવી રહ્યા છે પણ આવનારા દિવસોમાં નાણાં મંત્રીને ગુજરાતનો પણ કારભાર સંભાળવાનો છે ત્યારે રક્ષામંત્રીનું કામ જલ્દી જ કોઇ સંભાળે તેવી જરૂરિયાત ઊભી થઇ છે.
ત્યાં જ આજે કેન્દ્રીય મંત્રી કાલરાજે રાજીનામું આપતું જણાવ્યું હતું કે તેમને તેમના પરફોર્મન્સ નહીં પણ ઉંમરના કારણે રાજીનામું આપ્યું છે. વધુમાં તેમણે એમ પણ કહ્યું કે પીએમ મોદી તેમના અને તેમના મંત્રાલયના કામથી ખુશ છે. ખાલી તે હવે 76 વર્ષના થઇ રહ્યા છે માટે રાજીનામું આપી રહ્યા છે. સાથે જ ચર્ચાઓ તે પણ થઇ રહી છે કે જનતા દળ યુનાઇટેડના આરસીપી સિંહ અને રામ નાથ ઠાકુર પણ મોદીની કેબિનેટનો ભાગ બની શકે છે. ઉલ્લેખનીય છે કે હાલમાં જ ભાજપ અને જેડીયૂએ એકબીજાની સાથે ગઠબંધન કર્યું છે જેના લાભ આ નેતાઓને મળવાની સંભાવના રહેલી છે. સાથે જ ઉમા ભારતી જેવા વરિષ્ઠ નેતાઓને ગવર્નર તરીકે ફરજ બજાવવા મળે તેવી ચર્ચાઓ પણ શરૂ થઇ ગઇ છે.