નવી દિલ્હી, 21 માર્ચ: વારાણસી લોકસભા સીટ પર ઉમેદવાર ઉતારવા માટે કોંગ્રેસ પાર્ટીમાં માથાકૂટ ચાલું છે. પાર્ટી હાઇકમાન્ડ ઈચ્છે છે કે ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી વિરૂદ્ધ એક મજબૂત ઉમેદવારને ઉતારવામાં આવે જેથી જનતા વચ્ચે મજબૂત સંદેશ પહોંચે. કોંગ્રેસ કાર્યકર્તાઓએ તો પ્રિયંકા ગાંધીને બનારસથી ચૂંટણી લડાવવાની માંગ કરી છે. કોંગ્રેસના સહયોગી એનસીપીના નેતા તારીક અનવરે પણ પ્રિયંકાનું સમર્થન કર્યું છે.
તારીકે અનવરે એક ટીવી ચેનલને કહ્યું હતું કે 'પ્રિયંકા ગાંધી એક સારી ઉમેદવાર હશે અને નરેન્દ્ર મોદીને આકરી ટક્કર આપી છે. મારું માનવું છે કે લડાઇ જામશે, આકરો પડકાર હશે. બધા સેક્યુલર દળોનો એક ઉમેદવાર હોવો જોઇએ. જેથી નરેન્દ્ર મોદીને હરાવી શકે. પ્રિયંક ગાંધીના નામ પર બાકીની સેક્યુલર પાર્ટીઓને મનાવવામાં પણ મુશ્કેલી આવશે નહી.
આ પહેલાં કોંગ્રેસ નેતા અનિલ શાસ્ત્રીએ પણ નરેન્દ્ર મોદી વિરોધી દળોના એક ઉમેદવાર ઉભો રાખવાની માંગ કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે કોંગ્રેસના ખેમામાં ગત કેટલાક દિવસોથી કેટલાય નામોની ચર્ચા ચાલી રહી છે. કોંગ્રેસની કેન્દ્રિય ચૂંટણી સમિતિ પણ વારાણસી સીટને લઇને ગહન ચિંતન કરી રહી છે. પાર્ટીમાં અજય માકન, રાજેશ મિશ્ર, મોહન પ્રકાશ અને અનિલ શાસ્ત્રીના નામ પર ચર્ચા ચાલી રહી છે તો દિગ્વિજય સિંહ અને આનંદ શર્મા જેવા દિગ્ગજ નેતા પણ નરેન્દ્ર મોદી વિરૂદ્ધ લડીને ઉદાહરણ પુરૂ પાડવા માંગે છે.
જો કે મોટો પ્રશ્ન એ છે કે શું કોંગ્રેસ પ્રિયંકા ગાંધીના નામ પર હુકમના એક્કાનો ઉપયોગ કરશે? પાર્ટીના નેતા આ વાતને ના તો સ્વિકાર કરી રહ્યાં છે, ના તો નકારી રહ્યાં છે.
ગુજરાત કોંગ્રેસના નેતા શક્તિ સિંહ ગોહિલનું કહેવું છે કે 'આ પાર્ટીની કેન્દ્રિય ચૂંટણી સમિતિ નક્કી કરશે કે વારાણસીથી કયો ઉમેદવાર ચૂંટણી લડશે. પરંતુ અમારો ઉમેદવાર મજબૂત હોવો જોઇએ. કેન્દ્રિય મંત્રી રાજીવ શુક્લાએ કહ્યું હતું કે 'મને આ અંગે કોઇ જાણકારી નથી કે નરેન્દ્ર મોદી એક ચમત્કારીક નેતા છે પરંતુ વારાણસીમાં મુકાબલો કોંગ્રેસ વર્સીસ ભાજપ હશે તે નક્કી છે.
આમ પણ પહેલાં ઘણીવાર પ્રિયંકા ગાંધીને સક્રિય રાજકારણમાં લાવવાની માંગ ઉઠી છે. પરંતુ વારંવાર પાર્ટીએ પુનરાવર્તિત કર્યું છે કે પ્રિયંકાની ભૂમિકા અમેઠી અને રાયબરેલી સુધી સીમિત છે.