કાનપુરમાં નરેન્દ્ર મોદીની 'વિજય શંખનાદ રેલી'નો આજથી થશે પ્રારંભ
કાનપુર, 19 ઓક્ટોબર: ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપાના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી ઉત્તર પ્રદેશના કાનપુરમાં આજે વિજય શંખનાદ રેલીને સંબોધિત કરશે. આની સાથે જ ઉત્તર પ્રદેશમાં ભાજપાના ચૂંટણી અભિયાનની શરૂઆત થઇ જશે. રેલી અત્રે ઇન્દિરાનગર બુદ્ધા પાર્કમાં યોજાવા જઇ રહી છે. 'વિજય શંખનાદ રેલી'માં નરેન્દ્ર મોદી એક ભવ્ય મંચથી આજે 3.30 વાગ્યે સંબોધિત કરશે. પાર્ટીના પ્રદેશ પ્રભારી અમિત શાહ અને પ્રદેશ અધ્યક્ષ લક્ષ્મીકાંત વાજપેઇએ રેલીની પૂર્વ સંધ્યા પર શુક્રવારે સાંજે સંપૂર્ણ તૈયારીઓનું રિહર્સલ કર્યું હતું.
ભાજપા તરફથી વડાપ્રધાન પદના ઉમેદવાર બન્યા બાદ ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની ઉત્તર પ્રદેશમાં પ્રથમ રેલી યોજાવા જઇ રહી છે. કાનપુરમાં બપોરે અઢી વાગ્યે શરૂ થનારી આ રેલીમાં પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજનાથ સિંહ અને પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કલ્યાણ સિંહ સહિત પાર્ટીના મોટા નેતાઓ ભાગ લેશે.
આ ઉપરાંત 09328280005 નંબર પર મીસ કોલ કરવાથી ગ્રાહકના મોબાઇલ પર એક એસએમએસ આવશે જેમાં મોદીની ઉત્તર પ્રદેશ રેલી સાથે જોડાયેલી બધી જ માહિતી મળી જશે. સાથે જ ભાજપાની વેબસાઇટ ફેસબુક અને ટ્વિટર પર પણ નરેન્દ્ર મોદીની રેલીના કાર્યક્રમ સાથે જોડાયેલ તમામ અપડેટ ઉપલબ્ધ રહેશે.
આજે રેલીમાં મોદી 100 ફૂટ લાંબા મંચથી સંબોધિત કરશે. આ ઉપરાંત આખા મેદાનમાં લગભગ 100 જેટલા એલઇડી સ્ક્રિન લગાવવામાં આવ્યા છે. કાનપુરના ભાજપા જિલ્લા અધ્યક્ષ સુરેન્દ્ર મૈથાનીએ જણાવ્યું, મુખ્ય મંચ જ્યાંથી મોદી સંબોધન કરશે તે 100 ફૂટ લાંબો અને 30 ફૂટ પહોળો બનાવામાં આવ્યો છે. આ મંચ પર રાષ્ટ્રીય અધ્યક્ષ રાજનાથ સિંહ પણ હાજર રહેશે. આ ઉપરાંત બે મંચ વધુ બનાવવામાં આવ્યા છે જેમાં પ્રદેશના વરિષ્ઠ નેતા અને પદાધિકારી બિરાજમાન થશે. ભાજપાનું અનુમાન છે કે આ રેલીમાં લગભગ ત્રણ લાખ લોકો એકત્રિત થશે.