શીને મોદીની કડક ચેતવણીઃ ‘દાંતનો દુઃખાવો શરીરને ખરાબ કરી દે છે’
નવી દિલ્હી, 20 સપ્ટેમ્બરઃ ગુરુવારે નવી દિલ્હી સ્થિત હૈદરાબાદ હાઉસમાં જ્યારે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે મુલાકાત થઇ તો બંધ બારણાની અંદર મોદીએ જિનપિંગને ચીન તરફથી કરવામાં આવી રહેલી હરકતો અંગે ચેતાવણી આપી દીધી હતી.
મોદીએ ચીનના રાષ્ટ્રપતિને કહ્યું, ‘ આ નાની-નાની વાતો મોટામાં મોટા સંબંધોને પ્રભાવિત કરી શકે છે. જો દાંતનો દુઃખાવો હોય તો આખું શરીર કામ નથી કરતું.' મોદીની આ ચેતાવણી પછી પણ ચીનના સૈનિકો લદ્દાખના ચુમાર સેક્ટરથી પાછળ હટ્યા નથી. માત્ર એટલું જ નહીં જિનપિંગના નિર્દેશના 24 કલાક પછી પણ પીપુલ્સ લિબરેશન આર્મી(પીએલએ)ના જવાનો ત્યાં રહ્યાં.
ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના અહેવાલનો હવાલો આપતા સૂત્રોએ જણાવ્યું કે, અમદાવાદમાં શી જિનપિંગે મોદીને જાણકારી આપી હતી કે તેમણે પોતાના સૈનિકોને ચુમાર સેક્ટરથી પીછેહટ કરવા કહીં દીધું છે. જણાવવામાં આવી રહ્યું છેકે, ચીની સૈનિકો ભારતીય સરહદમાં આવવાથી મોદી અને જિનપિંગની વાતચીતમાં ગરમાવો આવી ગયો હતો. મોદીની આકરી આપત્તિ બાદ જિનપિંગે તેમને પીછેહટનો ભરોસો આપ્યો હતો. ચીનના પ્રતિનિધિમંડળના બીજા સભ્યોએ પણ ભારતીય સમકક્ષોને ભરોસો આપ્યો હતો કે પીએલએના જવાનોને પીછેહટ કરવાના નિર્દેશ આપવામાં આવ્યા છે. બીજી તરફ ચીની પ્રતિનિધિમંડળ સરહદ પર તણાવની સ્થિતિ અંગે પોતાને અજાણ ગણાવી રહ્યાં છે.