ગયા, 27 માર્ચઃ ભાજપના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી દ્વારા બિહારના ગયા ખાતે પોતાની ચૂંટણી સભા સંબોધી હતી, જેમાં તેમણે કોંગ્રેસ અને બિહારના મુખ્યંત્રી નીતિશ કુમાર પર પ્રહાર કર્યા હતા. આ તકે તેમની સાથે લોક જનશક્તિ પાર્ટીના રામ વિલાસ પાસવાન પણ તેની સાથે ઉપસ્થિત હતા. મોદી સભા સંબોધે તે પહેલા મોદીની સભામાં ભાગદોડ થતાં પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો છે. મોદીની જાહેરસભાનો વીડિયો અહીં આપવામાં આવ્યો છે.
આ તકે મોદીએ કહ્યું કે, જે લોકો બંધ રૂમમાં બેસીને ટીવી મીડિયાવાલાને બોલાવીને અવાર નવાર ગાલીઓ આપી રહ્યાં છે, ટીકા કરી રહ્યાં છે, ખોટી ખોટી વાતો જણાવી રહ્યાં છે, તેમને મારો અનુરોધ છે, એકવાર આવીને આ મેદાનનો નજારો જોઇ લે, જ્યાં મારી નજર પહોંચી રહી છે, ત્યાં લોકો દેખાઇ રહ્યાં છે. આ ચૂંટણી કોઇ રાજકીય દળ, કોઇ નેતા નહીં પણ દેશની જનતા આ ચૂંટણી લડી રહી છે. આ પહેલી ચૂંટણી એવી છે, જેમાં મતદાન નથી થયું તેમ છતાં દેશવાસીઓએ ચૂંટણી પરિણામ જાહેર કરી દીધું છે.
કેટલાક લોકોના કાન સુધી અવાજ પહોંચતો નથી, હું તમને આજે એક પ્રશ્ન પૂછવા માગું છું. 2004માં દિલ્હીમાં મેડમ સોનિયા ગાંધીના માર્ગદર્શનમાં સરકાર બની, આજે 2014 આવી ગયો તમારા જીવનમાં પરિવર્તન આવ્યું છે. કોઇનું ભલું થયું છે, કંઇ આપ્યું નથી તો પછી આ સરકાર શું કામની. જે તમને કંઇ જ આપી નથી શકી તે સરકાર કોઇ કામની નથી, તેથી એ આપણુ દાયિત્વ છેકે આપણે આ દેશને બચાવવા માટે આ સરકારને ઉખેડીને ફેંકી દઇએ. આજે આ રેલી જોઇને હું કહી રહ્યો છું, ભારત વિજયના દિવસ આવી ગયા છે. આ ભારત વિજય રેલી, મોંધવારી, ભ્રષ્ટાચાર, કુશાસન, ખેડૂતોના અપમૃત્યુ, મહિલા અસુરક્ષા પર ભારત વિજય થાય એ સ્વપ્ન માટે આ રેલી કાઢવામાં આવી છે.
પોતાની ખુરશી અંગે વિચારનારાઓએ બિહારને બરબાદ કર્યું
થોડાક મહિનાઓ પહેલા બુદ્ધની આ ભૂમિને લોહી લુહાણ કરી દેવામાં આવી હતી. જે ભૂમિએ વિશ્વને શાંતિનો સંદેશ આપ્યો એ ભૂમિ પર દેશના દુશ્મનોએ આતંક ફેલાવ્યો, પરંતુ અહીંની સરકારને તેની ચિંતા ના થઇ. તેમને તો એક જ ચિંતા રહે છે, તેમના મત બેન્કને જોખમ ના આવી જાય, બોમ્બ ફૂટે તો ફૂટે, લોકો મરે તો મરે, આતંકવાદ ફેલાય તો ફેલાય મારી ખુરશી સલમાત રહે તેવા લોકોએ બિહાર અને હિન્દુસ્તાને બરબાદ કર્યું છે
ભારત સાથે નાતો તોડવા માટે એક ધમકી ભર્યો પ્રયાસ
આતંકવાદને દિલ્હીમાં બેસેલા કે પટણામાં બેસેલા લોકો દૂર કરી શકતા નથી. આ ધરતીને લોહી લુહાણ કરનારા આતંકવાદને ખતમ કરવાનો આપણે સંકલ્પ કરવો પડશે. બુદ્ધની આ ધરતી પર આતંક ફેલાવાનો જેમણે પ્રયાસ કર્યો છે, તેમણે માત્ર બુદ્ધગયા કે બિહારને નહીં પરંતુ આખા વિશ્વના બુદ્ધપ્રેમી દેશોને ભારત સાથે નાતો તોડવા માટે એક ધમકી ભર્યો પ્રયાસ કર્યો છે. બુદ્ધના કારણે લાખો પ્રવાસી અહીં આવે છે. તેના કારણે બિહારના લોકોને રોજીરોટી મળે છે. પ્રવાસન એક એવું ક્ષેત્ર છે જેમાં બધાને રોજીરોટી મળે છે. એ પ્રવાસનને ખતમ કરીને બિહારને ખતમ કરવાનું પાપ થઇ રહ્યુ છે.
આતંકવાદ ડિવાઇડ્સ અને પ્રવાસન યુનાઇટ્સ
બુદ્ધ ગયામાં આતંકની ઘટના બાદ મોટી માત્રામાં વિદેશીઓ આવવાની સંખ્યા ઘટી છે, તેનાથી ખુરશી માટે મતબેન્કના રાજકરણીઓની ખુરશી બચી ગઇ હશે પણ બિહારવાસીઓની રોજીરોટી છીનવાઇ ગઇ છે. મતબેન્કનું રાજકારણ કરનારાઓ આતંકવાદને પનાહ આપ્યો છે. તેમને બચાવવાનો પ્રયાસ પણ કર્યો છે. આતંકવાદ ડિવાઇડ્સ અને પ્રવાસન યુનાઇટ્સ. અને આ ભૂમિ જોડવાની ભૂમિ છે તોડવાની નહીં. તેને જ લોહીથી રંગી દેવામાં આવી છે.
દિલ્હી, બિહાર સરકાર અને જેલમાંથી આવેલા નેતા જવાબ આપે
મારા પ્રશ્નનો જવાબ દિલ્હી, બિહાર સરકાર અને તાજેતરમાં જેલમાંથી આવેલા નેતા આપે. કુટક ડેમ 1975માં બનાવવાની શરૂઆત થઇ હતી, પરંતુ પર્યાવરણના નામે તેને રોક લાગી અને અત્યાર સુધી તેના પર 800 કરોડ રૂપિયા ખર્ચ થયા છે, એ પૈસો બિહારની જનતાનો છે, તેમ છતાં દિલ્હી સરકારના પર્યાવરણ મંત્રાલયે રોક લગાવી અને એ પ્રોજેક્ટ અટકેલો છે, જો આ પ્રોજેક્ટ પૂર્ણ થયો હોત તો 85 ટકા પાણી બિહારને મળવાનું હતું, 15 ટકા પાણી ઝારખંડને મળવાનું હતું, આ પાણીથી ઔરગાંબાદ, ગયા, કારાઘાટના 25 લાખ ખેડૂતોને લાભ થવાનો હતો. આ 25 લાખ ખેડૂતોના ભાગ્યને તાળું લગાવનારા કોણ છે. એક યોજનાને 800 કરોડ રૂપિયા ખર્ચ કર્યા પછી લટકાવીને તેને તમારુ ભવિષ્ય બગાનારાઓ કર્યું છે.
દેશ એક્ટ નહીં એક્શન ઇચ્છે છે
ગઇ કાલે કોંગ્રેસે ઘોષણાપત્ર જાહેર કર્યું. તેઓ માટે ઘોષણાપત્ર માત્ર ચૂંટણી જીતવાનો હથકંડો છે. તેઓ ભૂલી ગયા કે જનતા હવે તેમને ભૂલવાની નથી. કોંગ્રેસ પાર્ટીની હિંમત જુઓ. ખોટું બોલવાની તાકાત જુઓ. ગઇ કાલે તેમણે ઘોષણાપત્રમાં કહ્યું કે અમે વિવિધ અધિકાર આપીશું તેવી વાતો રટતા રહ્યાં. એકવાર શિકારી જંગલમાં શિકાર કરવા ગયા, સિંહનો શિકાર કરવા માગતા હતા, તો તે પોતાની ગાડી ઉભી રાખીને ફરવા નીકળ્યો, ત્યાં એક સિંહ આવી ગયો, તે પોતાની બંદૂક ગાડીમાં મુકીને આવ્યો હતો, તેણે પોતાના ખિસ્સામાંથી રાઇફલનું લાઇસન્સ કાઢ્યું અને સિંહને બતાવ્યું.... આ દિલ્હીની સરકાર તમને વિવિધ અધિકાર બતાવે છે પણ તે એક્શન માટે તૈયાર નથી. દેશ એક્ટ નહીં એક્શન ઇચ્છે છે.
ટેપ નહીં ટ્રેક રેકોર્ડ જોવામાં આવે
તેમણે મોંઘવારી ઘટાડવાની વાત કરી છે પણ તે મોંઘવારી ઘટાડી શક્યા નથી. તેઓ મેન્યુફેક્ચરિંગ ફેક્ટરમાં 10 ટકા વૃદ્ધિ સુનિશ્ચિત કરશે. 2012માં 1.1 ટકા હતો. 2013-14માં તેમનો ગ્રોથ -0.2 હતો અને તે આજે 10 ટકાની વાત કરી રહ્યાં છે. આ કોંગ્રેસી જૂની ટેપ વગાડી રહ્યાં છે, તેમનો ટ્રેક રેકોર્ડ તેમની વાતમાં વિશ્વાસ અપાવે તેવો નથી. તેમણે દેશના નોજવાનોને લોલીપોપ આપી છે, અમે 10 કરોડ લોકોને રોજગારી આપીશું, ગત ચૂંટણીમાં દરેક પરિવારને એક નવયુવાનને રોજગારી આપીશું. યુપીએ સરકાર જોબલેસ ગ્રોથ માટે જાણીતી છે. તેમના ટેપને નહીં ટ્રેક રેકોર્ડને જોવામાં આવે.
કોંગ્રેસ ભ્રષ્ટાચાર ખતમ કરી શકે તેમ નથી
તેમણે સ્કીલ ડેવલોપમેન્ટની વાત કરી છે. તેમનો ટ્રેક રેકોર્ડ કહે છે, આ ગત ચૂંટણીમાં પણ કરી હતી, કમિટી બનાવતા ગયા, પણ કામ કર્યું નથી. ગુજરાત જ્યારે સ્કીલ ડેવલોપમેન્ટમાં આગળ વધ્યું ત્યારે વડાપ્રધાને ગુજરાતના મોડલને સ્વીકારવા કહ્યું હતું. કોંગ્રેસ ભ્રષ્ટાચાર ખતમ કરવા કાયદો લાવશે, પણ તેના દમ નથી. નવી ભ્રષ્ટચારની એબીસીડી લખનાર કોંગ્રેસના મોઢે શોભતી નથી.
માત્ર 152માં રૂરલ કોર્ટ
આ કોંગ્રેસ પાર્ટી કહે છે, કાળું નાણું પરત લાવશે. દેશનું કાળું નાણું વિદેશમાં છે, કોંગ્રેસના લોકો જવાબ આપે કે 10 વર્ષથી સરકારમાં પણ રૂપિયા લાવ્યા નથી. તેમણે રૂરલ કોર્ટ શરૂ કરશે. 2009માં પણ આ જ વચન આપ્યું હતું. માત્ર 152માં રૂરલ કોર્ટ શરૂ કરી શક્યા છે, તેમના પર વિશ્વાસ કરવા જેવો નથી. જલદી ન્યાય મળે એ માટે ફાસ્ટ કોર્ટ ચલાવીશું. અટલજીની સરકારમાં ફાસ્ટ કોર્ટની પરંપરા ચાલું થઇ હતી. 2011માં યુપીએ સરકારે ફાસ્ટ કોર્ટ માટે જે પૈસા આપવામાં આવતા હતા તે બંધ કર્યા અને તમે ફાસ્ટ કોર્ટના વચન આપો છો.