ઓમિક્રોનની ચિંતા વચ્ચે એક રાહતના સમાચાર, રસીકરણમાં નોંધાયો જંગી વધારો
ભારતમાં કોરોનાની રસીની ઝડપ સતત વધી રહી છે. અત્યાર સુધીમાં દેશમાં 18 વર્ષથી વધુ ઉંમરના લગભગ 50 ટકા લોકોને રસીના બંને ડોઝ મળ્યા છે. એટલું જ નહીં શનિવારના રોજ દેશમાં એક કરોડથી વધુ લોકોને કોરોનાની રસી આપવામાં આવી હતી.
નવી દિલ્હી : ભારતમાં કોરોનાની રસીની ઝડપ સતત વધી રહી છે. અત્યાર સુધીમાં દેશમાં 18 વર્ષથી વધુ ઉંમરના લગભગ 50 ટકા લોકોને રસીના બંને ડોઝ મળ્યા છે. એટલું જ નહીં શનિવારના રોજ દેશમાં એક કરોડથી વધુ લોકોને કોરોનાની રસી આપવામાં આવી હતી. શનિવારના રોજ દેશમાં 1.03 કરોડ લોકોને રસી આપવામાં આવી હતી. આ સાથે રાજ્યો પાસે હજૂ પણ રસીના પૂરતા ડોઝ ઉપલબ્ધ છે. રાજ્યોમાં હાલમાં 21.38 કરોડ રસીના ડોઝ અનામત છે.
રાજ્યોની વાત કરીએ તો શનિવારના રોજ બિહારમાં 15.33 લાખ લોકોને રસીના ડોઝ આપવામાં આવ્યા હતા. જ્યારે તમિલનાડુમાં 14.84 લાખ, રાજસ્થાનમાં 10.8 લાખ, ઉત્તર પ્રદેશમાં 10.24 લાખ લોકોને કોરોના રસીના ડોઝ આપવામાં આવી હતી. કોરોનાના નવા પ્રકાર ઓમિક્રોનના જોખમને ધ્યાનમાં રાખીને સરકાર રસીકરણની ઝડપ વધારવા માટે સતત દબાણ કરી રહી છે. અત્યાર સુધીમાં દેશમાં 18 વર્ષથી વધુ ઉંમરના લગભગ 85 ટકા લોકોએ કોરોના રસીનો પ્રથમ ડોઝ મેળવ્યા છે, જ્યારે 50.35 ટકા લોકોને રસીના બંને ડોઝ મળ્યા છે.
ભારતમાં કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો શનિવારના રોજ દેશમાં કોરોના સંક્રમણના 99,974 કેસ છે, જે માર્ચ 2020 પછી સૌથી ઓછા છે. છેલ્લા 61 દિવસથી કોરોના સંક્રમણનો દૈનિક દર 2 ટકાથી ઓછો છે, જ્યારે છેલ્લા 20 દિવસનો દૈનિક સંક્રમણનો દર 1 ટકાથી ઓછો છે. સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોને મુસાફરો પર દેખરેખ વધારવા અને નવા હોટસ્પોટ પર દેખરેખ વધારવાની અપીલ કરી છે.
કેરળમાં કોરોનાના કેસ હજૂ પણ વધી રહ્યા છે. પોઝિટિવિટી રેટ તિરુવનંતપુરમમાં 11.61 ટકા, વાયનાડમાં 11.25 ટકા, કોઝિકોડમાં 11 ટકા, કેરળમાં કોટ્ટયમમાં 10.81 ટકા છે. આ ચાર જિલ્લાઓમાં 10 ટકાથી વધુનો પોઝિટિવિટી રેટ છે. આ સાથે સમયે છેલ્લા એક સપ્તાહમાં ત્રિસુમાં 128, મલપ્પુરમમાં 109, કોઝિકોડમાં 82, કોલ્લમમાં 17 લોકોના મોત થયા છે.
ઉલ્લેખનીય છે કે, કોરોના વાયરસના નવા વેરિઅન્ટ ઓમિક્રોનએ સમગ્ર વિશ્વમાં લોકોની ચિંતા વધારી છે. આ પ્રકાર જે રીતે ફેલાઈ રહ્યો છે, તેના પર વૈજ્ઞાનિકો ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. જો કે, આરોગ્ય વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, કોરોના રસી નવા પ્રકાર સામેની લડાઈમાં લોકોને મદદ કરશે.
ટાટા ઇન્સ્ટિટ્યૂટ ફોર જિનેટિક્સના ડિરેક્ટર ડૉ. રાકેશ મિશ્રા કહે છે કે, પરિણામો દર્શાવે છે કે, હાઈબ્રિડ ઇમ્યુનિટી કોરોનાના નવા પ્રકાર સામે અસરકારક સાબિત થશે. આ બાબતોની વૈજ્ઞાનિક રીતે પુષ્ટિ કરવામાં આવી રહી છે. લોકો પોતાની રીતે પ્રયોગ પણ કરી રહ્યા છે અને લેબમાં ટેસ્ટિંગ ચાલી રહ્યું છે. મને લાગે છે કે, તેના પરિણામો આગામી 10 દિવસમાં અથવા બે અઠવાડિયામાં પણ આવી શકે છે.