ચર્ચો, મોલ્સમાં મુંબઇ પોલીસની સુરક્ષા સમીક્ષામાં ખુલી પોલંપોલ
મુંબઇ, 26 સપ્ટેમ્બર : કેન્યાના વેસ્ટગેટ મોલમાં થયેલા હુમલા બાદ મુંબઇ પોલીસ ફરી એકવાર સજાગ બની છે. મુંબઇમાં આવી ઘટના ફરી બનતા રોકવા માટે મુંબઇ પોલીસે શહેરના ચર્ચો, મોલ્સ અને 5 સ્ટાર હોટેલ્સમાં સુરક્ષાની સમીક્ષા કરી હતો. આ સમીક્ષામાં મુંબઇમાં સુરક્ષા વ્યવસ્થા કેટલી નબળી છે તેની પોલ ખુલી ગઇ હતી.
કેન્યા જેવા હુમલાઓ મુંબઈનાં શૉપિંગ સેન્ટર્સ તથા મલ્ટિપ્લેક્સિસમાં થઈ શકે છે. મૉલ્સ તથા મલ્ટિપ્લેક્સિસની સુરક્ષાની ચકાસણી કરવા 20૦ જેટલા પોલીસને છૂપા વેશે મોકલવામાં આવ્યા હતા જે પૈકી 165 લોકો સુરક્ષાકવચને ભેદવામાં સફળ થયા હતા. તેમની કોઈ પણ પ્રકારની ચકાસણી કરવામાં નહોતી આવી. આવી ચોંકાવનારી હકીકત જાણ્યા બાદ જો આવાં જાહેર સ્થળોએ યોગ્ય માત્રામાં સુરક્ષા જાળવવામાં નહીં આવે તો એવા સંજોગોમાં મૉલના લાઇસન્સને રદ કરવાનું પગલું ભરવાનો નિર્ણય પણ પોલીસે કર્યો હતો.
મુંબઈ પોલીસ પ્રોટેક્શન બ્રાન્ચના હેડ, IPS, ઍડિશનલ કમિશનર ઑફ પોલીસ મધુકર પાન્ડેએ પોલીસે નક્કી કરેલી સુરક્ષાનાં 20 જેટલાં ધારાધોરણો અનુસાર મૉલ્સ, મલ્ટિપ્લેક્સિસ, ફાઇનૅન્શિયલ ઇન્સ્ટિટ્યૂટ્સ, ધાર્મિક સ્થળો, હૉસ્પિટલો તથા સ્કૂલોને Aથી F સુધીના ગ્રેડ આપવાનું નક્કી કર્યું છે. વળી આ સિક્યૉરિટી સર્ટિફિકેટને લાઇસન્સની જેમ લગાવવાનું રહેશે જે તેમને મુંબઈ પોલીસની પ્રોટેક્શન બ્રાન્ચે આપ્યું છે.
નિયમો અનુસાર વિસ્ફોટકો શોધવા માટેની તાલીમ પોલીસ પ્રાઇવેટ ગાર્ડને આપશે. મૉલ તથા મલ્ટિપ્લેક્સમાં પ્રવેશતાં તમામ વાહનોની ચકાસણી થવી જોઈએ. તમામ સ્થળોએ CCTV કૅમેરા હોવા જરૂરી છે જેમાં 30 દિવસનું રેકૉર્ડિંગ રાખવાની સુવિધા પણ હોવી જોઈએ. આર્મ ગાર્ડ્સ, ઇમર્જન્સી રૂટ, તમામ કર્મચારીઓની સંપૂર્ણ ઓળખ, અલાર્મ સિસ્ટમ તથા મૉલમાં સામાન લઈને પ્રવેશતાં તમામ વાહનોની ચકાસણી થવી જોઈએ.
મુંબઈ પોલીસે શહેરના તમામ 160 મૉલ તથા મલ્ટિપ્લેક્સના માલિકોની એક મીટિંગ બોલાવી છે. સિક્યૉરિટી ગ્રેડિંગ સિસ્ટમના અમલીકરણ બાદ એમને નોટિસ મોકલવામાં આવશે. વળી જે સુરક્ષાના નિયમોનું પાલન નહીં કરે એમનાં લાઇસન્સ રદ કરવામાં આવશે.