આજે મોદી મહારાષ્ટ્રમાં, કોર્પોરેટ જગત સાથે થશે રૂબરૂ
મુંબઇ, 27 જૂન: તાજેતરમાં આવનારી લોકસભા ચુંટણી 2014 માટે પ્રચાર સમિતિના અધ્યક્ષ જાહેર કરવામાં આવ્યા બાદ નરેન્દ્ર મોદી આજે મહારાષ્ટ્રમાં પાર્ટી નેતાઓ સાથે બેઠક યોજશે. કહેવામાં આવે છે કે આ મીટિંગનો હેતુ લોકસભાની ચુંટણી માટે એજન્ડા તૈયાર કરવાનો છે. તો બીજી તરફ શિવસેના સાથે એનડીએના સંબંધો અંગે સમીક્ષા કરશે. તાજેતરમાં જ આપત્તિગ્રસ્ત ઉત્તરાખંડમાંથી ગુજરાતીઓને નિકાળવાના કારણે શિવસેનાએ તેમની નિંદા પણ કરી હતી.
જેડીયૂ એનડીએથી અલગ થયા બાદ હવે ભાજપા માટે મુશ્કેલીઓ વધતી જાય છે. તો નરેન્દ્ર મોદી નવા ગઠબંધનની શોધ આજથી શરૂ કરી રહ્યાં છે, લોકસભાની ચુંટણી પહેલાં ચાર રાજ્યોમાં ચુંટણી યોજાશે, જેને ધ્યાનમાં રાખીને પાર્ટીની તૈયારીઓ કરવામાં આવી રહી છે.
લોકસભાની ચુંટણી અભિયાન સમિતિની કમાન સંભાળ્યા બાદ પોતાની પ્રથમ મુંબઇ યાત્રા દરમિયાન નરેન્દ્ર મોદી રામભાઉ મ્હાલગી પ્રબોધિનીના નિર્દેશક વિનય સહસ્ત્રબુદ્ધેના પુસ્તક 'બીયોન્ડ એ બિલિયન બેલેટ'નું વિમોચન કરશે. આ સમારોહ આજે સાંજે સ્ટોક એક્સચેંજના ઓડિટોરિયમમાં યોજાશે. કહેવામાં આવે છે કે નરેન્દ્ર મોદી આ સમારોહમાં રાજકીય ભાષણ આપશે. આ પહેલાં પણ નરેન્દ્ર મોદી મુંબઇની તાજમહેલ હોટલમાં સીઆઇઆઇના સેમીનારને સંબોધિત કરશે. બપોરે જ પ્રદેશ ભાજપા કોર કમીટીની બેઠકમાં ભાગ લેવા માટે નરેન્દ્ર મોદી રંગ શારદા હોટલમાં જવાના છે.
આ ઉપરાંત નરેન્દ્ર મોદી અલ્પસંખ્યકો સાથે મળીને તેમને સાથે લાવવાની તૈયારીઓનો રિવ્યું પણ લેશે. ચુંટણીને ધ્યાનમાં રાખી પાર્ટી અલ્પસંખ્યકોની સાથે લાવવા માટે 'વિઝન ડોક્યૂમેન્ટ' તૈયાર કરી રહી છે, જે ટૂંક સમયમાં નજરે પડે તેવી સંભાવના છે. નરેન્દ્ર મોદીને નેતૃત્વ સોંપવાથી ભાજપાના કેટલાક વરિષ્ઠ નેતાઓ નારાજ છે પરંતુ કાર્યકર્તાઓમાં નરેન્દ્ર મોદી પ્રત્યે લોકપ્રિયતા જોતાં પાર્ટીને તેમની ચિંતા નથી.